Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
તમારા શરીર પાસે સ્વયંને સ્વચ્છ કરવાના અઢળક માર્ગો મોજૂદ છે. આ કામ કરવામાં શરીરને કેવી રીતે મદદ કરવી, તે આપણે જાણીએ.
શરીરની આ પ્રક્રિયામાં તેને મદદ કરવાના અમુક ઉપાયો અહીં રજૂ કરવામાં આવ્યા છે.
ફાઇબરયુક્ત આહારનું સેવન
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ સ્રોત, Getty Images
આ ઉપરાંત ફાઇબર શરીરમાંથી ઝેરી તત્ત્વો નીકાળવા માટેનાં મહત્ત્વનાં અંગો ગણાતાં કિડની તથા લીવરનું રક્ષણ કરવામાં પણ મદદ કરે છે. તે હાનિકારક બૅક્ટેરિયા સામે તેમનું રક્ષણ કરે છે અને લાભદાયક બૅક્ટેરિયાની વૃદ્ધિમાં સહાય પૂરી પાડે છે.
વધુ પાણી પીઓ
પાણી કિડની અને લીવરને મદદ કરીને શરીરમાંથી ઝેરી કચરો દૂર કરે છે.
ઉદાહરણ કરીકે, કિડની સોડિયમ અને યુરિયા જેવાં ઝેરી તત્ત્વોને બહાર ફેંકવા માટે પાણીનો ઉપયોગ કરે છે. ડિહાઇડ્રેશન (પાણીની કમી)થી કચરો જમા થઈ શકે છે. સમય વીતવા સાથે હળવું ડિહાઇડ્રેશન પણ કિડનીમાં નુકસાન થવાનું જોખમ વધારી શકે છે અને કચરાને કાઢવાની તેની ક્ષમતાને ઓછી અસરકારક બનાવે છે. પૂરતી માત્રામાં પાણી પીવાથી લાંબા ગાળે કિડનીનું રક્ષણ કરવામાં પણ મદદ મળે છે. 18 આકસ્મિક, પણ નિયંત્રિત પરીક્ષણોના એક અવલોકનમાં માલૂમ પડ્યું હતું કે, વધુ પાણી પીવાથી કિડનીમાં પથરીનું સંકટ ઘટી શકે છે અને તે સિવાય પણ તેના ફાયદા રહેલા છે.
તો, શરીરને આ મહત્ત્વનાં કાર્યો કરવા માટે કેટલું પાણી પીવું જોઈએ? 1945ની ભલામણમાંથી ઉદ્ભવેલી આઠ ગ્લાસ (આશરે બે લીટર) પાણીની વ્યાપક સલાહ (જેમાં ખોરાકનો પણ પાણીના સ્રોત તરીકે સમાવેશ થતો હતો) હવે જૂની થઈ ગઈ છે. તેને બદલે, રોજનું આશરે દોઢથી 1.8 લીટર દૈનિક પાણી (છથી સાડા સાત ગ્લાસ) મોટાભાગના લોકો માટે પૂરતું છે.
ફેફસાં માટે સહાયરૂપ
ઇમેજ સ્રોત, Getty Images
ફેફસાં સાફ કરવાનો દાવો કરતાં ઉત્પાદનોની સંખ્યામાં વધારો નોંધાયો છે. અમેરિકન લંગ ઍસોસિએશન (એએલએ) આવા ઝડપી ઉપચારો પર વિશ્વાસ કરતાં ચેતવે છે અને નોંધે છે કે, આ પૈકી ડિટોક્સિફિકેશનના કેટલાક ઉપચારો જોખમી પણ હોઈ શકે છે.
ફેફસાંની કુદરતી અને સ્વતઃ ક્ષમતા વધારવા માટે તમે જાતે પ્રયાસો કરી શકો છોઃ સૌથી પહેલાં તો, પ્રદૂષકોથી બચો. જો તમે ધુમ્રપાન કરતાં હો, તો તેનો ત્યાગ કરવો અત્યંત જરૂરી છે – અને તેની સાથે જ પરોક્ષ ધુમ્રપાનથી પણ બચવું જોઈએ.
ઊંઘનો આનંદ માણો
ઇમેજ સ્રોત, Getty Images
અલ્ઝાઇમરની બિમારીમાં મોજૂદ બીટા-એમાઇલોઇડ સહિતનાં અણુઓ તથા વધારાનાં પ્રોટીન્સનો કચરો આપણાં મસ્તિષ્કના કોષો દ્વારા કાર્ય કરવા દરમિયાન ઉત્પન્ન થાય છે અને રોજ એકત્રિત થાય છે. તે પૈકી કચરાનો અમુક ભાગ રક્તવાહિનીઓ અને મસ્તિષ્કની વચ્ચેની સુરક્ષાત્મક સપાટીને પાર કરી દે છે. જોકે, બાકીનો ભાગ ન્યૂરોન્સની વચ્ચેની જગ્યામાં જમા થાય છે.
આ તમામની આપણા દિમાગ ઉપર બીજા દિવસે અસર પડી શકે છે. રાતના સમયે મસ્તિષ્કને નિયમિતપણે તરોતાજા કર્યા વિના, આપણી જ્ઞાનાત્મક ક્ષમતા ધીમી પડી શકે છે અને નિર્ણય લેવાની આપણી ક્ષમતા પણ કમજોર થઈ શકે છે.
કેટલાક સંશોધકો તે ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે કે, શું ઊંઘમાં થતી કચરાના નિકાલની પ્રક્રિયાને જાગૃત અવસ્થામાં ફરીથી કાર્યરત કરવી શક્ય છે? વળી, તેમાં ટ્રાન્સ્ક્રેનિયલ રેડિયોફ્રિક્વન્સી ટ્રિટમેન્ટ નામની તકનીક સાથેના પ્રયોગનો પણ સમાવેશ થાય છે, જે સમગ્ર મસ્તિષ્કમાં રેડિયો તરંગો પહોંચાડે છે.
જોકે, અન્ય લોકોનું માનવું છે કે, ઊંઘની કુદરતી ઝેરી કચરાના નિકાલની વ્યવસ્થાને વધુ કાર્યદક્ષ કરવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવો વધુ હિતાવહ છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે, જમણા પડખે સૂવાથી સેરેબ્રોસ્પાઇનલ ફ્લૂઇડ દ્વારા ઝેરી તત્ત્વોને બહાર નિકાળવાની પ્રક્રિયામાં સુધારો થઈ શકે છે (જોકે, નોંધનીય છે કે, વ્યક્તિ રાતના સમયે સરેરાશ 11 વખત પડખું બદલતી હોય છે). અનિયંત્રિત રીતે શરાબનું સેવન કરવાથી ઊંઘ ઉપર તેની વિપરિત અસર પડતી હોવાનું જણાયું છે, જ્યારે નિયમિત કસરતથી તેમાં સુધારો આવતો હોવાનું માલૂમ પડ્યું છે. અલબત્ત, ઘણું-ખરું સંશોધન હજુ પ્રાથમિક સ્થિતિમાં છે અને તે પ્રાણીઓ પરના અભ્યાસો ઉપર આધારિત છે, આથી કોઈ નક્કર ભલામણ કરતાં પહેલાં માનવો પર તેનું યોગ્ય પરીક્ષણ કરવું જરૂરી છે.
તંદુરસ્ત રહો
શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવામાં પરસેવો નહીં, બલ્કે વ્યાયામ ઉપયોગી બની શકે છે.
હોટ યોગા સેશન્સ, સોનામાં બેસવું તથા ગરમ સ્ટુડિયોમાં વર્ક આઉટ કરવું – આ તમામ પ્રવૃત્તિઓ લોકપ્રિય થઈ રહી છે, પણ “પરસેવા દ્વારા ઝેરી તત્ત્વો બહાર કાઢી શકાય છે” – તેવા દાવા બાબતે વિજ્ઞાનીઓ આશંકા સેવે છે. યુનિવર્સિટી ઑફ સાઉધમ્પ્ટનના ફિઝિયૉલૉજીના પ્રોફેસર ડૅવિડ ફિલિંગેરીએ ઑક્ટોબર, 2025માં બીબીસીને જણાવ્યું હતું કે, આ દાવાને સાચો સાબિત કરતા “મજબૂત પ્રાયોગિક પુરાવા” હોવાનું તેમની જાણમાં નથી. જ્યારે, “ધ જોય ઑફ સ્વૅટ”નાં લેખિકા તથા કૅમિસ્ટ સારાહ ઍવર્ટ્સે આ દાવાને “તદ્દન પાયાવિહોણો” ગણાવ્યો હતો.
આ બધી પ્રક્રિયાઓ તથા આરોગ્યલક્ષી અન્ય વ્યવહારુ ફેરફારો માટે લાંબો સમયગાળો મહત્ત્વનો બની રહે છે. નિષ્ણાતો પણ નોંધે છે કે, જાન્યુઆરીમાં શરાબનું સેવન ન કરવાથી આરોગ્યમાં ટૂંકા ગાળાના થોડા લાભ થઈ શકે છે, પણ સમગ્ર વર્ષ દરમિયાન સીમિત માત્રામાં દારૂ પીવો, તે સ્વાસ્થ્ય માટે વધુ અગત્યનું છે. મેડિટેરેનિયન ડાયટને કાયમી ધોરણે અપનાવવો એ ખાવાની આદતોમાં કરાયેલો સૌથી તંદુરસ્ત ફેરફાર હોવાનું વિજ્ઞાનીઓ ઘણી વખત જણાવતા હોય છે. (લાંબું અને સ્વસ્થ જીવન જીવવા માટે જીવનશૈલીના કેટલાક શ્રેષ્ઠ ફેરફારો વિશે વધુ વાંચો.)
આથી, આ મહિને વિજ્ઞાન પર આધારિત ફેરફારો લાવવા માટે પ્રયત્ન કરો – પણ જો તમે આરોગ્યના વાસ્તવિક ફાયદા જોવા ઇચ્છતા હો, તો તમારે અમુક સપ્તાહોને બદલે લાંબા સમય સુધી તેને વળગી રહેવું જરૂરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



