Home તાજા સમાચાર gujrati મેઘાલયમાં હનીમૂન દરમિયાન લાપતા દંપતીના કેસમાં મોટો વળાંક, પત્નીની ધરપકડ

મેઘાલયમાં હનીમૂન દરમિયાન લાપતા દંપતીના કેસમાં મોટો વળાંક, પત્નીની ધરપકડ

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી મેઘાલય દંપતી ઇંદોર રાજા રઘુવંશી સોનમ પોલીસ હત્યા મધ્ય પ્રદેશ

ઇમેજ સ્રોત, Sameer Khan/BBC Hindi

14 મિનિટ પહેલા

મેઘાલયમાં હનીમૂન માણવા ગયેલું ઇંદોરનું એક દંપતી લાપતા થયા પછી મેઘાલયના મુખ્ય મંત્રી કૉનરાડ સંગમાએ નવી માહિતી આપી છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપર લખ્યું, “માત્ર સાત દિવસની અંદર મેઘાલય પોલીસે રાજા હત્યાકાંડમાં મોટી સફળતા મેળવી છે.”

“મધ્ય પ્રદેશના રહેવાસી ત્રણ હુમલાખોરોને પકડી લેવામાં આવ્યા છે. એક મહિલાએ આત્મસમપર્ણ કર્યું છે અને હજુ એક હુમલાખોરને પકડવા માટે અભિયાન ચાલુ છે.”

ઇંદોરના રાજા રઘુવંશી અને તેમનાં પત્ની સોનમ હનીમૂન માટે મેઘાલય ગયાં હતાં અને 23મેથી તેમનો પતો મળતો ન હતો. ત્યાર પછી એક ખીણમાંથી રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ સોનમ હજુ સુધી લાપતાં હતાં.

મેઘાલય પોલીસના ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) ઇદાશીશા નોગ્રાંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું, “પત્ની સોનમની ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે, જ્યાં તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું.”

તેમણે કહ્યું કે આખી રાત ચાલેલા દરોડા દરમિયાન ત્રણ અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ડીજીપીએ કહ્યું કે, એક વ્યક્તિને ઉત્તર પ્રદેશથી પકડવામાં આવી છે, બીજા બે આરોપીને એસઆઈટીએ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ઇન્દોરથી પકડ્યા છે. સોનમે નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધું, ત્યાર પછી તેમની ધરપકડ કરવામાં આવી છે.

આખો મામલો શું છે?

બીબીસી ગુજરાતી મેઘાલય દંપતી ઇંદોર રાજા રઘુવંશી સોનમ પોલીસ હત્યા મધ્ય પ્રદેશ

ઇમેજ સ્રોત, Sameer Khan/BBC Hindi

ઇંદોરના સાકાર નગરનાં રહેવાસી દંપતી 29 વર્ષીય રાજા રઘુવંશી અને 27 વર્ષીય સોનમ હનીમૂન માણવા મેઘાલય ગયાં હતાં. 23 મેથી તેમનો સંપર્ક કપાઈ ગયો હતો.

11 દિવસ પછી બીજી જૂને ઇસ્ટ ખાસી હિલ્સના વેઇસાડોંગ ધોધ પાસે લગભગ 150 ફૂટ ઊંડી ખીણમાંથી રાજાનો મૃતદેહ મળી આવ્યો, પરંતુ સોનમનો કોઈ પતો ન હતો.

રાજા રઘુવંશીનો મૃતદેહ ચોથી જૂનની સાંજે મેઘાલયથી તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો.

દંપતી 23મેએ લાપતા થયું તેનાથી એક દિવસ અગાઉ જ મેઘાલયના નોંગ્રિયાટ પહોંચ્યું હતું. છેલ્લે શિપારા હોમસ્ટેમાંથી ચેક-આઉટ કરતી વખતે તેઓ એકસાથે જોવાં મળ્યાં હતાં.

પોલીસ સ્થાનિક લોકો અને ટુરિસ્ટ ગાઇડની પૂછપરછ કરીને મામલાની તપાસ કરી હતી, પરંતુ કોઈ કડી મળી ન હતી.

પોલીસનું શું કહેવું હતું?

ઇસ્ટ ખાસી હિલ્સ જિલ્લાના એસપી (સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) વિવેક સ્યેંમે બીબીસી હિંદીને જણાવ્યું, “આ એક હત્યા હતી એ વાતમાં કોઈ શંકા નથી. અમે ઘટનાસ્થળેથી એક ‘દાઓ’ (લાંબુ ધારદાર હથિયાર) કબજે કર્યું છે. જોકે, વધુ જાણકારી માટે અમે પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.”

તેમણે કહ્યું કે પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે અને હાલમાં તેની પ્રાથમિકતા સોનમને શોધવાની છે.

અગાઉ પોલીસે મંગળવારે કહ્યું હતું કે હનીમૂન માટે આવેલા ઇંદોરના વતની રાજા રઘુવંશીની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે.

પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી હતી

બીબીસી ગુજરાતી મેઘાલય દંપતી ઇંદોર રાજા રઘુવંશી સોનમ પોલીસ હત્યા મધ્ય પ્રદેશ

ઇમેજ સ્રોત, Sameer Khan/BBC Hindi

પોલીસના કહેવા મુજબ રાજા અને સોનમે એક સ્કૂટી ભાડે કરી હતી. તેમના જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ડેટામાં બહાર આવ્યું હતું કે તેઓ તા. 23 જૂને તેઓ થોડો સમય માવક્કા ગામે રોકાયાં હતાં. રાજાનો મૃતદેહ મળ્યો, ત્યાંથી આ જગ્યા લગભગ 20 કિમી દૂર છે.

ઇંદોરમાં રાજાના સ્વજનોએ પોલીસ પર તપાસમાં ઢીલ રાખવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું કે રાજાનું પર્સ, ઘરેણાં અને અન્ય સામાન ગુમ થઈ ગયો છે.

રાજાના મોટા ભાઈ સચીન રઘુવંશીએ અપહરણ અને હત્યાની શંકા વ્યક્ત કરીને સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) તપાસની માંગણી કરી હતી. તેમણે આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હસ્તક્ષેપ કરે તેવી માંગણી પણ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS