Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Jacqui Furneaux
અફેર, ઉત્પીડન તથા અચાનક થયેલી હિંસા, એ જિંદગીને અસર કરતી બહુ મોટી વિક્ષેપકારક ઘટનાઓ છે. જોકે, આને કારણે ત્રણ લોકોની જિંદગીની ન કેવળ દિશા બદલાઈ – પરંતુ તેણે સદંતર નવું સ્વરૂપ ધારણ કર્યું.
સમયની સાથે તેમણે આત્મવિશ્વાસ અને ઓળખ પરત મેળવ્યાં. રેડિયો 4 લાઇફ ચૅન્જિંગ સિરીઝમાં તેમણે ડૉ. સિયાન વિલિયમ્સ સાથે પોતાના અનુભવો શૅર કર્યા હતા.
‘હું મારી જાતે ખુશ રહેતાં શીખી’
યુકેના બ્રિસ્ટૉલમાં રહેતાં જૅક્વી ફરનૅક્સે વ્યવસાયે નર્સ હતાં. 49 વર્ષની ઉંમરે બે સંતાનોનાં માતા જૅક્વીએ યુકે છોડી દીધું.
અફેરને કારણે તેમના લગ્નસંબંધનો અંત આવ્યો. જે કંઈ થયું તેને કારણે તેઓ ખૂબ જ ઉદાસી, અપરાધભાવ અનુભવતાં હતાં, તેઓ સૂઝબૂઝ ગુમાવી બેઠાં હતાં.
એવામાં જૅક્વીએ મોટરબાઇક ઉપર વિશ્વનો પ્રવાસ ખેડવાનું નક્કી કર્યું. આ નિર્ણયે તેમની જિંદગી હંમેશાંને માટે બદલી નાખી.
‘પોતાની સાથે ખુશ રહેતા શીખી’
ઇમેજ સ્રોત, Jacqui Furneaux
જૅક્વીએ ગમતા પુરુષ માટે પતિને છોડ્યા હોવા છતાં “એ (આયોજન) સફળ ન રહ્યું”, તેઓ કહે છે “મને લાગતું હતું હતું કે મેં ખુશખુશાલ પરિવારને વિખેરી નાખ્યો.”
અપરાધબોધને કારણે તેઓ ઉદાસ રહેતાં હતાં, જેનાથી બચવા માટે જૅક્વીએ નવેસરથી શરૂઆત કરી. તેમણે બૅંગકૉકની વન-વે ટિકિટ બુક કરી. એ પછી તેમની સાત વર્ષની સફર શરૂ થઈ. આ દરમિયાન તેઓ વિશ્વના અલગ-અલગ દેશોમાં ફર્યાં.
થાઇલૅન્ડથી લાઓસ, પાકિસ્તાન થઈને ભારત પહોંચ્યાં. જ્યાં તેમને જીવન સાતા મળી અને જીવનમાં જે કોઈ નિર્ણયો લીધા હતા તેનું સમાધાન મળ્યું.
ભારતની યાત્રા દરમિયાન તેઓ ડચ યુવકને મળ્યાં, જે ઉંમરમાં તેમનાં કરતાં 17 વર્ષ નાના હતા. તેઓ બાઇક ઉપર ભારતભ્રમણ કરી રહ્યા હતા. એ યુવકે જૅક્વીને પોતાની સાથે બાઇક ઉપર જોડાવા આમંત્રણ આપ્યું.
જૅક્વીકહે છે, “ભારતમાં આવી અગમ વાતો સામાન્ય છે, એ વાત હું સમજી ગઈ હતી.”
“મેં વિચાર્યું, જિંદગી મને વારંવાર આવી તક ક્યાં આપવાની.”
“અમે એકસાથે ભારતમાં પુષ્કળ પરિભ્રમણ કર્યું.”
“અમે ખરેખર ખૂબ જ મૂળભૂત જીવન જીવતાં – અમે કોઈ ફાઇવસ્ટાર હોટલ નહોતી લીધી.”
“અમે સામાન્ય હોટલોમાં રાત વીતાવતાં…..ખૂબ ઓછી સગવડો…પરંતુ ખૂબ જ મજા આવતી.”
એ પછી જૅક્વીએ પોતાનું બાઇક ખરીદ્યું. જેને મળ્યાને હજુ બે દિવસ થયા હતા, તેની સાથે જૅક્વી લાંબાગાળાના સંબંધનો આધાર હતું. બંને ત્રણ વર્ષ સાથે રહ્યાં અને છુટાં પડી ગયાં.
એક તબક્કે જેક્વી બીમાર પડ્યાં, ત્યારે તેમનાં પુત્રીએ ફોન ઉપર પૂછ્યું કે ‘હજુ કેટલો સમય તમે દૂર રહેશો?’ ત્યારે જૅક્વીને અહેસાસ થયો કે હજુ પણ કોઈ ઘરે તેમને ચાહે છે.
જૅક્વી કહે છે કે “એ અફેયર માટે હું મારી જાતને માફ નહોતી કરી શકી અને હું વિચારતી હતી કે બીજું કોઈ પણ નહીં કરી શક્યું હોય, મને લાગતું હતું કે હું લાંછિત રહીશ.”
જૅક્વી કહે છે કે આજે દાયકાઓ પછી તેમણે પોતાની જાતને “મહદંશે માફ” કરી દીધાં છે, જોકે, સૌથી મોટી વાત એ છે કે તેઓ “પોતાની સાથે ખુશ રહેતાં શીખી રહ્યાં છે.”
જેક્વી કહે છે, “હવે, મારી બંને દીકરીઓ અને પૂર્વ પતિ સાથે મારા સંબંધ સારા છે, જે સારી વાત છે.”
જોકે, તેઓ લોકોને પોતાના રસ્તે ચાલવા માટે પ્રોત્સાહિત નથી કરતા. આ પ્રવાસો દરમિયાન જૅક્વી પોતાના વિશે ઘણું શીખ્યા.
તેઓ કહે છે, “આત્મવિશ્વાસ વધારવા માટે બધાએ પોતાની મર્યાદાઓને થોડી આગળ ધકેલવી જોઈએ.”
‘હું શું કરી શકું એના ઉપર ધ્યાન આપું છું’
‘મારું જીવન મુક્ત બન્યું’
ઇમેજ સ્રોત, Angela Tilley
એન્જલા તિલ્લી (Angela Tilley) ટીનઍજર હતાં, ત્યારે ખૂબ જ નિડર અને સ્વતંત્ર હતાં. 16 વર્ષની ઉંમરે તેઓ પહેલી નોકરી કરતાં હતાં, ત્યાં તેમનો સતત પીછો કરવામાં આવતો.
લગભગ એક વર્ષ સુધી આ બધું ચાલતું રહ્યું. તેમને ધમકીઓ આપવામાં આવતી, ભાવનાત્મક રીતે પ્રપંચ કરવામાં આવતું. વિચલિત થઈ જવાય એ હદનું આચરણ તેમની સાથે થતું. અને કામના સ્થળે આ બધી બાબતોને ગંભીરતાપૂર્વક લેવામાં નહોતી આવતી.
એ શખ્સની બદલી થઈ ગઈ એટલે એન્જલાએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ એ પછી તેમને પૅનિક ઍટેક આવવાં લાગ્યાં. તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતાં, ત્યારે પહેલી વખત પૅનિક ઍટેક આવ્યો.
તેઓ કહે છે, “મને નહોતી ખબર કે તેને પૅનિક ઍટેક કહેવાય. મને લાગતું હતું કે હું પાગલ થઈ જઈશ.”
એ સ્થિતિને યાદ કરતા તેઓ કહે છે, “મને લાગતું હતું કે હું બેભાન થઈ જઇશ. શું મને હાર્ટ ઍટેક આવશે? શું આ બધા લોકોની વચ્ચે હું મૂર્ખ ઠરીશ?”
આ પૅનિક ઍટેકની સંખ્યા વધી રહી હતી અને “શરીર ઉપર તેની ભારે અસર થઈ રહી હતી” જેના કારણે તેઓ ભયભીત રહેતાં અને “ફસાયેલાં” હોય એવું લાગતું. ધીમે-ધીમે અવરજવર, ખરીદી, ટ્રાફિકમાં રાહ જોવી જેવી રોજબરોજની પ્રવૃત્તિઓ અસહ્ય થઈ ગઈ હતી.
એન્જલાને ઍગોરોફોબિયા હોવાનું બહાર આવ્યું. આમ છતાં તેમણે પરિસ્થિતિનો સામનો કરવાનું ચાલુ રાખ્યું. તેમણે લગ્ન કર્યાં, બાળકોનો ઉછેર કર્યો, થૅરાપીઓ અજમાવી, પુસ્તકો વાંચીને “ડરની અનુભૂતિ કરો અને ગમે તે રીતે કરો”નો મંત્ર અજમાવ્યો.
વર્ષ 2015માં તેમણે પતિ સાથે મોટરહૉમ ખરીદ્યું, એ પછી તેમને ખરી રાહત મળવાનું શરૂ કર્યું.
દંપતી ઘણી વખત એન્જેલાનાં માતા-પિતાનું મોટરહોમ લઈને ફરવા નીકળી પડતાં. ત્યારે બંનેને લાગતું હતું કે મોટરહોમ એ સારો ઉપાય હોય શકે છે.
એન્જેલા પોતાનાં ‘ઘર’ને હંમેશા પોતાની સાથે લઈને ફરતાં, જેના કારણે તેમને પોતાનાં જીવન ઉપર પ્રભુત્વ હોવાનો અહેસાસ થયો. તેમને આવી અનુભૂતિ અગાઉ ક્યારેય નહોતી થઈ.
એન્જેલા કહે છે, “તેનાંથી મારું જીવન મુક્ત બન્યું. જેમ-જેમ હું કોઈ મોટું કામ કરવા માટે મારી જાતને પડકારતી, એમ-એમ મારી જિંદગીના પડકારો નાના થવા લાગ્યા.”
જે બાબત પહેલાં તેમને અશક્ય લાગતી, ત્યાંથી તેઓ 50 માઇલની પરિઘમાં ટ્રીપ કરવા લાગ્યાં. ધીમે-ધીમે તેઓ આખા યુરોપનો પ્રવાસ ખેડવા લાગ્યાં હતાં.
એન્જેલા કહે છે, “હું બધું ન કરી શકું, પરંતુ હું મારું ધ્યાન જે બાબતો થઈ શકે, એના ઉપર કેન્દ્રિત કરું છું, નહીં કે જે થઈ ન શકે.”
‘મને કહેવાયું હતું કે હું ક્યારેય નહીં જોઈ શકું’
ઇમેજ સ્રોત, Ed Stewart
વાત 1977ની છે. ઍડ સ્ટુઅર્ટ 17 વર્ષની ઉંમરના બેફિકર યુવાન હતા. તેમની નવી-નવી એન્જિનિયરિંગની નોકરી લાગી હતી, તેમનાં ગર્લફ્રૅન્ડ હતાં અને તેમની પાસે બાઇક હતી.
જોકે, એક પાર્ટીમાં બધું બદલાઈ ગયું. ત્યાં ઍડે તેમને ધમકી આપી રહેલા અન્ય એક ટીનએજરને પડકાર્યા. એ છોકરાએ શૉટગન ઉગામી અને “મારી આંખોની બરાબર વચ્ચે” ફાયર કર્યું.
કારતૂસમાં શૉટ ન હતો, પરંતુ તેના કૉર્કના ધડાકા અને ગનપાઉડરને કારણે ઍડનો ચહેરો વિક્ષત થઈ ગયો. એ ઘટનાને યાદ કરતા કહે છે, “મારા ચહેરાના કટકા થઈ ગયા હતા,” “હું અંધ થઈ ગયો હતો.”
ઍડ ખિન્ન થઈને જમીન ઉપર પડ્યા હતા. એ સમયે મગજમાં શું ચાલી રહ્યું હતું, તે યાદ કરતાં કહે છે, “ભગવાન, મહેરબાની કરીને મને ન મરવા દેતા. હું મરવા નથી માંગતો.”
ઇન્ટેન્સિવ કૅર દરમિયાન “ખૂબ જ દર્દ” થતું. તેઓ જાણતા હતા કે તેઓ “સંપૂર્ણપણે અંધ” થઈ ગયા છે, છતાં તેમણે “એમાં સબડતા ન રહે” તે માટે પ્રયાસ કર્યા.
સરકારી ચોપડે ઍડ ‘અંધ’ તરીકે નોંધાયેલા હતા. તેઓ સ્વીકારે છે કે આ ગાળા દરમિયાન સામાન્ય દેખાવા માટે તેમણે “કેટલીક મૂર્ખામી ભરેલી ચીજો” કરી. તેઓ બહુમાળી કાર પાર્કિંગના કિનારા ઉપર ચાલવાનો પ્રયાસ કર્યો.
હવે એને યાદ કરતા કહે છે, “મને લાગે છે કે કદાચ એ મારી મદદ માટેની પોકાર હતી.”
એ ઘટનાના એક વર્ષ બાદ ઍડને ટૉરક્વે ખાતેના રિહૅબિલિટેશન સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા. જેનાથી તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો, આ સાથે તેમને તક પણ મળી.
એ સમયે ઍડને કહેવામાં આવ્યું હતું કે તેઓ ક્યારેય નહીં જોઈ શકે, “તેઓ ગુસ્સામાં હતા,” આવા સમયે પિયાનો તેમનાં જીવનનું કેન્દ્રબિંદુ બન્યો અને તેમને નવો રસ્તો મળ્યો.
“લગભગ દરરોજ સાંજે હું તેની ઉપર બેસી રહેતો અને વિચારતો.” આ ઉત્કંઠાને પગલે ઍડે પિયાનો ટ્યૂનર તરીકે તાલીમ લીધી.
વર્ષો પછી ઍડે મૉરફિલ્ડ્સ આઇ હૉસ્પિટલ ખાતે જોખમી સર્જરી કરાવવાનું નક્કી કર્યું. આ પ્રક્રિયા દરમિયાન તેમની આંખમાં ગંઠાઈ ગયેલો લોહીનો ગઠ્ઠો હઠાવવામાં આવ્યો.
આ જુગાર ફળ્યો. ચાર મહિનામાં તેઓ એક આંખે ફરી દેખાવા લાગ્યું. તેઓ એ ક્ષણને “અજોડ” ગણાવે છે.
અચાનક ઍડ ફરી પોતાનો ચહેરો જોઈ શકતા હતા. તેઓ પહેલી વખત બીજા લોકોની પ્રતિક્રિયા જોઈ શકતા હતા. “તમે એના વિશે (પ્રતિક્રિયાઓ) સજા ગઈ થઈ જાવ છો. એ હંમેશા રહેવાનું જ.”
ઍડ કહે છે કે ઘણી વખત તેમને વિચાર આવે છે કે હું કેમ? તેઓ કહે છે, “હું નસીબદાર છું કે હું અહીં છું.”
દવા અને થૅરાપી દ્વારા માનસિક સમસ્યાઓનો ઇલાજ શક્ય છે. આને માટે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ. તમે આ હેલ્પલાઇનનો પણ સંપર્ક કરી શકો છો –
સામાજિક ન્યાય તથા અધિકાર મંત્રાલયની હેલ્પલાઇન – 1800-599-0019 (13 ભાષાઓમાં ઉપલબ્ધ)
ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ એપ્લાઇડ સાયન્સિસ – 9868396824, 9868396841, 011-22574820
હિતગુજ હેલ્પલાઇન, મુંબઈ – 022- 24131212
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરૉસાયન્સ – 080 – 26995000
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



