Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Sajjad HUSSAIN / AFP via Getty
2 કલાક પહેલા
વાંચવાનો સમય: 3 મિનિટ
બાંગ્લાદેશનાં ચૂંટણીપરિણામોમાં જમાત-એ-ઇસ્લામીની હાર થઈ છે. એ પછી જમાતના વડા શફીકુર રહમાને ચૂંટણીપ્રક્રિયા ઉપર ગંભીર પ્રકારના આરોપ મૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે મતદાન ભલે નિષ્પક્ષ રહ્યું હોય, પરંતુ મતગણતરી દરમિયાન ‘ગેરરીતિ તથા હેરફેર’ મારફત ચૂંટણીપરિણામોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
13મી સંસદીય ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શફીકુર રહમાને શુક્રવારે રાત્રે ઢાકાસ્થિત પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયે 11 દળોનાં ચૂંટણીગઠબંધન વતી પત્રકારપરિષદ સંબોધી હતી. જેમાં તેમણે અનેક આરોપ મૂક્યા હતા.
બાંગ્લાદેશના અખબાર ‘ધ ડેઇલી સ્ટાર‘ના અહેવાલ પ્રમાણે, જમાતના વડાએ દેશના અલગ-અલગ ભાગોમાં ગઠબંધનના નેતાઓ, કાર્યકર્તાઓ, એજન્ટો તથા મતદારોનાં ઘરો ઉપર હુમલાનાં પણ આરોપ મૂક્યા હતા. તેમણે આ પ્રવૃત્તિઓને ‘ફાસીવાદી’ જણાવી હતી.
જમાત-એ-ઇસ્લામીના વડા શફીકુર રહમાને કહ્યું, “ચૂંટણીમાં હારજીત થવી સ્વાભાવિક છે. અને જો તે સામાન્ય સ્વરૂપે થાય તો લોકો તેનો સ્વીકાર કરે છે, પરંતુ જો મોટાપાયે ભેદભાવ કે અનિયમિતતા આચરવામાં આવે તો સ્વાભાવિકપણે સવાલ ઊભા થાય છે.”
તેમણે કહ્યું, “જે લોકો આવા ખોટા કામમાં સામેલ છે, તેમણે આની પૂરેપૂરી જવાબદારી લેવી રહી.”
શફીકુર રહમાને આરોપ મૂક્યો હતો કે અનેક સ્થળોએ અચાનક જ પરિણામોની જાહેરાત અટકાવી દેવામાં આવી હતી.
તેમણે કહ્યું, “અમારી પાસે એવા દસ્તાવેજ છે, જે દર્શાવે છે કે અનેક સ્થળોએ રિઝલ્ટ શીટ સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં. કેટલીક બેઠકો ઉપર બેવડા માપદંડ અપનાવવામાં આવ્યા હતા.”
‘ઈરાનનો કાયમ માટે ઉકેલ આવી જશે’
ઇમેજ સ્રોત, EPA
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે 47 વર્ષોથી ઈરાન માત્ર વાતો જ કરી રહ્યું છે અને લોકોનાં જીવ જઈ રહ્યાં છે.
પત્રકારો સાથેની ટ્રમ્પની વાતચીતને ટાંકતા ન્યૂઝ એજન્સી એએનઆઈ લખે છે, “47 વર્ષથી તેઓ વાતો, વાતો અને વાતો જ કરી રહ્યા છે. તેઓ વાટાઘાટો કરે એ ગાળામાં આપણે જીવ ગુમાવ્યા છે. જોઈએ શું થાય છે.”
“દરમિયાન જબરદસ્ત તાકત પહોંચી છે અને તમે જાણો છો એ મુજબ વધારાના (ઍરક્રાફ્ટ) કૅરિયર્સ, ટૂંક સમયમાં રવાના થશે. અમે જોઈશું. એક વખત અને કાયમને માટે ઉકેલ આવી જાય તે સારું હશે.”
તેમણે ઈરાનના મોરચે મોટાપાયે નૌકાકાફલો મોકલવામાં આવ્યો હોવાની વાત પણ કરી હતી.
ટ્રમ્પે કહ્યું, “આપણે ઈરાનમાં ખૂબ જ મોટો નૌકાકાફલો મોકલ્યો છે. ડીલ થઈ જાય તો મને ગમશે. ડીલ કરવાની બાબતમાં તેઓ કપરા છે. ગઈ વખતે મને હતું કે ડીલ થઈ જશે.”
ટ્રમ્પે ફરીથી દાવો કર્યો હતો કે 10 મહિનાના ગાળામાં તેમણે આઠ યુદ્ધ અટકાવ્યા હતા અને તેમાં રશિયા-યુક્રેનની લડાઈ ખૂબ જ કપરી રહી છે.
‘વિશ્વમાં નિયમ આધારિત વ્યવસ્થા નથી રહી’
ઇમેજ સ્રોત, EPA/Shutterstock
મ્યૂનિચ સિક્યૉરિટી કૉન્ફરન્સને સંબોધિત કરતા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ત્ઝે કહ્યું હતું કે ‘નિયમ આધારિત વૈશ્વિકવ્યવસ્થાનું અસ્તિત્વ’ નથી રહ્યું.
વિશ્વના અન્ય નેતાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે મહાસત્તાઓનાં રાજકારણમાં “આપણી સ્વતંત્રતાની ગૅરંટી” નથી રહી અને યુરોપિયનોએ “કુર્બાની” આપવા તૈયાર રહેવું જોઈએ.
તેમણે સ્વીકાર્યું હતું કે “અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપક તિરાડ પ્રવર્તે છે.”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર ગ્રીનલૅન્ડને અમેરિકા સાથે જોડવાની વાત કરી ચૂક્યા છે. જે યુરોપિયન દેશ ડેન્માર્કનો અર્ધ-સ્વાયત પ્રદેશ છે.
આ કૉન્ફરન્સ દરમિયાન અમેરિકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું, “વિશ્વનો સમય ખૂબ જ ઝડપભેર બદલાઈ રહ્યો છે. આપણે ભૂરાજકારણના એવા યુગમાં જીવી રહ્યા છીએ કે જ્યાં આપણે આપણી ભૂમિકા શું છે, તે જોવું પડશે.”
નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટે ટ્રાન્સ-ઍટલાન્ટિક સંબંધો ઉપર અગાઉ જેવી જ નિકટતા ઉપર ભાર મૂક્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



