Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 2 કલાક પહેલા
વાંચવાનો સમય: 2 મિનિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જરૂર પડે તો અમેરિકાની નૌસેના જલદી હૉર્મુઝ સામુદ્રધુનીથી પસાર થનારાં તેલનાં ટૅન્કરોને સુરક્ષા આપશે.
અમેરિકા-ઇઝરાયલ તથા ઈરાન વચ્ચે જારી યુદ્ધને કારણે આ સમુદ્રના રસ્તા પરથી પસાર થનારાં જહાજોની અવરજવર ઠપ થઈ ગઈ છે. આ રસ્તો પર્શિયન ગલ્ફ તથા ઓમાનની ખાડી વચ્ચે આવેલો છે.
દુનિયામાં તેલ અને ગૅસના સપ્લાયનો આ સૌથી મહત્ત્વનો રસ્તો છે. દિવસના લગભગ 2 કરોડ બૅરલ તેલ આ રસ્તાથી પસાર થાય છે.
ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે તેમણે એક સંઘીય એજન્સીને નિર્દેશ આપ્યો છે કે ખાડી ક્ષેત્રમાં સમુદ્રી વ્યાપાર માટે ‘પૉલિટિકલ રિસ્ક ઇન્શ્યૉરન્સ તથા ગૅરંટી’ આપવામાં આવે.
ઇઝરાયલનો દાવો, ‘હિઝબુલ્લાહનાં લગભગ 60 ઠેકાણાંને નિશાન બનાવ્યાં’
ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સેસ (આઈડીએફ)એ કહ્યું છે કે તેણે ઈરાન સમર્થિત સમૂહ હિજબુલ્લાહનાં લગભગ 60 ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં છે.
આઈડીએફે એક નિવેદનમાં જણાવ્યું છે, “જે ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે, તેમાં હથિયાર રાખવાની સુવિધાઓ, કમાન્ડ સેન્ટર, મિસાઇલ લૉન્ચર તથા આતંકવાદી સુવિધા સામેલ હતી.”
હિઝબુલ્લાહ તથા ઇઝરાયલ વચ્ચે કેટલાક સમયથી હુમલાઓ જારી છે.
હિઝબુલ્લાહે દાવો કર્યો છે કે તેણે સ્થાનિક સમયાનુસાર રાત્રે 8 વાગ્યે ઉત્તર ઇઝરાયલના હૈફા નૌસૈનિક અડ્ડાને નિશાન બનાવ્યું. ઇઝરાયલ સેનાના જણાવ્યા પ્રમાણે, કેટલીક મિસાઇલો છોડવામાં આવી હતી, જે પૈકી મહત્તમ હવામાં જ તોડી પાડવામાં આવી.
ન્યૂઝ એજન્સી એએફપીના એક પત્રકારના જણાવ્યા પ્રમાણે, આ ઘટનાઓના કેટલાક કલાક બાદ લેબનોનની રાજધાની બૈરુતમાં એક જોરદાર વિસ્ફોટ સંભળાયો.
આ પહેલાં શનિવારે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ આ વિસ્તારમાં તણાવભરી સ્થિતિ છે.
ઈરાની મીડિયાએ સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના પુત્ર પર આપ્યું આ અપડેટ
ઇમેજ સ્રોત, NurPhoto/Getty Images
ઈરાનના મીડિયાનો દાવો છે કે સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈ ‘સ્વસ્થ’ છે.
બીબીસી પર્શિયન સેવાના જણાવ્યા પ્રમાણે, મેહર ન્યૂઝ એજન્સીએ લખ્યું છે કે “મોજતબા ખામેનેઈ આ સમયે પરિવારમાં ‘શહીદ’ થયેલા લોકો સાથે જોડાયેલા મામલા પર દેખરેખ રાખી રહ્યા છે.
તેઓ કામકાજ સંભાળી રહ્યા છે, સલાહ-સૂચન લઈ રહ્યા છે. અને દેશના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સમીક્ષા કરી રહ્યા છે.”
મોજતબાને છેલ્લાં કેટલાંક વર્ષોમાં પિતા અલી ખામેનેઈના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે.
હકીકતમાં, ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ ઇઝરાયલ-અમેરિકા તરફથી થયેલા હુમલામાં માર્યા ગયા છે. તેમાં તેમના પરિવારના કેટલાક સભ્યોનાં પણ મોત થયાં છે. મરનારા લોકોમાં મોજતબા ખામેનેઈનાં પત્ની પણ સામેલ હતાં.
ઈરાની મીડિયાએ સોમવારે અલી ખામેનેઈનાં પત્ની મંસૂરેહ ખોજસ્તેહ બાગરજાદેહનાં મોતની પણ પુષ્ટિ કરી હતી. તેઓ ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ઘાયલ થયાં બાદ કોમામાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS


