Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Reuters
2 કલાક પહેલા
વાંચવાનો સમય: 6 મિનિટ
ઈરાન ઉપર ઇઝરાયલ અને અમેરિકાએ હુમલો કર્યો, તે વ્યાજબી છે કે નહીં, તેના વિશેની ચર્ચા આગામી કલાકો અને કદાચ દિવસો સુધી ચાલતી રહેશે.
ઓમાનની મધ્યસ્થતાથી જીનિવામાં ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી, જેમાં ઈરાનના અણુકાર્યક્રમ અને મિસાઇલો જેવી બાબતો ઉપર ચર્ચા થઈ રહી હતી. એ પછી ઓમાનના વિદેશ મંત્રી અમેરિકા ધસી ગયા હતા. જેને સંઘર્ષ અટકાવવા માટેના ‘છેવટના પ્રયાસ’ તરીકે જોવામાં આવ્યા હતા.
ઇઝરાયલ તથા અમેરિકાએ ઈરાનના સર્વોચ્ચ નેતાના ઘરની આસપાસ, આઇઆરજીસીનાં મથકો, નૌકામથકો, તથા મિસાઇલ કેન્દ્રો ઉપર હુમલા કર્યા છે.
બીજી બાજુ, ઈરાને પણ પાડોશના ઇસ્લામિક દેશો ઉપર આક્રમણ કર્યા હોવાના અહેવાલ છે. કતાર, યુએઇ, જૉર્ડન, ઇરાક અને બહરીનમાં અલગ-અલગ સ્થળોએ ધડાકા સંભળાયા છે. ઈરાન દ્વારા મિસાઇલો છોડવામાં આવી હતી, જેને આંતરી લેવામાં આવી હતી.
યુકે, ફ્રાન્સ તથા જર્મનીએ સંયુક્ત નિવેદન બહાર પાડીને પાડોશી દેશો ઉપરના હુમલાને વખોડી કાઢ્યો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ
ઇમેજ સ્રોત, Reuters
ડિસેમ્બર-2025ના અંત ભાગમાં ત્યાંની સરકાર વિરૂદ્ધ દેખાવો શરૂ થયા હતા, જે જાન્યુઆરી-2026 સુધી ચાલુ રહેવા પામ્યા હતા. તેને કડક હાથે દબાવી દેવામાં આવ્યા હતા.
એ પછી જાન્યુઆરી મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વખત ઈરાનની ઉપર બૉમ્બમારો કરવાની ધમકી આપી હતી. જેમાં તેમણે ઈરાનના નાગરિકો ઉપર સત્તાધીશો દ્વારા અત્યાચાર અને તેમની હત્યાની વાત કરી હતી.
એ પછી તેમણે મોટા ભાગે ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
અચાનક એવું તે શું થયું કે તાત્કાલિકપણે સૈન્યકાર્યવાહી કરવાની જરૂર પડી, તે સ્પષ્ટ નથી. કારણ કે ઓમાનની મધ્યસ્થીથી વાટાઘાટો ચાલી રહી હતી.
દાયકાઓથી અમેરિકા અને ઇઝરાયલનો આરોપ છે કે ઈરાન ગુપ્તપણે અણુહથિયાર બનાવવાની પ્રવૃત્તિમાં લાગેલું છે. ઈરાનનું કહેવું છે કે તે તેનો અણુકાર્યક્રમ શાંતિપૂર્ણ હેતુઓ માટે છે.
ઈરાન વિશ્વનો એકમાત્ર દેશ છે કે જેની પાસે અણુહથિયાર નથી પણ હથિયારોમાં વાપરી શકાય એવું ઉચ્ચ ગુણવત્તાવાળું યુરેનિયમ છે.
આ પહેલાં જૂન-2025માં પણ અમેરિકાના બૉમ્બર વિમાનોએ ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ ઉપર હુમલો કર્યો હતો. ઈરાનનું કહેવું છે કે એ પછી તેની યુરેનિયમ સંવર્ધનની પ્રવૃત્તિ ઠપ થઈ ગઈ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અનેક વખત કહી ચૂક્યા છે કે તેના હુમલામાં ઈરાનના પરમાણુ એકમો નાશ પામ્યાં છે. જોકે, ઈરાને ઇન્ટરનૅશનલ ઍટમિક ઍનર્જી એજન્સીના (આઇએઇએ) નિરીક્ષકોને પોતાની ન્યુક્લિયર સાઇટ્સનું નિરીક્ષણ કરવાની પરવાનગી નથી આપી.
ઇમેજ સ્રોત, Reuters
અમેરિકા અને ઈરાન વચ્ચે ફેબ્રુઆરી-2026માં ત્રણ રાઉન્ડની બેઠક થઈ હતી અને માર્ચ મહિનામાં વધુ એક બેઠક મળે તેવી શક્યતા હતી. ઓમાનના વિદેશ મંત્રી બદર અલબુસૈદી શુક્રવારે વૉશિંગ્ટન ધસી ગયા હતા.
ઓમાનના વિદેશ મંત્રીએ સીબીએસ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વાટાઘાટોમાં “નોંધપાત્ર પ્રગતિ” થઈ છે અને ડીલ “હાથવેંતમાં જ” છે. સાથે જ તેમણે મસલતો માટે વધુ સમય માંગ્યો હતો.
બદર અલબુસૈદીએ ઈરાનના પ્રસ્તાવ અંગે પહેલી વખત સાર્વજનિક ચર્ચા કરી હતી. જેમાં ઈરાને ફરીથી સંવર્ધિત યુરેનિયમનો સંગ્રહ નહીં કરવાની, હાલના સ્ટૉકને ડાઉનગ્રેડ કરવાની તથા આઇએઇએ દ્વારા વૅરિફિકેશનનો પ્રસ્તાવ કર્યો હતો.
ઓમાનના વિદેશ મંત્રીના કહેવા પ્રમાણે, વર્ષ 2015માં અમેરિકાની ઓબામા સરકાર અને ઈરાન વચ્ચે જે સંધિ થઈ હતી, તેના કરતાં આ પ્રસ્તાવ ખૂબ જ સારો હતો. ટ્રમ્પ સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન વર્ષ 2018માં અમેરિકા આ સંધિમાંથી ખસી ગયું હતું.
વાટાઘાટો પૂર્વે ઈરાને બૅલેસ્ટિક કાર્યક્રમને મર્યાદિત કરવાની તથા મધ્યપૂર્વ એશિયામાં રહેલા ‘પરોક્ષ સંગઠનો’ને ટેકો આપવાનું બંધ કરવાની વાત નકારી કાઢી હતી. ઈરાનના કહેવા પ્રમાણે, આ માંગણી તેના સાર્વભૌમત્વનો ભંગ કરે છે.
ઓમાનના વિદેશ મંત્રી બદર અલબુસૈદી અણુકાર્યક્રમ સિવાયની બધી વાતો અંગે ચર્ચા કરવા માટે ઈરાન તૈયાર હતું તથા એના વિશે ઈરાનના પાડોશી દેશો સાથે અલગથી પણ વાટાઘાટો થઈ શકે.
ઈરાન દ્વારા પાડોશી દેશો ઉપર હુમલો
ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનની સરકારનું કહેવું છે કે તેના માટે આ હુમલા અપેક્ષિત હતા અને તેઓ આને માટે તૈયાર હતા.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ સાઉદી અરેબિયા, કતાર, સંયુક્ત આરબ અમિરાત, કુવૈત, ઇરાક અને બહેરીનના વિદેશ મંત્રીઓ સાથે ફોન ઉપર વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે, “તેમની જવાબદારી છે કે પોતાના હદવિસ્તાર તથા સવલતોનો દુરૂપયોગ ન થવા દે.”
અરાગચીએ કહ્યું હતું, “ઈરાન પોતાની આત્મરક્ષામાં તમામ સંરક્ષણાત્મક તથા સૈન્ય પગલાં લેશે.”
બહેરીનની રાજધાનીમાં અમેરિકાના પાંચમા નૌકાકાફલાનું મથક છે. ત્યાં ધડાકા સંભળાયા હતા. બહેરીનના નૅશનલ કૉમ્યુનિકેશન સેન્ટરે આ વાતની પુષ્ટિ કરી હતી.
અહીં રહેલો અહીંનો કાફલો, ખાડી દેશ, રાતા સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર, અરબ સાગર તથા હિંદ મહાસાગરના કેટલાક ભાગો ઉપર નજર રાખે છે.
કતારની રાજધાની દોહામાં કેટલાક ધડાકા સંભળાયા છે. કતાર, સંયુક્ત આરબ અમિરાત, કુવૈત, બહરની તથા જૉર્ડનનું કહેવું છે કે તેમના દેશમાં રહેલાં અમેરિકાના સૈન્યમથકોને નિશાન બનાવીને ઈરાનમાંથી મિસાઇલો છોડવામાં આવી રહી છે. જેને આંતરવામાં આવી રહી છે.
યુકે, ફ્રાન્સ તથા જર્મનીએ સંયુક્ત નિવેદન બહાર પાડીને પાડોશી દેશો ઉપરના હુમલાને વખોડી કાઢ્યો છે.
બીજી બાજુ, ઇઝરાયલમાં પણ તણાવ પ્રવર્તી રહ્યો છે. લોકોને ઍલર્ટ આપવામાં આવ્યું છે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, તેમણે સુરક્ષિત આશ્રયસ્થાનોમાં પનાહ લીધી છે.
બીબીસીના ઇન્ટરનૅશનલ ઍડિટર જર્મી બોવેનનું કહેવું છે કે ઈરાનમાં આર્થિકસંકટ પ્રવર્તે છે અને તાજેતરનાં વિરોધપ્રદર્શનોને કડક હાથે કચડી નાખવામાં આવ્યાં હતાં. એ પછી અમેરિકા અને ઇઝરાયલનું માનવું છેકે ઈરાનના સત્તાધીશો અત્યારે ખૂબ જ કફોળી સ્થિતિમાં છે અને અત્યારે તક છે.
ઇઝરાયલે આ હુમલાને ‘જોખમ ટાળવા’ માટેના હુમલા ગણાવ્યા છે, પરંતુ તેના ઉપર શું જોખમ હતું, તેના વિશે સ્પષ્ટતા નથી કરી. જોકે, તેનાથી આગળ શું થશે એ કહી ન શકાય તેવી જોખમી પરિસ્થિતિ ઊભી થઈ છે.
બંને દેશો વચ્ચેના સંઘર્ષનો ઇતિહાસ
ઇમેજ સ્રોત, Getty Images
કેટલાકને આશ્ચર્ય થશે, પરંતુ આ બંને દેશો એક સમયે મિત્ર હતા. જોકે, ત્રણ દાયકાથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વર્ચસ્વ માટે લડાઈ કે, એક પ્રકારનું કૉલ્ડ વૉર ચાલી રહ્યું છે.
જો આપણે પશ્ચિમ એશિયામાં આ બે સ્થાનિક મહાસત્તાઓના ઇતિહાસમાં નજર કરીએ તો, આપણને કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો દેખાય છે.
1948માં ઇઝરાયલની સ્થાપના સમયે, બંને દેશો વચ્ચેના સંબંધો પ્રમાણમાં સારા હતા. કારણ કે બંને દેશો આરબ દેશોથી ઘેરાયેલા હતા.
સ્થિતિ તે હતી કે શિયા મુસલમાનોની બહુમતી ધરાવતો ઈરાન દેશ પોતાની ઓળખ જાળવી રાખવા માંગતો હતો, બીજી બાજુ, ઇઝરાયલ તેની યહૂદી ઓળખ જાળવી રાખવા પ્રયાસર હતું. બંનેમાંથી કોઈએ આરબ વર્ચસ્વ સ્વીકાર્યું નહીં.
વધુમાં, ઈરાનના તત્કાલીન શાસક શાહ મોહમ્મદ રઝા પહલવીના પશ્ચિમી દેશો સાથે સારા સંબંધો હતા અને આ દેશોએ ઇઝરાયલને ટેકો આપ્યો હતો.
એટલા માટે તુર્કી પછી ઇઝરાયલને માન્યતા આપનાર બીજો મુસ્લિમ દેશ ઈરાન હતો. ઈરાની શાસકોએ ઇઝરાયલને ટેકો આપ્યો હોવા છતાં, તે સમયે દેશમાં મોટી સંખ્યામાં ઇઝરાયલના વિરોધીઓ પણ હતા. તેમણે ઇઝરાયલની સ્થાપના સામે પણ પ્રદર્શન કર્યાં હતાં.
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS



