Home તાજા સમાચાર gujrati ગુજરાત : ‘સિંહ રોજ ગામમાં આવી જાય છે,’ ગીરના સાવજ માનવવસ્તીમાં કેમ...

ગુજરાત : ‘સિંહ રોજ ગામમાં આવી જાય છે,’ ગીરના સાવજ માનવવસ્તીમાં કેમ આંટા મારવા લાગ્યા?

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ગીર સિંહ દીપડા પ્રાણી ખેડૂત એશિયાટિક લાયન ગુજરાત

ઇમેજ સ્રોત, ANI/Getty Images/Bipin Tankariya

  • લેેખક, ગોપાલ કટેશિયા
  • પદ, બીબીસી સંવાદદાતા
  • દ્વારા રિપોર્ટિંગ ગીર સોમનાથ અને અમરેલીથી
  • 6 જૂન 2025, 18:01 IST

    અપડેટેડ 2 કલાક પહેલા

રાજ્ય સરકારે 10-13 મે, 2025 દરમિયાન હાથ ધરાયેલ સોળમો સિંહ વસ્તી અંદાજ, 2025 જેને લોકો સામાન્ય રીતે સિંહ વસ્તી ગણતરી કહે છે તેનાં પરિણામ જાહેર કરી દીધાં છે.

સત્તાવાર રીતે જાહેર કરાયેલ આંકડા અનુસાર ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તી વધીને 891 થઈ ગઈ છે. આ વસ્તી 2020ના વર્ષમાં 674 હોવાનો અંદાજ હતો.

આમ, પાંચ વર્ષમાં રાજ્યમાં સિંહોની વસ્તીમાં 227 સિંહોનો એટલે કે 32.20 ટકાનો વધારો થયો છે.

રસપ્રદ બાબત એ છે કે સિંહોની કુલ વસ્તીમાંથી લગભગ અડધોઅડધ સિંહો તો રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો જેવા રક્ષિત વનવિસ્તારોની બહાર માનવોની વસ્તીવાળા રેવન્યૂ વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે.

મહેસૂલી વિસ્તારો વનવિભાગના નિયંત્રણ હેઠળ નહીં, પરંતુ મહેસૂલ ખાતાના નિયંત્રણ હેઠળ હોય છે અને જમીનની માલિકી ખાનગી, સરકારી કે સંસ્થાઓની હોય છે અને આવા વિસ્તારોમાં માનવોની વસ્તી વધારે હોય છે. વળી, સત્તાવાર આંકડા મુજબ 2020માં સૌરાષ્ટ્રના 30,000 ચોરસ કિમી (ચો. કિમી) વિસ્તારમાં સિંહોની અવરજવર હતી તે 2025માં વધીને 35,000 ચો. કિમીમાં થઈ ગઈ છે.

કેટલાંક ગામોમાં તો સિંહો લગભગ દરરોજ રાત્રે શેરીમાં લટાર મારવા નીકળી પડે છે અને તે રીતે સોપો પાડી દે છે તેમ સ્થાનિક લોકો કહે છે.

માનવવસ્તીવાળા વિસ્તારોમાં સિંહો અને દીપડા જેવાં શક્તિશાળી માંસાહારી પ્રાણીઓ સ્થાયી થવાથી સૌરાષ્ટ્રના લોકોને પોતાની જીવનશૈલી અને મકાનો-આવાસોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.

રાની પશુઓ માનવ વસાહતોની નજીક વિચરણ કરતા થવાથી મેન-એનિમલ કૉન્ફ્લિક્ટ એટલે કે માનવો અને વન્ય પ્રાણીઓ વચ્ચે ઘર્ષણના બનાવોમાં વૃદ્ધિ થવાની શક્યતા વધારે રહે છે તેમ નિષ્ણાતો જણાવે છે.

પરંતુ, વનવિભાગના અધિકારીઓ કહે છે કે સિંહો સામાન્ય સંજોગોમાં માણસો પર હુમલા કરતા નથી અને સૌરાષ્ટ્રના લોકો પ્રાણીઓ પ્રત્યે સંવેદના અને સહનશીલતા દાખવનાર લોકો હોવાથી માનવો અને વન્ય પ્રાણીઓ વચ્ચે ઘર્ષણ વધવાની શક્યતા ઓછી છે. જોકે, દીપડા થોડો ઉપદ્રવ ફેલાવી રહ્યા છે.

‘હવે બળદ બહાર બાંધવામાં જોખમ’

બીબીસી ગુજરાતી ગીર સિંહ દીપડા પ્રાણી ખેડૂત એશિયાટિક લાયન ગુજરાત

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

અમરેલીના રાજુલા તાલુકામાં ધાતરવડી નદીના કાંઠે આવેલા ઝાપોદર ગામમાં સિંહો દોઢેક દાયકાથી અવરજવર કરી રહ્યાં હોવાનું આ ગામના 75 વર્ષના ખેડૂત આપાભાઈ ધાખડા જણાવે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, “હું યુવાન હતો ત્યારે ગઢીયા (અમરેલીના ધારી તાલુકામાં ગીરની સરહદ નજીક) ગામે અમારા સબંધીને ત્યાં જવાનું થતું. ત્યારે અમને ત્યાંના લોકો સિંહ બતાવતા હતા. અમે કોઈ દિવસ અમારા ગામમાં સિંહ જોયા નહોતા. અમે તો અમારી વાડીમાં રાત-દિવસ કામ કરતા અને રાત્રે વાડીમાં જ સૂઈ જતા.”

“પરંતુ, 15-17 વર્ષ પહેલાં અમારા ગામમાં સિંહ અને દીપડા દેખાવા લાગ્યા અને છેલ્લા દસેક વર્ષથી તો તેઓ અમારા ગામમાં જ રહી ગયા છે. હવે વાડીમાં ખુલ્લામાં સૂઈ શકાતું નથી કારણ કે દીપડા ક્યારે હુમલો કરે તે નક્કી નહીં. મેં બળદ માટે વાડીમાં ફરજો (પશુ રાખવા માટે બનાવેલો શેડ) બનાવ્યો છે. હવે બળદને બહાર બાંધી શકતા નથી. સાવજ ગમે ત્યારે આવે અને તેને વીંખી નાખે.”

દીપડાના ડરના કારણે બાળકોને પાંજરામાં સૂવડાવવાં પડે છે

બીબીસી ગુજરાતી ગીર સિંહ દીપડા પ્રાણી ખેડૂત એશિયાટિક લાયન ગુજરાત

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

રાજુલા તાલુકા નજીક જાફરાબાદના ભાકોદર ગામના વાતની અને ઝાપોદર ગામમાં ભાગીયા તરીકે ખેતી કરતા ભરતભાઈ બારૈયા (ઉ. 35 )નાં પત્નીનું છ મહિના પહેલાં તેમના દીકરા પ્રકાશને જન્મ આપતી વખતે મૃત્યુ થયું હતું. બે મહિના પછી તેમના વૃદ્ધ પિતા ખીમાભાઈનું પણ મૃત્યુ થયું.

તેથી ભરતભાઈ પર નવજાત દીકરા, પાંચ દીકરીઓ અને વૃદ્ધ માતાની સારસંભાળ રાખવાની સઘળી જવાબદારી પર આવી.

બીબીસી સાથેની વાતચીતમાં ભરતભાઈ કહે છે કે, “મારી સૌથી મોટી દીકરી દસ વર્ષની છે. માતાની ઉંમર પણ લગભગ 70 વર્ષ છે. મારે રાત્રે પણ વાડીમાં કામ કરવું પડે. હું જે વાડીમાં કામ કરું છું ત્યાં બારણાંબંધ કોઈ મકાન નથી. અમે જેમાં રહીએ છીએ તે ઝૂંપડી જેવું મકાન બે તરફથી ખુલ્લું છે.”

“પત્નીના મૃત્યુ બાદ એક દિવસ અમારા મકાન નજીક એક દીપડો દેખાયો અને મને મારી બાળકીઓની સલામતીની ચિંતા થવા લાગી. તેથી, મેં દસેક હજારના ખર્ચે મકાનની અંદર એક પાંજરું બનાવ્યું અને દીકરીઓને તેની અંદર સુવડાવું છે કારણ કે મારે તો રાત્રે પણ વાડીમાં કામ કરવા જવું પડે.”

ભરતભાઈ વધુમાં ઉમેરે છે, “સાતેક મહિના અગાઉ એક સાથે નવ સિંહ મારા કપાસના ખેતરમાં દેખાયા હતા. દીપડો અમારા એક-બે ગલૂડિયાં પણ લઈ ગયો. પણ, ગમે તે જાનવર હોય, આપણો નિયમ છે કે તેની પર ઘા નહી કરવાનો.”

પાકનું રખોપું કરતા સિંહ-દીપડાનો ભય

બીબીસી ગુજરાતી ગીર સિંહ દીપડા પ્રાણી ખેડૂત એશિયાટિક લાયન ગુજરાત

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલિદર ગામે ખેડૂત ચેતન બારડે તાજેતરમાં જ પોતાની વાડીમાં વનવિભાગ તરફથી પંદરેક હજારની સબસિડીની મદદથી લોખંડનો એક માંચડો ઊભો કર્યો છે.

દસેક ફૂટ ઊંચો માંચડો હકીકતમાં લોખંડના ચાર પાઇપ ઉપર ગોઠવેલ એક પાંજરા જેવી રચના છે. તેની ચારે બાજુ લોખંડની જાળી છે અને ઉપર પતરાની છત છે.

ચેતન બારડ કહે છે, “અમારા વિસ્તારમાં જંગલી ભૂંડ અને રોજડા (નીલગાય) ઊભા પાક ચરી જવાની ભીતિ સતત રહે છે અને તેથી રાત્રે આ જાનવરોથી પાકનું રક્ષણ કરવા માટે વાહુપુ કરતા વાડીમાં જ રાતો વિતાવવી પડે છે. તો બીજી બાજુ મારી વાડીમાં સિંહ અને દીપડાની અવરજવર ખૂબ વધારે રહે છે. ખાસ કરીને દીપડાનો ડર રહે છે કારણ કે શેરડીમાં દીપડાને સંતાવવા માટેની જગ્યા અને પૂરતા પાણી અને ઠંડક મળી જાય છે અને તેથી તે અમારી વાડીમાં આંટાફેરા કર્યા કરે છે.”

તેમના માંચડાની ત્રણ બાજુએ વાવેલી શેરડી માથા સુધી ઊંચી થઈ ગઈ છે. ચોથી બાજુના ખેતરમાં ચેતનભાઈ અને અન્ય મજૂરો કામ કરી રહ્યા છે. શેરડીનો પાક સિંહ કે દીપડાને છાંયો એને ઠંડક આપી શકે તેટલો મોટો થઈ ગયો છે.

તેઓ કહે છે, “સિંહ સામાન્ય રીતે માણસો પર હુમલા કરતા નથી, પરંતુ દીપડા ક્યારે આપણા પર હુમલો કરી દે તે કઈ જ કહી સહાયક નહિ. તેથી, સરકારની સહાયથી આ મેડો થઇ જતા હવે થોડી સલામતીનો અનુભવ થયા છે.”

તેમણે કહ્યું કે, “ક્યારેક સિંહ મારા ફરજાની નજીકથી પસાર થયા ત્યારે અંદર બાંધેલી ગાયોને લઈને અમારા જીવ ઊંચા થઈ જાય છે. પરંતુ, ફાયદો એ છે કે સિંહ અમારી વાડીમાં જેટલા દિવસ રોકાય તેટલા દિવસ ભૂંડ અને રોજડા અમારી વાડીની નજીક ફરકતાં નથી.”

‘ગામમાં રોજ સિંહ દેખાય છે’

બીબીસી ગુજરાતી ગીર સિંહ દીપડા પ્રાણી ખેડૂત એશિયાટિક લાયન ગુજરાત

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

રાજુલા તાલુકામાં પીપાવાવ બંદર નજીક આવેલ રામપરા-2 ગામે બીબીસીએ એકવીસમી મેના રોજ મુલાકાત કરી તેની આગલી રાત્રે સિંહોએ તે ગામના ખેડૂત બાઘાભાઈ વાઘની ગાય પર હુમલો કરતા ગાય ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

બાઘાબાઈ જણાવે છે, “ગાયને ગોશાળા ખાતે નીરણ ખાવા માટે છોડી હતી અને પછી તે પાણી પીવા ગઈ ત્યારે પાંચ-છ સિંહોએ તેના પર હુમલો કર્યો. પરંતુ લોકો જોઈ જતાં હોંકારા-પડકાર કરી, સિંહોને દૂર કર્યા અને ગાયને બચાવી તો લીધી. પરંતુ પગે ઇજા થતાં તે ઊભી થઇ શકતી નથી.”

રામપરા ગામની આજુબાજુ સરકારી પડતર, ગૌચર અને ખાનગી માલિકીની જમીનોમાં ગાંડા બાવળની ઝાડી છે. રોડ પરથી દિવસે પસાર થનાર લોકોને પણ નીલગાયો જે સિંહોનો ખોરાક છે તે આમતેમ ભટકતી જોવા મળી જાય છે. ગામની અંદર સાંજ પડે એટલે રેઢિયાળ કે માલિકીની ગયો અને આખલા રખડતા નજરે ચડે છે અને સ્થાનિક લોકો કહે છે કે સિંહો આ પશુઓનો શિકાર કરવા આકર્ષાય છે.

55 વર્ષના ખેડૂત લક્ષ્મણભાઈ વાઘ કહે છે, “સિંહો અમારા ગામની અંદર શેરીઓમાં લગભગ રોજ આવી ચડે છે. રાતના બારેક વાગે એટલે તેની ત્રાડો સાંભળવા લાગે છે. અમારી વાડીઓમાં કામ કરવા કોઈ મજૂર આવતા નથી અને મહિલાઓ એકલી વાડીએ જઈ શકતી નથી. વાડીઓમાં તો બહુ બીક નથી પણ વાડીઓના રસ્તે સિંહોનો ભેટો થઈ જવાની બીક કાયમ રહે છે.”

માનવી અને પ્રાણીઓના સંઘર્ષ વિશે નિષ્ણાતો શું કહે છે?

બીબીસી ગુજરાતી ગીર સિંહ દીપડા પ્રાણી ખેડૂત એશિયાટિક લાયન ગુજરાત

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

જાણીતા વન્યજીવ ફોટોગ્રાફર અને વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે કામ કરતા ભૂષણ પંડ્યા કહે છે કે સિંહો નવા વિસ્તારમાં જતા માનવો અને સિંહો બંનેને શરૂઆતમાં ડર લાગે છે.

તેઓ કહે છે, “પહેલી વખત જ્યાં સિંહ જાય ત્યાં બધાને ડર લાગે જ. એમ લાગે કે સિંહો તેમનાં બાળકો પર, તેમના પર હુમલો કરશે, તેનાં માલઢોર પર હુમલો કરશે તેવો ડર લાગે. જેને સિંહના સ્વભાવની ખબર નથી તેને ડર લાગે. લોકોએ ધ્યાન તો રાખવું પડે, કારણ કે સિંહ ટૉપ કાર્નીવોર (સર્વોચ્ચ માંસાહારી પ્રાણી) છે. ટેરિટરી વાળું એનિમલ છે અને તે પોતાની ટેરિટરીમાં બીજા કોઈ સિંહને પણ સહન નથી કરતો.”

“જો મનુષ્ય તેનું વર્તન થોડું ઘણું સમજે તો શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ શક્ય છે અને તે વર્ષોથી થતું જ આવ્યું છે. સિંહો માણસોના વિસ્તારમાં જાય છે તો તે તેના વર્તનમાં ફેરફાર કરે છે અને અનુકૂલન સાધે છે. તે જ રીતે મનુષ્યો પણ અનુકૂલન સાધે છે.”

ભૂષણ પંડ્યા ઉમેરે છે કે સિંહોનું વિસ્તરણ લોકોના સહકાર પર ઘણું નિર્ભર છે. તેઓ કહે છે કે, “વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકને મેં એક વાર પૂછ્યું કે સિંહો વિસ્તરી રહ્યા છે તો સિંહો ક્યાં રહેશે અને ક્યાં નહીં રહે. તેમણે મને જણાવેલું કે જવાબ સાવ સરળ છે-જ્યાં લોકો તેને સ્વીકારશે ત્યાં રોકાઈ જશે અને તેમની સ્થાયી વસ્તી સ્થાપિત થશે. જ્યાં લોકો તેમને રહેવા નહીં દે તેવી જગ્યાઓએ સિંહો દેખાશે ખરા પણ ત્યાં રહેશે નહીં.”

“દરેક જગ્યાએ માનવવસ્તીની બાજુમાં સિંહ રહેવા જ માંડશે તેવું નહીં બને,” તેઓ કહે છે અને ઉમેરે છે, “ગીરના સિંહોનો મુખ્ય ખોરાક ચિતલ, સાબર, નીલગાય અને જંગલી ભૂંડ છે. આ બધાં પ્રાણીઓ ખેડૂતોના ઊભા પાકને નુકસાન કરે છે. જો સિંહો નહીં હોય તો આ પ્રાણીઓની વસ્તી વધી બેકાબૂ થઈ જશે અને મોટી સમસ્યા ઊભી થશે, કારણ કે સરકારે નીલગાયને મારવાની છૂટ આપી હોવા છતાં લોકો જીવદયામાં માનનારા હોવાથી કોઈ નીલગાયને મારતું નથી.”

સરકાર શું કહે છે?

બીબીસી ગુજરાતી ગીર સિંહ દીપડા પ્રાણી ખેડૂત એશિયાટિક લાયન ગુજરાત

ઇમેજ સ્રોત, ANI

ગુજરાત સરકારના વનવિભાગમાં વન્યજીવ વિભાગના અગ્ર મુખ્ય વનસરંક્ષક જયપાલસિંહ કહે છે કે “સિંહોની વસ્તી મહેસૂલી વિસ્તારોમાં ફેલાતાં માનવો અને વન્યપ્રાણીઓ વચ્ચે ઘર્ષણ વધશે તેમ લાગતું નથી. ઊલટાનું અમને તો એમ લાગે છે કે લોકો સિંહોનું સ્વાગત કરે છે.”

તેઓ કહે છે, “સિંહો જ્યાં સ્થાયી થયા છે અને કોઈ કારણસર તેમને અન્ય જગ્યાએ લઈ જવા પડે તો સ્થાનિક ખેડૂતો અમારા સ્ટાફને પૂછે છે કે સિંહો ક્યારે પાછા આવશે, કારણ કે સિંહોથી તેમના પાકોને નુકસાન પહોંચાડતાં તૃણભક્ષી પ્રાણીઓ દૂર રહે છે.”

“સિંહોની વસ્તી વધતાં વન્યપ્રાણીઓ અને માનવો વચ્ચે ઘર્ષણ વધશે તે અમારા માટે બહુ ચિંતાજનક મુદ્દો નથી. હા, આ વિસ્તારોમાં દીપડાઓ જરૂર એક સમસ્યા બની રહ્યા છે. એક વર્ષમાં વન્યપ્રાણીઓ દ્વારા માનવો પર હુમલાના વીસ બનાવ બને તો તેમાંથી ઓગણીસમાં તો હુમલો કરનાર પ્રાણી દીપડા હશે,” એમ જયપાલસિંહે બીબીસીને જણાવ્યું.

તેમણે ઉમેર્યું કે, “બૃહદ ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ અને માનવો વચ્ચે ઘર્ષણ ટાળવા સરકાર યોજનાબદ્ધ રીતે કામ કરી રહી છે. અમે જે વિસ્તારોમાં સિંહો વિસ્તરી રહ્યા છે તે વિસ્તારો સિંહોના સારા આવાસ બની રહે તે માટેના કામ હાથ ધરી રહ્યા છીએ જેથી સિંહો માનવો અને માનવ વસાહતોથી દૂર જ રહે અને ઘર્ષણ ન થાય.”

અમરેલી જિલ્લામાં સિંહની વસ્તી સૌથી વધુ

બીબીસી ગુજરાતી ગીર સિંહ દીપડા પ્રાણી ખેડૂત એશિયાટિક લાયન ગુજરાત

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

સિંહ વસ્તી અંદાજના અહેવાલ અનુસાર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યપ્રાણી અભયારણ્ય અને તેની આજુબાજુના વયસ્તરોમાં 384 સિંહોની હાજરી નોંધાઈ હતી. આ વસ્તીને મુખ્ય વસ્તી એટલે કે કોર પૉપ્યુલેશન અથવા સોર્સ (સ્રોત) પૉપ્યુલેશન કહેવામાં આવે છે.

નર સિંહો કોઈ એક ભૌગોલિક વિસ્તારમાં પોતાની હદ-સીમા બાંધી તેમાં અન્ય કોઈ નર સિંહોને રહેવા દેતા નથી અને તે રીતે સિંહો પ્રાદેશિક પ્રાણીઓ ગણાય છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં સિંહોની વસ્તી વધતા આ કોર પૉપ્યુલેશનમાંથી સિંહો 1990 દાયકાના ઉત્તરાર્ધમાં 1412 ચોરસ કિમીમાં ફેલાયેલ ગીરના જંગલની આજુબાજુના વિસ્તારોમાં વિસ્તારવા લાગ્યા અને ત્યાં સ્થાયી થવા લાગ્યા.

જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ફેલાયેલ ગીરના જંગલથી દૂર સ્થાયી થયેલ સિંહોના સમુહોને સેટેલાઇટ પૉપ્યુલેશન્સ એટલે કે મુખ્ય વસ્તીથી અલગ પડેલ વસ્તીઓ કહેવાય છે. 2025માં આવી કુલ નવ અલગ પડેલ વસ્તીઓ નોંધાઈ છે.

કેટલાક સિંહો કૉરિડૉર એટલે એક રહેઠાણથી અન્ય રહેઠાણ વચ્ચેના પથમાં નોંધાયા હતા. આ વર્ષની સિંહ વસ્તી ગણતરીમાં પોરબંદર જિલ્લામાં આવેલા બરડા અભ્યારણ્ય સ્થાયી થયેલા સત્તર સિંહોને એક નવી સેટેલાઈટ પૉપ્યુલેશન ગણવામાં આવી છે.

બીબીસી ગુજરાતી ગીર સિંહ દીપડા પ્રાણી ખેડૂત એશિયાટિક લાયન ગુજરાત

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં વસવાટ કરી રહેલા છ સિંહો, જસદણ અને તેની નજીક અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વિસ્તારોમાં વસવાટ કરી રહેલા છ સિંહોને એક નવી બની રહેલ સેટેલાઇટ પૉપ્યુલેશન તરીકે ગણવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લામાં ગીર અભયારણ્યની એકદમ નજીક આવેલ પાણિયા વન્યજીવ અભયારણ્યમાં સ્થાયી થયેલ સિંહોનો કોર પૉપ્યુલેશનમાં સમાવેશ કરવામાં આવેલ છે. સેટેલાઇટ પૉપ્યુલેશન્સમાં ગિરનાર, મિતિયાળા અને બરડાનાં જંગલ અભ્યારણ્યો છે.

બૃહદ ગીર તરીકે જાણીતા બાકીના વિસ્તારોમાં સ્થાયી થયેલા સિંહો ગુજરાત વનવિભાગના નિયંત્રણ હેઠળના રક્ષિત વન, આરક્ષિત વન અને બિનવર્ગીકૃત વન તેમજ મહેસૂલ વિભાગ હસ્તકના સરકારી ખરાબ અને ખાનગી માલિકીની જમીનોમાં વસવાટ કરી રહ્યા છે.

સિંહોની જિલ્લાવાર વસ્તીમાં અમરેલી જિલ્લો અવ્વલ છે. અમરેલીમાં 2020માં સિંહોની વસ્તી 233 હોવાનો અંદાજ હતો તેમાં પાંચ વર્ષ દરમિયાન 106 સિંહોનો વધારો થતા વસ્તી હવે 339 થઈ ગઈ છે.

બીબીસી ગુજરાતી ગીર સિંહ દીપડા પ્રાણી ખેડૂત એશિયાટિક લાયન ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

2020માં માત્ર જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં સિંહોની વસ્તી નોંધાઈ હતી. તેમાં હવે પોરબંદર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકાનો ઉમેરો થતાં હવે સાત જિલ્લામાં સિહો હાજરી ધરાવે છે.

સૌરાષ્ટ્રના 11માંથી માત્ર બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગર જિલ્લામાં જ સિંહની વસ્તી નથી.

2025ની વસ્તી ગણતરી મુજબ સિંહોની કુલ વસ્તીમાં 55.78 ટકા, એટલે કે 497 સિંહ વનવિસ્તારમાં નોંધાયા હતા. જ્યારે 394 સિંહ (44.2 ટકા) વનવિસ્તારોની બહાર નોંધાયા હતા.

246 સિંહો સરકારી ખરાબાની જમીન પર વસે છે, 88 સિંહો ખેતીની જમીનો પર અને 46 સિંહો નદીઓના કાંઠાળ વિસ્તારોમાં વસે છે. આ ઉપરાંત 11 સિંહોએ બાંધકામવાળા વિસ્તારોમાં પોતાની બોડ બનાવી છે અને ત્રણ સિંહે ગામ-શહેરની નજીક ધામા નાખ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS