Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Gemma Ahern
(આ અહેવાલની કેટલીક વિગતો તમને વિચલિત કરી શકે છે)
જેમ્મા અહેર્ને બાળપણમાં પોતાના પિતાને પોતાનાં માતાને 36 વખત કાતરના ઘા મારીને તેમની હત્યા કરતા જોયા હતા. જોકે, તેમના પિતા જેલમાંથી છૂટ્યા પછી જેમ્માએ મજબૂરીથી તેમની સાથે જ પાછા રહેવા જવું પડ્યું હતું.
1992માં આ ઘટના બની ત્યારે જેમ્મા ત્રણ વર્ષનાં હતાં. તે સમયે તેમનાં માતાને કાતરના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. તેમના પિતાને હત્યાના દોષી નહીં, પરંતુ બિનઇરાદાપૂર્વ માનવવધના દોષી ઠરાવાયા હતા.
તેમને ચાર વર્ષની સજા થઈ જેનો અડધો ભાગ જેલમાં કાપ્યા પછી જેમ્મા છ વર્ષનાં હતાં ત્યારે તેમની કસ્ટડી પિતાને સોંપાઈ.
હવે 36 વર્ષીય જેમ્મા ‘જેડનો કાયદો’ લાગુ કરવાની માંગણી કરે છે. આ કાયદા હેઠળ કોઈ માતા અથવા પિતા પોતાના જીવનસાથીની હત્યા કરવાના આરોપમાં જેલમાં જાય, ત્યાર પછી તેમની ‘વાલી તરીકેની જવાબદારી’ આપોઆપ ખતમ થઈ જાય છે.
કાર્યકર્તાઓની માંગણી છે કે અસરગ્રસ્ત પરિવારની સુરક્ષા માટે તેને તાત્કાલિક લાગુ કરવામાં આવે. બ્રિટિશ સરકારના ન્યાયમંત્રાલયે પણ કહ્યું છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં તે લાગુ થઈ જશે.
જેમ્મા કહે છે, “આ આખા મામલામાં મારા કરતા મારા પિતાના હિતને વધુ મહત્ત્વ અપાયું.”
ઇમેજ સ્રોત, Family photo
26 વર્ષીય કોરેલ ક્વિટન પર તેમના ઘરમાં જ કાતરથી હુમલો કરાયો હતો, જ્યાં તેઓ પોતાના પતિ અને દીકરી સાથે રહેતાં હતાં. તેમના શરીર પર ચાકુના 36 પ્રહાર કરવામાં આવ્યા હતા, જેમાંથી 11 ઘા તેમના હૃદય પર લાગ્યા હતા.
જેમ્માએ કહ્યું કે, “તેઓ (માતા) સંબંધ તોડવા માંગતા હતા (અન્ય કોઈની સાથે રહેવા માટે).”
જેમ્માનાં માતાની હત્યા કર્યા પછી તેમના પિતાએ જેમ્માની સાથે પોલીસ સ્ટેશને જઈને આત્મસમર્પણ કરી દીધું. આ કેસની સુનાવણી માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં થઈ હતી.
તેમણે અદાલતને જણાવ્યું કે તેમના સંબંધને સમાપ્ત કરવાના મામલે વિવાદ થયો હતો, તેમને હુમલા વિશે કંઈ યાદ ન હતું.
બરી ટાઇમ્સના અહેવાલ પ્રમાણે જસ્ટિસ સ્મિથે આરોપીને ચાર વર્ષની જેલની સજા સંભળાવતા કહ્યું કે આ કૃત્ય તેમના સ્વભાવથી વિપરીત હતું અને તેઓ એક સારા યુવક હોય તેવું લાગતું હતું.
હું માનસિક રીતે હલબલી ગઈ છું
ઇમેજ સ્રોત, Gemma Ahern
જેમ્માના પિતા જેલમાં હતા ત્યારે જેમ્મા કેટલાંક વર્ષો સુધી પોતાનાં દાદાદાદી સાથે રહ્યાં.
તેમના પિતાના કહેવા પર દાદાદાદીઓ જ તેમનું પાલનપોષણ કર્યું. પિતા જેલમાંથી છૂટ્યા પછી જેમ્મા તેમની પાસે જતાં રહ્યાં.
જેમ્માનું પાલનપોષણ તેમના પિતા અને સાવકી માતાએ કર્યું, કારણ કે સારસંભાળની બધી જવાબદારી તેમના પિતા પર હતી.
જેમ્માએ પોતાનું બાળપણ અને તરુણાવસ્થા કોઈ પણ સવાલ કર્યા વગર ઑટોપાઇલટ મોડમાં વીતાવ્યું.
તેમણે કહ્યું કે મારું આખું બાળપણ મારી લાગણીઓને છુપાવવામાં વીત્યું.
તેમને જેમ જેમ ઘટનાઓ સમજાવા લાગ્યાં, તેમ તેમ તેમના માનસિક આરોગ્ય પર માઠી અસર થવા લાગી.
જૂના ઘાવથી તેઓ બહુ પરેશાન હતા. તેના કારણે તેઓ પીટીએસડી અને એડીએચડીનો ભોગ બન્યાં.
તેઓ 30 વર્ષનાં થયાં ત્યારે તેમણે વાસ્તવમાં શું થયું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી.
જેડનો કાયદો શું હોય છે?
ઇમેજ સ્રોત, Family photo
જેડ વૉર્ડ નામનાં એક મહિલાના નામ પરથી આ કાયદાનું નામ રખાયું હતું.
2021માં જેડ વૉર્ડની હત્યા તેમના ભૂતપૂર્વ પાર્ટનર રસેલ માર્શે એવા સમયે કરી જ્યારે તેમના ચારેય બાળકો ઊઘતાં હતાં. માર્શને 2022માં 25 વર્ષની જેલની સજા સંભળાવાઈ હતી.
જોકે, જેલમાંથી પોતાનાં બાળકોની તસવીરો અને સ્કૂલ રિપોર્ટ મોકલવામાં આવે તેવા જેડના અનુરોધથી તેમનો પરિવાર પરેશાન હતો.
વર્તમાન કાયદા હેઠળ કોઈ પાર્ટનરની હત્યા થઈ જાય તો પણ બાળકોના આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્ત્વના નિર્ણયોમાં માતાપિતાની ભાગીદારી અનિવાર્ય છે.
જેડના પરિવારે આ કાયદા સામે સંઘર્ષ કર્યો જેના કારણે મે 2024માં બ્રિટનમાં ‘વિક્ટિમ્સ ઍન્ડ પ્રિઝનર્સ ઍક્ટ 2024 (સેક્શન 18) – જેડના કાયદા’ તરીકે પસાર થયો.
તેનાથી પોતાના જીવનસાથીની હત્યા કરનારાઓ માટે પોતાનાં બાળકો પરના અધિકારો ખતમ થઈ જશે.
આ તો આજીવન કારાવાસ છે
ઇમેજ સ્રોત, Gemma Ahern
જેમ્માનું કહેવું છે કે પોતાના પિતા સાથે મોટાં થવું એ તેમના માટે આજીવન કેદ સમાન હતું, તેનાથી તેમના પર નકારાત્મક અસર પડી.
તેઓ ઇચ્છે છે કે આવા મામલામાં બાળકોને તેમના નાના-નાની પાસે મોકલી દેવામાં આવે અને તેમને સામાજિક સંગઠનો તરફથી સંપૂર્ણ ટેકો મળે.
જેમ્માનું માનવું છે કે બાળકોને નાનપણથી જ તેમની ઉંમર મુજબ હકીકત સમજાવવામાં આવે તો તેમનામાં માનસિક આરોગ્યની સમસ્યા પેદા થવાની શક્યતા ઘટી જાય છે.
જેમ્માએ 31 વર્ષની ઉંમરમાં પોતાના પિતાનો કારોબાર છોડી દીધો અને ઉત્તર વેલ્સ જતા રહ્યા.
તેમણે કહ્યું, દૂર રહેવાથી મને સુરક્ષા અનુભવાઈ.
દોઢ વર્ષ સુધી સત્ય જાણ્યા પછી જેમ્માએ પોતાના પિતા સાથે સંપૂર્ણ રીતે સંબંધ તોડી નાખ્યા.
બ્રિટિશ સરકારે જાહેરાત કરી છે કે આ કાયદો 2026ના અંત સુધીમાં લાગુ કરવામાં આવશે.
ચેરિટી સંસ્થાઓ જેડના કાયદાને તાત્કાલિક લાગુ કરવાની માંગણી કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓમાં બાળકો અને તેમનું પાલનપોષણ કરનારાઓ ‘ભૂલાઈ ગયેલા પીડિત’ બની રહે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



