Source : BBC NEWS

ઇમેજ સ્રોત, gaurav1agrawal
- લેેખક, આનંદ મણિ ત્રિપાઠી
- પદ, બીબીસી સંવાદદાતા
-
28 એપ્રિલ 2025, 10:48 IST
અપડેટેડ 9 મિનિટ પહેલા
ગત મંગળવારના રોજ સંઘ લોકસેવા આયોગ એટલે કે યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર થયું હતું.
આ પરિણામ અનુસાર યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા 2024માં શક્તિ દુબેએ ટૉપ કર્યું છે.
ખાસ વાત એ છે કે આ વખતના રિઝલ્ટમાં ટૉપ પાંચમાં ત્રણ મહિલા છે. યુપીએસસી સિવિલ સેવામાં આ વખતે કુલ 1009 પરીક્ષાર્થી સફળ થયા છે, જે પૈકી 725 પુરુષ અને 284 મહિલા છે.
આવો અમે તમને જણાવીએ યુપીએસસી 2013ની પરીક્ષાના એ ટૉપર વિશે જેઓ આઇઆઇટી, આઇઆઇએમ અને હૉંગકૉંગમાં નોકરી બાદ આઇએએસ બન્યા.
17 વર્ષની ઉંમરે આઇઆઇટીની પ્રવેશપરીક્ષા 45મો રૅન્ક હાંસલ કર્યો. આઇઆઇટી કાનપુરથી નીકળ્યા બાદ આઇઆઇએમ લખનૌમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. ત્યાર બાદ તેઓ હૉંગકૉંગ ચાલ્યા ગયા પણ મનમાં યુપીએસસીનું સપનું ઘર કરી ગયું હતું.
‘આઇઆઇટી ઍડમિશન બાદ અહંકાર આવી ગયો હતો’

ઇમેજ સ્રોત, gaurav1agrawal
ગૌરવ અગ્રવાલ કહે છે કે, “હું ભણવામાં શરૂઆતથી જ ખૂબ તેજસ્વી હતો. એક સામાન્ય પરિવારના વિદ્યાર્થીની જેમ મેં પણ એન્જિનિયરિંગની તૈયારી માટે કોચિંગ લીધી. પ્રથમ પ્રયાસમાં જ આઇઆઇટીની પ્રવેશપરીક્ષામાં મારો 45મો રૅન્ક આવી ગયો. પછી હું આઇઆઇટી કાનપુર પહોંચ્યો.”
તેઓ જણાવે છે કે, “બધું ઠીક ચાલી રહ્યું હતું, પરંતુ મારા અંદર થોડો અહંકાર આવી ગયો હતો કે હું ચપળ છું, મારો 45મો રૅન્ક આવ્યો છે. હું તો કંઈક કરી લઈશ. આનું પરિણામ એ આવ્યું કે બીજા-ત્રીજા સત્રમાં જ ગરબડ થવાનું શરૂ થઈ ગયું.”
તેઓ જણાવે છે કે આઇઆઇટી કાનપુરમાં કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી તેમનું સીજીપીએ ખરાબ થઈ ગયું.
અગ્રવાલ જણાવે છે કે તેઓ એક સેમેસ્ટરમાં ફેલ પણ થઈ ગયા હતા, જેના કારણે તેઓ પોતાની બૅચના વિદ્યાર્થીઓથી એક સેમેસ્ટર પાછળ પણ રહી ગયા.
તેઓ કહે છે કે, “એ બાદ તો મારો આત્મવિશ્વાસ ખરાબ રીતે હચમચી ગયો. મેં યુપીએસસી માટે પહેલાં વિચાર કરેલો, પરંતુ પછી મારી હિંમત ન થઈ.”
‘સીજીપીએ સારું હોત તો એમએનસીમાં નોકરી કરતો હોત’

ઇમેજ સ્રોત, gaurav agrawal/Youtube
તેઓ જણાવે છે કે આઇઆઇટી કાનપુરમાં તેમનું સીજીપીએ ખરાબ થઈ ગયું હતું.
અગ્રવાલ કહે છે કે, “જો સીજીપીએ સારું હોત તો હું પણ કોઈ એમએનસીમાં નોકરી કરી રહ્યો હોત. જિંદગી બધાને વધુ એક તક આપે છે, બસ એના માટે તૈયાર રહેવા રહેવાનું હોય છે અને એ તક માટે સતત મહેનત કરવાની હોય છે.”
તેઓ કહે છે કે, “સીજીપીએ ઠીક નહોતું તેથી આઇઆઇટી બાદ મેં આઇઆઇએમમાં પ્રવેશ માટે કૅટની પરીક્ષા આપી. એ સમયે આઇઆઇટી બાદ આઇઆઇએમ એક બહેતર કૉમ્બિનેશન માનવામાં આવી રહ્યું હતું.”
“મેં એ પરીક્ષા પાસ કરી અને મને આઇઆઇએમ લખનૌમાં ઍડમિશન મળી ગયું. એ બાદ મેં પાછું વળીને ન જોયું અને ના આઇઆઇટીવાળી ભૂલ ફરી કરી.”
“આઇઆઇએમના દરેક સત્રમાં હું સારી રીતે ભણ્યો. અને બાદમાં આઇઆઇએમ લખનૌમાં ટૉપ કરીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો.”
ફરી વાર જાગ્યો યુપીએસસીનો પ્રેમ

ઇમેજ સ્રોત, gaurav1agrawal
આઇઆઇએમ ટૉપ કર્યા બાદ વિશ્વના મોટા સિટી ગ્રૂપ, હૉંગકૉંગમાં નોકરી કરવાની તક મળી.
તેઓ કહે છે કે, “આના માટે જ્યારે મેં ઇન્ટરવ્યૂ આપી રહ્યો હતો ત્યારે મગજમાં કંઈક એવું બેસી ગયું હતું કે મેં ઇન્ટરવ્યૂ લેનારને કહી દીધું કે હું વધુમાં વધુ ત્રણથી ચાર વર્ષમાં પાછો જતો રહીશ.”
“એ બાદ નોકરી શરૂ થઈ અને હું ત્યાં ફાઇનાન્સિયલ માર્કેટ જોઈ રહ્યો હતો. જેને સરકારની નીતિઓ ખૂબ જ પ્રભાવિત કરે છે. ફરી એક વાર હું એ જ જગ્યાએ આવી ગયો જ્યાં નીતિઓની અસર થાય છે.”
“આવી સ્થિતિમાં યુપીએસસીની પરીક્ષા આપવાનું જે સપનું દબાયેલું હતું. એ સપનું, જે આઇઆઇટીમાં ખરાબ સીજીપીએને કારણે હચમચી ગયું હતું, એ ફરીથી જાગૃત થયું.”
હૉંગકૉંગમાં જ શરૂ કરી તૈયારી

ઇમેજ સ્રોત, gaurav1agrawal
એ બાદ ગૌરવ અગ્રવાલે યુપીએસસી માટે તૈયારી કરવાનું શરૂ કરી દીધું.
તૈયારી કરતી વખતે જ્યારે ગૌરવને લાગ્યું કે હવે આમાં પૂરો સમય આપવો છે તો તેમણે નોકરી મૂકી દીધી અને ભારત પરત ફર્યા.
તેઓ કહે છે કે, “કોચિંગ માટે એક બે જગ્યાએ ઍડમિશન લીધું, પરંતુ ઘસાયેલી રીતે તૈયારી કરવવાની તેમની રીત મને માફક ન આવી અને ફરીથી હું જાતે જ તૈયાર કરવા લાગ્યો.”
અગ્રવાલ અનુસાર પ્રથમ વખથ 2012માં તેમણે પરીક્ષા આપી, તો તેમની 244મો રૅન્ક આવ્યો અને તેમને આઇપીએસ કૅડર મળ્યું.
તેઓ કહે છે કે, “મને નીતિઓમાં વધુ રસ હતો તેથી મારું મન આઇએએસની તરફ આકર્ષિત હતું.”
“ફરી એક વાર 2013ની પરીક્ષા આપી અને પછી જે પરિણામ આવ્યું, તેણે મારું સ્વપ્ન કરી દીધું.”
તેમણે આ વખત યુપીએસસીમાં ટૉપ કર્યું હતું. તેઓ જણાવે છે કે જે પ્રકારે ક્રિકેટર સૌરવ ગાંગુલીએ પોતાની ટીમને લડતા શીખવાડ્યું હતું, કૅરી ઑન કરવાનું શીખવાડ્યું હતું, મેં પણ કૅરી ઑન કરવાનું શીખી લીધું હતું.
પ્રથમ વખત દેશમાં એઆઇએ તપાસ્યા પરીક્ષાની ઉત્તરવહી

ઇમેજ સ્રોત, gaurav1agrawal
યુપીએસસી ટૉપ કર્યા બાદ ગૌરવ અગ્રવાલને પોતાના ગૃહરાજ્યમાં પોસ્ટિંગ મળી. તેઓ યુપીએસસી ટૉપ કરનારા રાજસ્થાનની પ્રથમ વ્યક્તિ હતા.
ગૌરવના આઇઆઇટી અને આઇઆઇએમના શિક્ષણનો લાભ પણ રાજ્યનો મળવા લાગ્યો.
તેમને જ્યારે માધ્યમિક શિક્ષણના નિદેશક બનાવાયા તો તેમણે પ્રથમ વખત એકથી આઠમા ધોરણ સુધીની પરીક્ષા માટે પેપર કાઢવાથી માંડીને તપાસવાનું કામ એઆઇ પાસેથી કરાવવાનો નિર્ણય લીધો.
ગૌરવ જણાવે છે કે, “રાજસ્થાનમાં લગભગ 65 હજાર સ્કૂલ છે અને તમામનાં પેપર અલગ સેટ થઈ રહ્યાં હતાં અને તે અલગ-અલગ તપાસાતાં હતાં. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓની ક્ષમતા અંગે યોગ્યપણે ખબર નહોતી પડી રહી.”
આ કામમાં વધુ મહેનત લાગી રહી હતી અને પરિણામ પણ સારું નહોતું. આ જોતાં એક પ્રોગ્રામ તૈયાર કરાયો અને પેપર એક જ જગ્યાએથી સેટ કરીને બદાને મોકલવામાં આવ્યો.
પરીક્ષા બાદ પણ શિક્ષકોને માત્ર ઉત્તર પુસ્તિકાનો ફોટો પાડીને પ્રોગ્રામમાં મોકલવાનું રહેતું. અને એ બાદ એઆઇ પેપર ચેક કરતું. એક વખતમાં એઆઇના માધ્યમથી દોઢ કરોડ ઉત્તરવહીઓ તપાસી લેવાતી.
તેઓ જણાવે છે કે આ પ્રણાલીનો લાભ એ થયો કે કયો વિદ્યાર્થી કયા વિષયમાં કયા સ્તરે કમજોર કે તાકતવર છે એ પણ ખબર પડે છે. એ પ્રમાણે શિક્ષણ માટેનાં પુસ્તકોથી માંડીને પૅટર્ન સુધીમાં બદલાવ કરવામાં આવ્યા.
જોકે, શિક્ષકોની બદલી, પોસ્ટિંગ અને બઢતી અંગે કરાયેલ એક તકનીકી બદલાવ તેમના એપીઓ હોવાનું કારણ પણ બન્યું અને એ કારણે તેમને નિદેશકપદેથી હઠાવી પણ દેવાયા.
ગૌરવ અગ્રવાલ કહે છે કે, “જીવનની સફર સરળ રાખવી હોય તો ખુરશીને વધુ દિલથી ન લગાવવી જોઈએ.”
શિક્ષણ વિભાગમાંથી નીકળીને તેઓ કૃષિ વિભાગમાં પહોંચ્યા. અહીં ફરીથી તેઓ સામાન્ય લોકોની સમસ્યાઓનું તકનીક વડે નિરાકરણ લાવવામાં લાગી જાય છે.
કિસાન કૉલ સેન્ટર જેમાં એક વર્ષમાં લગભગ 70 લાખ કૉલ કૃષિની તમામ જાણકારીઓ માટે આવે છે. તેને સુધારવાનું કામ શરૂ કર્યું.
‘આ 100 મીટરની રેસ નહીં, મૅરેથૉન છે’

ઇમેજ સ્રોત, gaurav1agrawal
પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી? એ અંગે કેવી વ્યૂહરચના અપનાવવી જોઈએ?
ગૌરવ અગ્રવાલ કહે છે કે, “કોઈ પણ મોટી પરીક્ષા 100 મીટરની રેસ માફક નથી હોતી. એ એક મૅરેથૉન હોય છે. એ નિરંતર અભ્યાસ, મહેનત અને ધૈર્ય માગી લે છે. જે વ્યક્તિ નિરંતરતા જાળવી રાખે છે, એને નિશ્વિતપણે સફળતા મળે છે.”
યુપીએસસી, આઇઆઇએમ કે આઇઆઇટી, કોઈ પણ પરીક્ષા હોય, તેમાં પરિવારનું મોટું યોગદાન હોય છે.
તેઓ કહે છે કે, “સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ દરમિયાન તમારે સ્વસ્થ રહેવાનું હોય છે અને માનસિક રીતે ચુસ્ત રહેવાનું હોય છે. આવી સ્થિતિમાં કોઈ એક વ્યાયામ અને યોગ વ્યક્તિએ જરૂર કરવા જોઈએ. આવું કરવાથી તમને ખૂબ રાહત અને તાકત મળશે. હું મારી તૈયારી દરમિયાન હંમેશાં દોડવા જતો.”
તેઓ વધુ એક વાત જણાવે છે, જે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરનારી વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જોઈએ. એ એ છે કે આ પરીક્ષાઓ રટ્ટો મારીને આપવાની નથી હોતી.
“રટ્ટો મારવાનું કામ કમ્પ્યુટરનું હોય છે. આ પરીક્ષાઓ તમારી વિચારશક્તિના આકલન કરવા માટે હોય છે. આવામાં વિષયોને રટ્ટો મારવાને સ્થાને સમજીને લખો.”
ગૌરવ અગ્રવાલ કહે છે કે જિંદગીમાં હંમેશાં એક દૌર નથી રહેતો. જો તમારો સમય ખરાબ ચાલતો હોય તો વિશ્વાસ સાથે મહેનત કરવી જોઈએ અને પછી તમારો સમય આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS