Home તાજા સમાચાર gujrati ભારતની ઍરસ્પેસ પાકિસ્તાની વિમાનો માટે થઈ બંધ, 23 મે સુધી લાગ્યો પ્રતિબંધ-...

ભારતની ઍરસ્પેસ પાકિસ્તાની વિમાનો માટે થઈ બંધ, 23 મે સુધી લાગ્યો પ્રતિબંધ- ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

ભારતની ઍરસ્પેસ પાકિસ્તાની વિમાનો માટે થઈ બંધ, 23 મે સુધી લાગ્યો પ્રતિબંધ- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

1 મે 2025, 06:55 IST

અપડેટેડ 2 કલાક પહેલા

પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે બુધવારે જવાબી કાર્યવાહી કરતાં પાકિસ્તાની વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રતિબંધ 1લી મેથી લઈને 23મી મે સુધી લાગુ પડશે. આ સંબંધમાં બુધવારે સાંજે ઍરપૉર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા(એએઆઈ)એ એક નૉટામ જારી કર્યો છે.

હવાઈ ક્ષેત્રમાં ઉડાનોના સંબંધમાં નૉટામ એટલે કે નૉટિસ ટૂ ઍરમૅન જારી કરવામાં આવે છે. આ પ્રતિબંધનો મતલબ છે કે પાકિસ્તાનમાં રજિસ્ટર્ડ હોય તેવાં વિમાનો, પાકિસ્તાની ઍરલાઇન્સ અને ઑપરેટરો તરફથી ચાલનારાં અને તેમના સ્વામીત્વ ધરાવતાં કે લીઝ પર આપવામાં આવેલાં વિમાનો માટે ભારતીય હવાઈ ક્ષેત્ર ઉપલબ્ધ નહીં થાય.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ પ્રતિબંધ પાકિસ્તાની સૈન્ય વિમાનો પર પણ લાગુ પડશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ કોઈ સીધી ઉડાન નથી. પાકિસ્તાની ઍરલાઇન્સ સિંગાપુર, મલેશિયા અને અન્ય પૂર્વ એશિયાઈ દેશો માટે પોતાનાં વિમાનોના ઉપયોગ માટે ભારતીય હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરે છે.

22 એપ્રિલના રોજ પહલગામમાં ચરમપંથી હુમલો થયો તેના એક દિવસ બાદ ભારતે પાકિસ્તાન સામે ઘણાં પગલાં ઉઠાવ્યાં હતાં. જેમાં સિંઘુ જળ સંધિને સસ્પેન્ડ કરવા, અટારીમાં એક માત્ર ચાલુ લૅન્ડ બૉર્ડર ક્રૉસિંગને બંધ કરવા અને રાજનાયિક સંબંધોને ઓછા કરવાના નિર્ણયનો સમાવેશ થતો હતો.

જવાબમાં પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું. ઉપરાંત ત્રીજા દેશ મારફતનો વેપાર પણ બંધ કરી દીધો હતો. સિંઘુ જળ સંધિને લઈને પાકિસ્તાને કહ્યું છે કે જો ભારતે આ પાણીને રોકવાનો પ્રયાસ કર્યો તો તેને ‘યુદ્ધની કાર્યવાહી’ માનવામાં આવશે.

યુક્રેન અને અમેરિકા વચ્ચે થઈ ઐતિહાસિક સમજૂતી, ટ્રમ્પે શું કહ્યું?

અમેરિકાના નાણામંત્રી સ્કૉટ બેસેન્ટ અને યુક્રેનનાં નાયબ વડાં પ્રધાન યૂલિયા સ્વિરીડેન્કોએ બુધવારે એક ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યાં.

ઇમેજ સ્રોત, US Treasury Department

અમેરિકાએ ઘોષણા કરી છે કે તેણે યુક્રેન સાથે પ્રાકૃતિક સંસાધન સમજૂતી પર હસ્તાક્ષર કર્યાં છે. અમેરિકાના નાણા વિભાગ તરફથી જારી એક પ્રેસનોટમાં જણાવ્યું છે કે બંને દેશ એક ‘રિકંસ્ટ્રક્શન ઇન્વેસ્ટમેન્ટ ફંડ’ બનાવવા પર સંમત થયા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આ ડીલને કારણે અમેરિકાને વધારે ‘ફાયદો’ થશે.

તેમણે કહ્યું કે “બાઇડને યુક્રેનને 350 અબજ ડૉલર આપ્યા, હવે અમે એક એવી ડીલ કરી છે જેને કારણે વધારે પૈસા મળશે.”

આ પહેલાં અમેરિકાના નાણામંત્રી સ્કૉટ બેસેન્ટ અને યુક્રેનનાં નાયબ વડાં પ્રધાન યૂલિયા સ્વિરીડેન્કોએ બુધવારે આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યાં.

અમેરિકાના નાણા વિભાગ તરફથી આવેલા નિવેદન પ્રમાણે આ સમજૂતીથી બંને દેશો એ સુનિશ્ચિત કરવા માટે સહયોગ કરશે કે ‘પારસ્પરિક સંપત્તિ, પ્રતિભા અને ક્ષમતાઓ’ કિએવની રિકવરીમાં ઝડપ લાવી શકે.

યુક્રેનનાં દુર્લભ ખનિજો સુધી અમેરિકાની પહોંચ સુનિશ્ચિત કરવા માટે કિએવ અને વૉશિંગ્ટન વચ્ચે ઘણા મહિનાઓથી એક સમજૂતી પર વાતચીત ચાલી રહી છે.

ખેડા જિલ્લામાં નદીમાં નહાવા પડેલાં છ બાળકો ડૂબ્યાં

ખેડા જિલ્લામાં નદીમાં નહાવા પડેલાં છ બાળકો ડૂબ્યાં

ઇમેજ સ્રોત, NACHIKETA MEHTA

ખેડા જિલ્લાના મહેમદાવાદ નજીક આવેલા કનીજ ગામ પાસે આવેલી મેશ્વો નદીમાં છ જેટલાં બાળકોનાં ડૂબી જવાથી મોત થયાં છે.

બીબીસીના ખેડા ખાતેના સહયોગી નચિકેતા મહેતાના જણાવ્યા પ્રમાણે આ બાળકો નદીમાં નહાવા પડ્યાં બાદ અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારીઓ તથા કલેક્ટર ધટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમની બચાવ માટેની કામગીરી ચાલી હતી. તેમના બચાવ માટે નડિયાદથી ફાયર બ્રિગેડની ટીમ પણ આવી હતી. ફાયર બ્રિગેડે આ તમામ બાળકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા.

ખેડાના પોલીસ વડા રાજેશ ગઢીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે “આ બાળકો અમદાવાદના હતા અને તેઓ તેમના મામાને ત્યાં વૅકેશન માણવા આવ્યાં હતાં. તેઓ નદીમાં નહાવા પડ્યાં અને ડૂબી ગયાં. અમે તેમના પરિવારજનોને જેટલી મદદ થઈ શકે તેટલી કરી રહ્યા છે.”

ખેડાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવે પત્રકારોને જણાવ્યું હતું કે, “ચાર બાળકો હતાં અને બે બાળકી હતી. તેમનું વધારે ઊંડા પાણીમાં પડવાને કારણે દુ:ખદ મૃત્યુ થયું છે.આ મૃતદેહોને મેડિકલ પ્રક્રિયા માટે આપવામાં આવશે અને ત્યાર પછી તેમને તેમના પરિવાજનોને સોંપી દેવામાં આવશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS