Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
એક કલાક પહેલા
વાંચવાનો સમય: 2 મિનિટ
ઇઝરાયલનું કહેવું છે કે લેબનોનમાં તેનું યુદ્ધ હજુ નથી પત્યું.
હિઝબુલ્લાહ કહે છે કે, તેને ઇઝરાયલી હુમલાઓનો જવાબ આપવાનો અધિકાર છે અને તેણે ઉત્તર ઇઝરાયલ પર રૉકેટ છોડ્યાં છે, કારણ કે લેબનોન યુદ્ધવિરામનો ભાગ છે કે નહીં તે અંગે હજુ અસંમતિ છે.
બુધવારે આ સંઘર્ષમાં ઇઝરાયલ દ્વારા લેબનોન પર સૌથી ભારે બૉમ્બમારો કરવામાં આવ્યો હતો. 10 મિનિટ સુધી દેશ પર ભારે હુમલો કરવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, કમસે કમ 182 લોકો માર્યા ગયા છે અને 800થી વધુ ઘાયલ થયા છે.
બેરુત પર થયેલા સૌથી મોટા હવાઈ હુમલામાં ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓ કલાકો સુધી ક્ષતિગ્રસ્ત ઇમારતોના કાટમાળ વચ્ચે ઘણા હસતાં પરિવારોના તસવીરો, કપડાના ટુકડા, કોઈ બાળકનું શાળાનું હોમવર્ક જે અધૂરું રહી ગયું હતું જેવી ચીજવસ્તુઓ મળી આવી હતી. રાજધાનીના કેન્દ્રની આટલી નજીક આવેલા વિસ્તારમાં કેટલો વિનાશ થયો તેનો અંદાજ લગાવવો મુશ્કેલ હતો.
અબ્દેલકાદર મહફૂઝ હુમલામાં ઘાયલ થયેલા તેના ભાઈને મળવા આવ્યા હતા.
તેઓ કહે છે, “અહીં શરીરનાં જુદાં જુદાં અંગો પડેલાં મળ્યાં હતાં. સામાન્ય માણસોને નુકસાન થઈ રહ્યું છે, લોકો શું કરી શકે? આપણે કંઈ કરી શકતા નથી. કદાચ હું એક બૉમ્બ હોત તો, જે પણ આ માટે જવાબદાર છે તેના પર જઈને પડત. દુશ્મન સહેજ પણ દયા રાખતો નથી.”
લેબનોનમાં ઘણા લોકો હિઝબુલ્લાહથી ગુસ્સામાં છે, તેઓ કહે છે કે તેણે દેશને અનિચ્છનીય યુદ્ધમાં ધકેલી દીધો છે. તેઓ આ દેશમાં આટલો વિનાશ લાવવા માટે ઇઝરાયલને પણ દોષી ઠેરવે છે.
ઈરાનના વિદેશમંત્રીએ કહ્યું – ‘યુદ્ધવિરામ અને યુદ્ધ એકસાથે ન થઈ શકે’
ઇમેજ સ્રોત, Sedat Suna/Getty Images
ઈરાનના વિદેશમંત્રીએ કહ્યું છે, અમેરિકાએ નક્કી કરવું પડશે કે તે યુદ્ધવિરામ ઇચ્છે છે કે યુદ્ધ, કારણ કે બંને એકસાથે થઈ શકતા નથી.
ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું.”ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ માટેની શરતો સ્પષ્ટ છે – અમેરિકાએ યુદ્ધવિરામ કે ઇઝરાયલ દ્વારા યુદ્ધ ચાલુ રાખવા વચ્ચે પસંદગી કરવી પડશે. બંને એકસાથે નહીં થઈ શકે.”
તેમણે આગળ લખ્યું કે “લેબનોનમાં થઈ રહેલા નરસંહાર પર દુનિયા નજર રાખી રહી છે. હવે બૉલ અમેરિકાના પક્ષે છે, દુનિયા જોઈ રહી છે કે તે પોતાનાં વચનોનું પાલન કરે છે કે નહીં.”
ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલે યુદ્ધવિરામની ઘોષણાને સમર્થન આપ્યું હતું. જોકે, તેણે કહ્યું હતું કે યુદ્ધવિરામ “લેબનોન પર લાગુ પડતું નથી.” તે હાલ પણ લેબનોન પર હુમલો કરી રહ્યું છે.
જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું હતું કે ‘લેબનોનમાં પણ યુદ્ધવિરામ લાગુ કરવામાં આવશે’.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



