Home તાજા સમાચાર gujrati IND vs SA : વર્લ્ડકપમાં ભારતની પ્રથમ હારે છતી કરી આ ચાર...

IND vs SA : વર્લ્ડકપમાં ભારતની પ્રથમ હારે છતી કરી આ ચાર નબળાઈ, જો નહીં સુધારે તો સેમિફાઇનલની સફર મુશ્કેલ?

27
0

Source : BBC NEWS

ભારત અમદાવાદની મેચ કેમ હાર્યું, અભિષેક શર્મા ફરી નિષ્ફળ, જસપ્રીત બુમરાહ, પાવરપ્લે, ભારત દક્ષિણ આફ્રિકા મેચ, સુપર-8 રાઉન્ડ, ટી20 વર્લ્ડકપ, અમદાવાદ ટી20 મેચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Matt Roberts-ICC/ICC via Getty Images

22 ફેબ્રુઆરી 2026, 22:49 IST

અપડેટેડ 11 મિનિટ પહેલા

વાંચવાનો સમય: 6 મિનિટ

દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રનોથી હરાવ્યું છે. ટીમ ઇન્ડિયાની બેટિંગ ફ્લૉપ સાબિત થઈ છે. આ હારને કારણે ટીમ ઇન્ડિયાનો રન-રેટ પણ ભયંકર રીતે પ્રભાવિત થયો છે.

આ હારને કારણે ભારતની આઈસીસી મૅન્સ ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં પ્રવેશવાની આશાને ઝાટકો લાગ્યો છે.

ટૉસ જીતીને દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાએ 187 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ટીમ ઇન્ડિયા 111 રનના સ્કોર પર ઢેર થઈ ગઈ. દક્ષિણ આફ્રિકાએ આ મૅચમાં ચાર બદલાવ કર્યા હતા જ્યારે કે ટીમ ઇન્ડિયા એ જ ટીમ સાથે મેદાનમાં ઉતરી હતી.

આઈસીસી મૅન્સ વિશ્વકપ 2026ના સુપર-8 મુકાબલામાં આજે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે 188 રનનું લક્ષ્યાંક આપ્યું છે. દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં સાત વિકેટના ભોગે 187 રન બનાવ્યા હતા.

અમદાવાદમાં ચાલી રહેલી આ મૅચમાં દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી.

ભારતીય ફાસ્ટ બૉલરો જસપ્રીત બુમરાહ અને અર્શદીપસિંહે સુંદર બૉલિંગ કરી હતી. દક્ષિણ આફ્રિકાના ઓપનર્સની બેટમાંથી પહેલી બાઉન્ડ્રી 10મા બૉલ પર આવી હતી. બીજા જ બૉલમાં જસપ્રીત બુમરાહે ડી-કૉકને બોલ્ડ કરીને ભારતને પહેલી સફળતા અપાવી.

અર્શદીપે પણ ત્રીજી ઓવરમાં ચોથા બૉલે કૅપ્ટન મારક્રમની વિકેટ લીધી હતી.

2.4 ઓવર બાદ દક્ષિણ આફ્રિકાનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 12 રન હતો. ચોથી ઓવરના છેલ્લા બૉલ પર જસપ્રીત બુમરાહે રયાન રિકલ્ટનને પણ ચાલતા કરી દીધા. રિકલ્ટને માત્ર સાત રન બનાવ્યા હતા. તે સમયે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 6 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે માત્ર 41 રન હતો.

પરંતુ ત્યાર બાદ ડેવાલ્ડ બ્રેવિસ અને ડૅવિડ મિલરે બાજી સંભાળી. પરંતુ શિવમ દુબેએ તેમની ભાગીદારી 13મી ઓવરમાં તોડી. તેમણે બ્રેવિસને આઉટ કર્યા. બ્રેવિસે 29 બૉલમાં 45 રન બનાવ્યા હતા. 16મી ઓવરમાં વરૂણે દક્ષિણ આફ્રિકાને પાંચમો ઝાટકો આપ્યો. તેમણે મિલરને આઉટ કરી દીધા. મિલરે 35 બૉલમાં 63 રનની પારી રમી હતી. 18મી ઓવરમાં અર્શદીપે જાનસનને પણ ચાલતા કરી દીધા.

19મી ઓવરમાં બુમરાહે કૉર્બિન બૉશને કૉટ એન્ડ બોલ્ડ કર્યા. બૉશે પાંચ રન બનાવ્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સે માત્ર 24 બૉલમાં 44 રન બનાવ્યા હતા. તેઓ નૉટઆઉટ રહ્યા હતા.

બુમરાહે ત્રણ, અર્શદીપે બે અને વરૂણ તથા શિવમ દૂબેએ એક-એક વિકેટ લીધી હતી.

પરંતુ જવાબમાં 188 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત જ ખરાબ રહી અને પહેલી ઓવરમાં જ ઈશાન કિશન આઉટ થઈ ગયા. છેક 9મી ઓવરમાં ભારતે 50 રનનો આંકડો પાર કર્યો. તે વખતે ભારતની પાંચ વિકેટ પડી ચૂકી હતી.

હાર્દિક અને રિંકૂ પણ ફ્લૉપ રહ્યા. એક માત્ર શિવમ દૂબેએ 42 રનની પારી રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી યાન્સેને ચાર વિકેટ ઝડપી હતી અને કેશવ મહારાજે ત્રણ વિકેટ ઝડપી હતી.

ભારતની સમસ્યા

ભારત અમદાવાદની મેચ કેમ હાર્યું, અભિષેક શર્મા ફરી નિષ્ફળ, જસપ્રીત બુમરાહ, પાવરપ્લે, ભારત દક્ષિણ આફ્રિકા મેચ, સુપર-8 રાઉન્ડ, ટી20 વર્લ્ડકપ, અમદાવાદ ટી20 મેચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય ટીમે તેની લીગ મૅચો પૈકીની તમામ ચાર મૅચ જીતી હોવા છતાં ભારતની કેટલીક સમસ્યાઓ સામે આવી છે.

અભિષેક શર્મા અને તિલક વર્માના ફૉર્મ, સ્પીન બૉલરો સામે ટકવામાં સંઘર્ષરત ભારતીય બૅટ્સમૅન તરફ નિષ્ણાતો લાલબત્તી ધરી રહ્યા છે.

માત્ર શર્મા અને વર્મા જ નહીં, પરંતુ આખી ભારતીય ટીમ જ સ્પીન બૉલરો સામે રમવામાં મુશ્કેલી અનુભવતી હોય, એવું ઊડીને આંખે વળગે છે.

અગાઉની મૅચ દરમિયાન પણ સ્પીન બૉલરોએ જ અભિષેક શર્માને પરેશાન કર્યા હતા. ઇશાન કિશન ફૉર્મમાં હતા પરંતુ તેમની વિકેટ પણ ઑફ-સ્પીન બૉલરોએ જ ઝડપી હતી.

ભારતના ત્રણેય અગ્રણી બલ્લેબાજ ડાબોડી છે. જેથી કરીને સામેવાળી ટીમ ઑફ-સ્પીનરો પાસે બૉલિંગ આક્રમણની શરૂઆત કરાવે છે. પાકિસ્તાન અને નૅધરલૅન્ડ્સે આવું જ કર્યું હતું. દક્ષિણ આફ્રિકા પણ એ જ વ્યૂહરચના અપનાવી હતી અને કૅપ્ટન મારક્રમે ઓવરની શરૂઆત કરી. તેમને ભારતની પીચો પર બૉલિંગ કરવાનો અનુભવ હતો અને તે કામે લાગ્યો.

દક્ષિણ આફ્રિકાએ ગ્રૂપ સ્ટેજની ચારમાંથી ત્રણ મૅચો અમદાવાદ ખાતે રમી હતી.

ટુર્નામેન્ટની શરૂઆતથી જ તેઓ અહીં તાલીમ લઈ રહ્યા છે. એટલે તેઓ આ પિચ અને સ્ટેડિયમથી વાકેફ છે. આ બાબત સુપર-8ની મૅચના તબક્કે દક્ષિણ આફ્રિકા માટે લાભકારક નીવડી હતી.

અભિષેક ફરી નિષ્ફળ

ભારત અમદાવાદની મેચ કેમ હાર્યું, અભિષેક શર્મા ફરી નિષ્ફળ, જસપ્રીત બુમરાહ, પાવરપ્લે, ભારત દક્ષિણ આફ્રિકા મેચ, સુપર-8 રાઉન્ડ, ટી20 વર્લ્ડકપ, અમદાવાદ ટી20 મેચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

અભિષેક શર્મા ફરી વખત નિષ્ફળ ગયા છે. 5મી ઓવરમાં જ ભારતીય ટીમને અભિષેક શર્માના રૂપમાં ત્રીજો ઝાટકો લાગ્યો હતો.

અભિષેક શર્મા મોટો ફટકો લગાવવાની ચાહમાં કૅચ આઉટ થઈ ગયા. તેમણે 12 બૉલમાં માત્ર 15 રન બનાવ્યા.

તેમણે ફટકારેલો બૉલ બહુ ઊંચો ગયો હતો, પરંતુ તેમાં કોઈ દૂરી નહોતી. બે ખેલાડી બૉશ અને મહારાજ બૉલનો પીછો કરી રહ્યા હતા. તેઓ લગભગ ટકરાઈ ગયા પરંતુ કૉર્બિન બૉશે બૉલને પકડી લીધો.

અગાઉ વિશ્વના ટોચના ટી20 બૅટ્સમૅન વિશ્વકપની પહેલી ત્રણ ઇનિંગમાં સતત ત્રણ વખત (યુએસ, પાકિસ્તાન અને નૅધરલૅન્ડ્સ) શૂન્ય રને આઉટ થયા હતા. તેમનું નબળું ફૉર્મ આ મૅચમાં પણ યથાવત્ રહ્યું હતું.

અભિષેકે વર્ષ 2024માં ટી-20 ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને પહેલી જ મૅચમાં શૂન્ય રને આઉટ થઈ ગયા હતા, પરંતુ એ પછીની મૅચમાં સદી ફટકારીને તેમણે લોકોને પ્રભાવિત કર્યા હતા.

ટી20 વર્લ્ડકપ શરૂ થયો એ પહેલાં અભિષેક શર્માને ભારતનું કારગત હથિયાર માનવામાં આવતા હતા. હવે, ફૅન્સ તેમના પ્રદર્શન અંગે ચર્ચા અને ચિંતા કરવા લાગ્યા છે.

અક્ષરની જગ્યાએ વૉશિંગ્ટનને લેવાનો પ્લાન નિષ્ફળ

ભારત અમદાવાદની મેચ કેમ હાર્યું, અભિષેક શર્મા ફરી નિષ્ફળ, જસપ્રીત બુમરાહ, પાવરપ્લે, ભારત દક્ષિણ આફ્રિકા મેચ, સુપર-8 રાઉન્ડ, ટી20 વર્લ્ડકપ, અમદાવાદ ટી20 મેચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MB Media/Getty Images

ટીમ ઇન્ડિયાએ ટીમના ઉપકપ્તાન અક્ષર પટેલની જગ્યાએ વૉશિંગ્ટન સુંદરને લીધા હતા. પરંતુ અક્ષર પટેલની જગ્યાએ સુંદરને લેવાની યોજના અસફળ સાબિત થઈ હતી.

સુંદરે ન તો બૉલિંગમાં કમાલ દેખાડી ન તેમણે બેટિંગમાં સારું પ્રદર્શન કર્યું.

વૉશિંગ્ટને બે ઓવર કરી હતી. આ બે ઓવરમાં તેમણે 8.50ની એવરેજ સાથે કુલ 17 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લીધી નહોતી.

જ્યારે કે તેમને જ્યારે ટીમ ઇન્ડિયા બેટિંગ કરતી વખતે મુશ્કેલીમાં હતી ત્યારે તેમને મેદાનમાં મોકલ્યા હતા પરંતુ તેઓ 11 બૉલમાં માત્ર 11 રન બનાવીને કૉબિન બૉશની બૉલિંગમાં ડિ-કૉકના હાથે કૉટ-બિહાઇન્ડ આઉટ થઈ ગયા હતા. તેમણે તેમની ઇનિંગમાં એક માત્ર સિક્સ ફટકારી હતી.

50 રનમાં જ ચાર વિકેટ

ભારત અમદાવાદની મેચ કેમ હાર્યું, અભિષેક શર્મા ફરી નિષ્ફળ, જસપ્રીત બુમરાહ, પાવરપ્લે, ભારત દક્ષિણ આફ્રિકા મેચ, સુપર-8 રાઉન્ડ, ટી20 વર્લ્ડકપ, અમદાવાદ ટી20 મેચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Shammi MEHRA / AFP via Getty Images

188 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની પારી લડખડાઈ હતી. પહેલી જ ઓવરમાં ઓપનર ઈશાન કિશન ચોથા બૉલ પર કોઈ પણ રન બનાવ્યા વગર પેવેલિયન ભેગા થઈ ગયા હતા. તેમની વિકેટ દક્ષિણ આફ્રિકાના કૅપ્ટન મારક્રમે લીધી હતી. ત્યાર પછી બીજા ઓવરની પહેલી જ બૉલમાં તિલક વર્મા પણ એક રને આઉટ થઈ ગયા. તેમની વિકેટ યાન્સને લીધી હતી.

પાવરપ્લે સમાપ્ત થયો ત્યારે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 31 રન હતો. તેની રન-રેટ 5.17ની હતીય જીત માટે જરૂરી રન-રેટ 11.28ની થઈ ગઈ હતી. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને વૉશિંગ્ટન સુંદર રમી રહ્યા હતા.

એટલામાં ભારતીય ટીમને ચોથો ઝાટકો લાગ્યો હતો. કૉર્બિન બૉશે વૉશિંગ્ટન સુંદરને પોતાનો શિકાર બનાવ્યા હતા. બેટનો બહારનો ભાગ લાગ્યો અને બૉલ વિકેટકીપરના હાથે ચઢી ગયો.

પાંચમા સ્થાને વૉશિંગ્ટન સુંદરને મોકલવાનો ટીમ ઇન્ડિયાનો પ્લાન સાવ નિષ્ફળ રહ્યો.

ભારતની જ્યારે ચોથી વિકેટ પડી ત્યારે તેનો સ્કોર હતો માત્ર 43 રન.

સૂર્યકુમાર યાદવ પણ ન ચાલ્યા

ભારત અમદાવાદની મેચ કેમ હાર્યું, અભિષેક શર્મા ફરી નિષ્ફળ, જસપ્રીત બુમરાહ, પાવરપ્લે, ભારત દક્ષિણ આફ્રિકા મેચ, સુપર-8 રાઉન્ડ, ટી20 વર્લ્ડકપ, અમદાવાદ ટી20 મેચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Matt Roberts-ICC/ICC via Getty Images

પાંચ રનમાં ભારતની બે વિકેટ પડી ગઈ હતી અને ટીમ ઇન્ડિયાના કૅપ્ટન સૂર્યકુમાર યાદવ મેદાનમાં હતા. ઈશાન અને તિલક પેવેલિયન ભેગા થઈ ગયા હતા. સૂર્યકુમાર યાદવે અભિષેક શર્મા સાથે ઇનિંગને આગળ ધપાવવાની હતી.

પરંતુ સૂર્યા એક બાજુ ઊભા રહી ગયા અને સામે વિકેટ પડતી ગઈ. માર્કો યાન્સને અભિષેકને કૅચ આઉટ કરાવ્યા. ત્યાર બાદ આવેલા સુંદર પણ 8મી ઓવરમાં આઉટ થઈ ગયા.

તેમના પર જીતવા માટે જરૂરી રન-રેટનું દબાણ વધતું જતું હતું. ભારતને તેના કૅપ્ટનથી વધારે ઉમ્મીદ હતી. ભારતને પાર્ટનરશિપની જરૂર હતી. પરંતુ ત્યારે જ 10મી ઓવરમાં કૅપ્ટન સૂર્યકુમાર કૅચ આઉટ થઈ ગયા.

કૉર્બિન બૉશની ઓવરમાં સૂર્યકુમારે બ્રેવિસને કૅચ આપી દીધો. 144.3 કિમી પ્રતિ કલાકની લેન્થ બૉલ પર સૂર્યકુમાર લેગ સાઇડ પર સ્ક્વૅયરની પાછળ મોટો શૉટ લગાવવાની કોશિશમાં હતા. પરંતુ બૉલ બેટના નીચલા ભાગને લાગીને મિડવિકેટ તરફ ચાલી ગઈ અને બ્રેવિસે શાનદાર કૅચ લઈને તેમને આઉટ કરી દીધા. આમ સૂર્યકુમાર યાદવની વિકેટ પડતાની સાથે ભારતની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

સૂર્યકુમાર યાદવે 22 બૉલમાં માત્ર 18 રન બનાવ્યા હતા. 10 ઓવરમાં ભારતનો સ્કોર પાંચ વિકેટે 57 રન હતો. 15મી ઓવરમાં કેશવ મહારાજે પહેલા હાર્દિક અને પછી રિંકૂસિંહની વિકેટ લીધી. હાર્દિકે 18 રન બનાવ્યા, રિંકૂ તો ખાતું પણ નહોતા ખોલાવી શક્યા. આ જ ઓવરમાં કેશવે અર્શદીપને પણ ચાલતા કરી દીધા. એક જ ઓવરમાં કેશવ મહારાજે ત્રણ વિકેટ ઝડપી અને ભારતની હાર નિશ્ચિત કરી દીધી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS