Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Reuters/Getty Images
અપડેટેડ એક કલાક પહેલા
વાંચવાનો સમય: 3 મિનિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાને જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
ઈરાનના સરકારી મીડિયાએ કહ્યું છે કે જો ઈરાનનાં ઈંધણ અને ઊર્જા કેન્દ્રો પર હુમલો થશે તો દેશની સેના અમેરિકા સાથે જોડાયેલાં ઊર્જા કૅન્દ્રોને નિશાન બનાવશે.
ઈરાનની આ ચેતવણી ટ્રમ્પની નવી ચેતવણી બાદ આવી છે.
ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાને 48 કલાકની અંદર હોર્મુઝ સામુદ્રધુનીને નહીં ખોલી તો અમેરિકા ઈરાનનાં વીજળી કેન્દ્રોને ‘સંપૂર્ણ પ્રકારે તબાહ’ કરી દેશે.
આ પહેલાં ઈરાને દક્ષિણ ઇઝરાયલ પર મિસાઇલોથી હુમલો કર્યો હતો. નિશાન બનાવવામાં આવેલાં ક્ષેત્રોમાં ઇઝરાયલના અઘોષિત પરમાણુ હથિયાર ભંડાર ધરાવતું શહેર ડિમોના પણ સામેલ છે.
ઈરાને કહ્યું છે કે ‘જંગ હવે નવા ચરણ’માં પહોંચી ગઈ છે.
ઇઝરાયલમાં ઈરાનના ભયંકર મિસાઇલ હુમલા, અનેક લોકોને ઇજા
ઇમેજ સ્રોત, Reuters
ઇઝરાયલની ઇમરજન્સી સેવાઓનું કહેવું છે કે દક્ષિણમાં આવેલા અરદ શહેરમાં થયેલા ઈરાની મિસાઇલ હુમલામાં ભારે નુકસાન થયું છે.
માગેન ડૅવિડ એડોમ નામની ઇમરજન્સી સર્વિસ મુજબ હુમલા પછી 88 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમાંથી 10 લોકો ગંભીર રીતે ઘાયલ છે, 19 લોકોને મધ્યમ ઈજા થઈ છે અને 55 લોકોને સાધારણ ઈજા થઈ છે.
આ હુમલા પછી ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અરદના મેયર સાથે વાત કરી હતી. તેમણે આ હુમલાને ‘અત્યંત મુશ્કેલ સાંજ’ ગણાવી હતી.
નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે “અમારા ભવિષ્ય માટે ચાલતા આ અભિયાનમાં આજની સાંજ બહુ મુશ્કેલ છે. મેં અમારી ઑફિસના ડાયરેક્ટર જનરલને સૂચના આપી છે કે તેઓ તમામ સરકારી મંત્રાલયો સાથે મળીને દરેક જરૂરી સહાયતા ઉપલબ્ધ કરાવે.”
ઈરાનના હુમલા પછી ઇઝરાયલમાં તમામ શાળાઓ બંધ, ઑનલાઇન શિક્ષણ અપાશે
ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલના શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે ડિમોના અને અરદમાં થયેલા ઈરાની હુમલા પછી તેમણે હોમ ફ્રન્ટ કમાન્ડના મેજર જનરલ સાથે વિચારવિમર્શ કર્યો છે.
તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે મેં એવો નિર્ણય લીધો છે કે “રવિવાર અને સોમવારે તમામ પ્રકારની છૂટ સમાપ્ત થઈ જશે અને કોઇ પણ ફિઝિકલ ક્લાસની મંજૂરી નહીં અપાય.”
શિક્ષણ મંત્રી યોઆવ કીશે જણાવ્યું કે આ દરમિયાન વિશેષ શિક્ષણ માટે અપાયેલી રજાઓ પણ રદ કરાશે અને આખા દેશમાં ઑનલાઇન ક્લાસ ચલાવવામાં આવશે. તેમમે કહ્યું કે આ દરમિયાન યલો એરિયા (બાળકો માટે) બંધ રહેશે.
શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે મંગળવાર અગાઉ ફરી પરિસ્થિતિની સમીક્ષા કરીને પછી જ નિર્ણય લેવાશે.
હિમાચલ પ્રદેશમાં આર્થિક સંકટ, મંત્રીઓના પગારમાં કાપ
ઇમેજ સ્રોત, DIPR, Himachal Pradesh
હિમાચલ પ્રદેશમાં આર્થિક સંકટની સ્થિતિ છે જેના કારણે મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સુખ્ખુએ પોતાના વેતનમાં 50 ટકા કાપ મૂકવાની જાહેરાત કરી છે. જ્યારે મંત્રીઓના વેતનમાં 30 ટકા અને ધારાસભ્યોના વેતનમાં 20 ટકાનો કામચલાઉ કાપ મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત આઈએએસ, આઈપીએસ અને આઈએફએસના ટોચના અધિકારીઓનું વેતન 30 ટકા સુધી રોકવામાં આવશે. મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ અને પ્રિન્સિપાલ સેક્રેટરીનું વેતન 30 ટકા અને બાકીના સચિવ અને વિભાગ અધ્યક્ષોનું 20 ટકા વેતન સ્થગિત કરવામાં આવશે.
પોલીસ વિભાગમાં ડીજીપી અને એડીજીપીના સ્તરે 30 ટકા વેતન સ્થગિત કરાશે. જ્યારે આઈજી, ડીઆઈજી, એસએસપી અને એસપીના સ્તરે 20 ટકા વેતન સ્થગિત કરવામાં આવશે.
વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ માટે પણ આવી જ વ્યવસ્થા રહેસે. ગ્રૂપ એ અને ગ્રૂપ બીના અધિકારીઓના વેતનનો ત્રણ ટકા હિસ્સો છ મહિના માટે સ્થગિત થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



