Source : BBC NEWS

ઇમેજ સ્રોત, @KrVijayShah/ EPA
36 મિનિટ પહેલા
મધ્ય પ્રદેશ સરકારના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી વિશે કરેલી વાંધાજનક ટિપ્પણી પર માફી માગી છે.
એમપીના જનજાતિ કાર્યમંત્રી વિજય શાહે કહ્યું કે, “તાજેતરમાં મારા એક નિવેદનના કારણે સમાજના લાગણી દુભાઈ છે. તેમના માટે હું દિલથી શરમ અનુભવું છું, દુખી છું અને માફી માગું છું.”
તાજેતરમાં કર્નલ કુરેશી ચર્ચામાં આવ્યાં હતાં જ્યારે તેમણે ભારતીય સેનાના ‘ઑપરેશન સિંદૂર’ વિશે વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ અને ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી સાથે પત્રકારપરિષદ યોજી હતી.
વિજય શાહે સોફિયા કુરેશીને દેશનાં બહેન ગણાવીને કહ્યું કે, “તેમણે રાષ્ટ્રધર્મ નિભાવીને જાતિ અને સમાજથી આગળ જઈને કામ કર્યું છે.”
તેમણે કહ્યું કે, “તેઓ અમારાં સગાં બહેન કરતાં પણ વધુ સન્માનનીય છે.”
વિજય શાહે કહ્યું કે, “તાજેતરના ભાષણમાં મારી ઇચ્છા હતી કે કર્નલ સોફિયાની વાતને સારી રીતે સમાજ વચ્ચે રાખી શકું. પરંતુ ‘દુખી અને વિચલિત’ મને કેટલાક ખરાબ શબ્દો નીકળી ગયા.”
“આજે હું સ્વયં શરમ અનુભવું છું. આખા સમાજ અને સમુદાયની માફી માગું છું. સોફિયા બહેન અને દેશની સન્માનનીય સેનાનું હંમેશાંથી સન્માન કરું છું અને હાથ જોડીને માફી માગું છું.”
‘મ્યાનમાર સરહદે લગભગ 10 ઉગ્રવાદી માર્યા ગયા’, ભારતીય સેનાની જાહેરાત

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય સેનાએ બુધવારે રાતે જણાવ્યું કે, ભારત અને મ્યાનમારની સરહદે લગભગ 10 ઉગ્રવાદી માર્યા ગયા છે.
સેનાએ કહ્યું કે, “મણિપુરના ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સના એક યુનિટ સાથે અથડામણમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદી માર્યા ગયા છે.”
ભારતીય સેનાના ઇસ્ટર્ન કમાન્ડે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું છે, “ભારત-મ્યામનાર બૉર્ડર નજીક ચંદેલ જિલ્લામાં ન્યૂ સમતાલ ગામ પાસે હથિયારધારી ઉગ્રવાદીઓ વિશે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં આસામ રાઇફલ્સના યુનિટે 15 મેએ અભિયાન શરૂ કર્યું હતું.”
સેનાના ઇસ્ટર્ન કમાન્ડે જણાવ્યું કે, “અભિયાન દરમિયાન સૈનિકો પર ગોળીબાર થયો હતો જેના જવાબી હુમલામાં 10 ઉગ્રવાદી માર્યા ગયા. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરાયાં છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS