Home તાજા સમાચાર gujrati Ind Vs WI : ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવું કેટલું મુશ્કેલ, ઇડન ગાર્ડન્સ...

Ind Vs WI : ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવું કેટલું મુશ્કેલ, ઇડન ગાર્ડન્સ પર વેસ્ટ ઇન્ડિઝ સામે કેવો છે ટીમ ઇન્ડિયાનો રેકૉર્ડ?

13
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારત વેસ્ટ ઇન્ડીઝ ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ ઇડન ગાર્ડન

ઇમેજ સ્રોત, Getty Images

1 માર્ચ 2026, 10:04 IST

અપડેટેડ 32 મિનિટ પહેલા

વાંચવાનો સમય: 2 મિનિટ

હાલમાં ચાલી રહેલા ટી20 વર્લ્ડકપમાં એક પછી એક ટીમો બહાર ફેંકાઈ રહી છે અને અત્યાર સુધીમાં માત્ર ન્યૂઝિલૅન્ડ અને ઇંગ્લૅન્ડની ટીમો સેમિફાઇનલ માટે નક્કી થઈ છે.

હવે બધાની નજર ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે રમાનારી મૅચ પર રહેશે. ભારત અથવા વેસ્ટ ઇન્ડિઝ બેમાંથી એક ટીમ જ સેમિફાઇનલમાં પ્રવેશી શકશે અને તેનો નિર્ણય આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં થવાનો છે.

વર્લ્ડકપ શરૂ થયો એ પહેલાં ભારતને હૉટ ફેવરિટ માનવામાં આવતી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં પરાજય બાદ સેમિફાઇનલમાં પહોંચવાની આશા સંકટમાં મૂકાઈ ગઈ હતી.

હવે, રવિવારે વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચ ‘ક્વાર્ટર ફાઇનલ’ જેવી ટક્કર બની રહેશે. રવિવારની મૅચમાં જે કોઈ ટીમ વિજેતા થશે, તે દક્ષિણ આફ્રિકાની સાથે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરશે.

ટુર્નામેન્ટમાં ચાર મૅચ જીત્યા બાદ, પાંચમો મુકાબલો હારીને ભારતે કડવા પાઠ ભણ્યા છે. છતાં હજુ કેટલીક સમસ્યાઓ દેખાઈ રહી છે.

સેમિફાઇનલ માટે મહત્ત્વની મૅચ

મહત્ત્વની વાત એ છે કે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 10 વર્ષ પછી ટી20 વર્લ્ડકપની કોઈ મૅચમાં મુકાબલો થવાનો છે. છેલ્લે 2016ના ટી20 વર્લ્ડકપમાં ભારત અને વિન્ડિઝ સામસામે આવ્યા હતા અને તે વર્લ્ડકપની સેમિફાઇનલ મૅચ હતી. તેમાં ભારત સામે વેસ્ટ ઇન્ડિઝનો વિજય થયો હતો અને તેણે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી ફાઇનલ પણ વેસ્ટ ઇન્ડિઝ જીતી ગયું હતું.

બીબીસી ગુજરાતી ભારત વેસ્ટ ઇન્ડીઝ ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ ઇડન ગાર્ડન

ઇમેજ સ્રોત, Indranil MUKHERJEE / AFP via Getty Images

આ વખતે સેમિફાઇનલ માટે બંને ટીમો વચ્ચે ટક્કર થશે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ આમ તો વર્ષોથી બહુ નબળી ગણાય છે, પરંતુ તાજેતરમાં તેના પ્રદર્શનમાં સુધારો થયો છે.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ચાર ટી20 વર્લ્ડકપ મૅચ રમાઇ છે જેમાં ભારત માત્ર એક મૅચ જીતી શક્યું છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝને ભારત સામે ત્રણ વખત જીત મળી છે. સૂર્યકુમાર યાદવની ટીમ આ વખતે કેવો દેખાવ કરે છે તેના પર બધાની નજર રહેશે.

ભારત અને વિન્ઝિડ વચ્ચે 2009માં લૉર્ડ્સના મેદાન પર ટી20 વર્લ્ડકપની મૅચ રમાઈ હતી જેમાં વેસ્ટ ઇન્ડિઝનો સાત વિકેટે વિજય થયો હતો.

ત્યાર પછી 2010માં બ્રિજટાઉનમાં રમાયેલી મૅચમાં પણ વેસ્ટ ઇન્ડિઝે 14 રને વિજય મેળવ્યો હતો.

2014માં મીરપુરમાં બંને ટીમો વચ્ચે મુકાબલો થયો જેમાં ભારત સાત વિકેટે જીત્યું હતું.

છેલ્લે 2016માં વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને સાત વિકેટે પરાજય આપ્યો હતો.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે તમામ ટી20 મૅચનો રેકૉર્ડ જોવામાં આવે તો તેમાં ભારત આગળ છે.

બંને દેશો વચ્ચે કુલ 30 ટી20 ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ છે. તેમાંથી 19 મૅચમાં ભારતની જીત થઈ છે જ્યારે વેસ્ટ ઇન્ડિઝનો 10 વખત વિજય થયો છે.

એક મૅચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.

ભારત માટે રાહતની વાત એ છે કે ઇડન ગાર્ડન્સ ખાતે અત્યાર સુધીમાં ભારત ચાર મૅચ રમ્યું છે અને દરેક વખતે ભારતનો વિજય થયો છે. પરંતુ તેવી જ રીતે વેસ્ટ ઇન્ડિઝને પણ આ મેદાનમાં હંમેશા સફળતા મળી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS