Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
- Twitter,
-
6 જૂન 2025, 19:42 IST
અપડેટેડ 3 કલાક પહેલા
સમગ્ર ભારત સહિત ગુજરાતમાં કોરોના વાઇરસના કેસો વધારો જોવા મળી રહ્યો છે.
ભારતના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય અનુસાર દેશમાં કોવિડ-19ના ઍક્ટિવ કેસોની સંખ્યા પાંચ હજારને પાર થઈ ચૂકી છે.
મંત્રાલય તરફથી શુક્રવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં કોવિડ-19ના કુલ 5,364 મામલાની પુષ્ટિ થઈ છે.
તેમાંથી મોટા ભાગના મામલાની પુષ્ટિ કેરળમાં થઈ છે. કેરળ બાદ સૌથી વધુ કેસ ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં જોવા મળ્યા છે.
કેરળમાં કોવિડના 1,679 ઍક્ટિવ મામલા, ગુજરાતમાં 615, પશ્ચિમ બંગાળમાં 596 અને દિલ્હીમાં 592 ઍક્ટિવ મામલા છે.
મંત્રાલય પ્રમાણે આ વર્ષે દેશમાં અત્યાર સુધી કોરોનાથી 55 દર્દીઓનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
હવે જ્યારે કોરોના ભૂતકાળ બની ગયાનું મનાઈ રહ્યું હતું તેવા સમયે ફરી એક વાર કોરોનાથી દર્દીઓનાં મૃત્યુના સમાચાર સામે આવવા લાગ્યા છે.
કોરોનાના કેસોમાં ઝડપી વધારાની વાત એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે, કારણ કે આગળ નોંધ્યું એમ ગુજરાત કોરોનાના ઍક્ટિવ કેસો બાબતે દેશમાં બીજા ક્રમે છે.
અહીં નોંધનીય છે કે હાલ દેશના ઘણા ભાગોમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોનાનો વૅરિયન્ટ JN.1, કોરોના વાઇરસની ત્રીજી લહેરમાં જોવા મળેલા ઑમિક્રોન વૅરિયન્ટનો જ એક પ્રકાર છે.
સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાતોના મતે હાલ કોરોનાના કેસોમાં વધારા સંદર્ભે ગભરાવાની જરૂર નથી.
જોકે, કોરોનાથી થતાં મૃત્યુના સમાચાર સાંભળીને ડર લાગે એ સ્વાભાવિક પણ છે.
હાલ અવઢવની આ સ્થિતિમાં લોકોનાં મનમાં કોરોના વાઇરસના વૅરિયન્ટ અંગે ઘણા સવાલો ઊઠવાનું પણ સ્વાભાવિક છે.
હાલ ફેલાઈ રહેલો કોરોના વાઇરસનો વૅરિયન્ટ કેટલો જોખમી છે? તેનાથી બચવા માટે શું સાવચેતી રાખવી? તેની સામે કોરોનાની રસી અસરકારક છે કે નહીં? આ વાઇરસ કોને વધુ અસર કરી શકે? તેમજ સરકાર કોરોનાના નિયંત્રણ માટે શું પગલાં લઈ રહી છે? આ બધા સવાલોના જવાબ મેળવવાનો બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.
કોરોનાના કેસો વધવા માટેનાં સંભવિત કારણો શું છે?
ગુજરાત સરકારે જાહેર કરેલ પ્રેસ નોટ અનુંસાર ગત 4 જૂનના રોજ રાજ્યમાં 119 કેસ નવા કેસ નોંધાયા હતા.
તેની સાથે હાલ રાજ્યમાં કુલ 508 કેસ છે. જેમાંથી 490 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.
જ્યારે 18 દર્દીઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે “કોરાનાના થોડાક કેસ આવી રહ્યા છે. પરંતુ કોરોના પાછો આવી રહ્યો નથી. લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.”
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેડિકલ ઑફિસર ભાવિન સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, “હાલ કેસોમાં થોડોક વધારો થયો છે, પરંતુ ગંભીર કેસો નથી.મોટા ભાગના કેસોમાં લોકો હોમઆઇસોલેશનમાં જ સાજા થઈ જાય છે.”
જાણીતા પલ્મોનૉલૉજિસ્ટ અને ગુજરાત સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. તુષાર પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, “અત્યારે જે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે, તે સામાન્ય ફ્લુ જેવા જ કેસો છે. આ રૂટિન લક્ષણો ધરાવતા જ કેસ છે. વધુ ગંભીર અસરવાળા કેસ જોવા મળતા નથી.”
ગુજરાત સરકારની પ્રેસનોટ અનુંસાર કોવિડ-19ના કેસોમાં દર છ-આઠ મહિને વધારાનું વલણ જોવા મળે છે. જેથી ગભરાવાની જરૂર નથી.
ડૉ.તુષાર પટેલ તાજેતરમાં કોવિડ-19ના નવા વૅરિયન્ટના કેસો વધવા પાછળનું સંભવિત કારણ જણાવતાં કહે છે કે, “હાલ ગરમીની સિઝન છે અને અચાનક વરસાદ પણ પડે છે. આમ, ડબલ સિઝનને કારણે કેસોમાં વધારો થયો હોઈ શકે છે.”
ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, “કોરાનાના કેસો વધવા પાછળનાં કારણો અંગે હાલ કંઈ કહી શકાય તેમ નથી.”

ગુજરાત સરકારે જાહેર કરેલી માહિતી અનુસાર કોવિડ-19 પૉઝિટિવ દર્દીઓના ગાંધીનગરસ્થિત ગુજરાત બાયૉટેકનૉલૉજી રિસર્ચ સેન્ટરમાં જીનોમ સિકવન્સિંગ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.
જેમાં જોવા મળ્યું હતું કે કોરોનાના દર્દીઓમાં મુખ્યત્વે JN.1, LF.7, LF7.9 અને XFG વૅરિયન્ટ જોવા મળ્યા છે.
જે ડબ્લ્યૂએચઓના ધારાધોરણ મુજબ ‘વૅરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ’ છે. આ વૅરિયન્ટ સામાન્ય છે, જેનાથી ગભરાવાની જરૂર નથી.
ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, “આ વૅરિયન્ટ એ ઑમિક્રોનનું જ સ્વરૂપ છે. આ વૅરિયન્ટના દર્દીઓમાં પણ શરદી,ખાંસી , સુકી ખાંસી, ગળુ પકડાવું, તાવ, ડાયરિયા જેવાં લક્ષણો જોવા મળે છે. કોઈ ગંભીર પ્રકારનાં લક્ષણો જોવા મળતાં નથી. જે દર્દીઓને અન્ય માદગી છે, જેમનું બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ વધુ રહે છે તેવા દર્દીઓને ગંભીર અસર થઈ શકે છે.”

કોરોનાના કેસોમાં થઈ રહેલા લૅટેસ્ટ વધારા બાદ સુરક્ષિત રહેવા માટે કોરોનાની રસી લેવાની જરૂરિયાત અંગે ડૉ. રાકેશ જોશીએ વાત કરી.
તેમણે કહ્યું કે, “અત્યારે રસી લેવાની જરૂર જણાતી નથી. બધા લોકોનું રસીકરણ થઈ ગયું છે. હાલ દર્દીઓને જોઈને લાગી રહ્યું છે કે રસીકરણને કારણે જ હળવાં લક્ષણો ધરાવતા કેસો આવી રહ્યા છે. જોકે નવા વૅરિયન્ટમાં વર્તમાન રસી કેટલી અસરકારક છે, તે અંગે હાલ કશું કહી શકાય નહી.”
એસવીપી હૉસ્પિટલના મેડિસિન વિભાગનાં હેડ ડૉ.અમી પરીખે જણાવ્યું હતું કે, “આ રસી કેટલી અસરકારક છે તે અંગે સંશોધન થયા બાદ જ કહી શકાશે. રસીકરણ અંગે ભારત સરકારની ગાઇડલાઇનને અનુસરવામાં આવે છે. હાલ આ અંગે કોઈ નવી ગાઇડલાઇન આવી નથી.”

ડૉ અમી પરીખે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં હાલના કોરોનાના ચેપના ફેલાવાના નિયંત્રણ માટે પગલાં સૂચવ્યાં હતાં.
તેમણે કહ્યું હતું કે, “તમને શરદી-ખાંસી હોય તો બીજાને ચેપ ન લાગે એ માટે માસ્ક પહેરવું જોઈએ. જે લોકોને શ્વસન સંબંધિત બીમારી હોય તેમને ભીડભાડવાળી જગ્યાઓએ,હૉસ્પિટલમાં કે લૅબોરેટરીમાં કે કોઈ પણ એવી જગ્યાએ જાઓ કે જ્યાં ચેપ લાગવાની શક્યતા છે, ત્યારે માસ્ક પહેરવું સલાહભર્યુ છે.”
ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, “જે લોકો બીમાર હોય , શરદી-ખાંસી હોય તેમણે ખાસ માસ્ક પહેરવું જોઈએ. તેમજ તમારી આસપાસ કોઈ બીમાર હોય તો પણ તમારે તકેદારીના ભાગરૂપે માસ્ક પહેરવું જોઈએ.”
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલી પ્રેસનોટમાં નીચે મુજબની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વનિરીક્ષણ કરવું.તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો થવા જેવા કોઈ પણ લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
ખાંસી, છીંક આવે તો નાક અને મોંઢાને ઢાંકવું, જાહેર સ્થળોએ થૂંકવું નહીં, અવારનવાર હાથ ધોવા તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવો.
અન્ય માંદગીવાળા લોકોએ કે રોગપ્રતિકારક શક્તિની ઊણપ ધરાવતા લોકોએ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો
ડૉ. તુષાર પટેલે તકેદારીનાં પગલાં અંગે કહ્યું હતું કે, “જે લોકો બીમાર હોય તેમણે બહાર ન જવું જોઈએ. તેમણે આરામ કરવો જોઈએ. બીમાર દર્દીઓએ માસ્ક પહેરીને રાખવું જોઈએ. હાઇડ્રેટ રહેવું જોઈએ.”

ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે “હાલ ફેલાઈ રહેલો કોરોના વાઇરસનો વૅરિયન્ટ ગંભીર નથી. તેના મોટા ભાગના દર્દી હોમ આઇસોલેશનમાં સાજા થઈ જાય છે.પરંતું એનો મતલબ એ નથી કે તમે તેની વધુ ફિકર ન કરો. ગભરાવાની જરૂર નથી. પરંતુ સતર્ક રહેવાની જરૂર છે.”
ડૉ. તુષાર પટેલે જણાવ્યું કે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે, હાઇ ગ્રેડ ફીવર રહે અને દવા લેવાથી પણ તાવ ન ઊતરે, બે દિવસ દવા લેવા છતાં શરદી કે ખાંસીમાં જરાય ફરક ન પડતો હોય તો તેવા કિસ્સામાં ડૉક્ટરની સલાહ મુજબ હૉસ્પિટલમાં દાખલ થઈ શકાય.
આ સિવાય ડૉ. જોશીએ કહ્યું કે જે લોકો અગાઉથી જ બ્લડ પ્રેશર, સુગર, કૅન્સર કે કીડનીની તકલીફ જેવી બીમારીઓથી પીડાતા હોય તેમણે ડૉક્ટરની સલાહ પ્રમાણે દાખલ થવું જોઈએ.
ડૉ. તુષાર પટેલના મતે વૃદ્ધો, કૅન્સર, કીડની કે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દી માટે આ વાઇરસ વધુ અસર કરી શકે છે. આવા કિસ્સામં ક્યારેક મૃત્યુ પણ થઈ શકે છે.
ડૉ. જોશીએ પ્રમાણે ઉપરોક્ત સિવાય ગર્ભવતી મહિલાઓ, બાળકો અને ઓછી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોને આ વાઇરસ વધુ અસર કરી શકે છે.
ડૉ.અમી પરીખે કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ માટે કોણે કોણે ટેસ્ટ કરાવવો જોઈએ એ અંગે ખુલાસો કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “જો તમને બે દિવસ કરતાં વધુ શરદી-ખાંસી રહી હોય અને દવાથી તેમાં ફરક ન પડ્યો હોય તો ત્રીજા દિવસે કોવિડનો ટેસ્ટ કરાવી શકાય.જો તમે પહેલાં જ દિવસે જ કોવિડ ટેસ્ટ કરાવશો તો રિઝલ્ટ સાચું ન પણ મળે.જેથી બીમારીના બે દિવસ બાદ જ ટેસ્ટ કરાવવો જોઈએ.”

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે 26 મેના રોજ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “વૅરિયન્ટ JN.1 એ ઑમિક્રોનનું જ એક સ્વરૂપ છે. તેમાં કોઈ ભયજનક સંકેત નથી. મોટા ભાગના દર્દીઓ હોમ આઇસોલેશન દ્વારા સારવાર મેળવી રહ્યા છે.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “રાજ્યનો આરોગ્ય વિભાગ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે.”
ડૉ રાકેશ જોશીએ કહ્યું કે, “તાજેતરમાં જ સરકારે કોવિડ-19 માટે મોક ડ્રિલ કરી હતી. આ મોક ડ્રિલ મુખ્યત્વે ઓક્સિજનના સપ્લાય માટે હતી. સિવિલ હૉસ્પિટલમાં 30 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર જ છે. તેમજ જરૂર પડે તો તાત્કાલિક બેડ વધારી શકાય તેવી પણ ક્ષમતા છે.”
ડૉ. અમીએ જણાવ્યું કે, “સરકારની એડ્વાઇઝરી મુજબ અમે અત્યારે ટેસ્ટિંગમાં વધારો કર્યો છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS