Home તાજા સમાચાર gujrati ઑપરેશન બ્લૂ સ્ટાર : દુર્ગંધથી ખદબદતા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર સફાઈકર્મીએ શું...

ઑપરેશન બ્લૂ સ્ટાર : દુર્ગંધથી ખદબદતા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર સફાઈકર્મીએ શું જોયું હતું?

3
0

Source : BBC NEWS

ઑપરેશન બ્લૂ સ્ટાર, ભારતમાં શીખો, ભારત, બીબીસી ગુજરાતી, પંજાબ, અમતૃસર, ઇન્દિરા ગાંધીની હત્યા, મેજર જનરલ કુલદીપ બ્રાર, લેફ્ટનન્ટ જનરલ સુંદરજિત

ઇમેજ સ્રોત, BBC/Getty Images

  • લેેખક, હરમનદીપસિંહ
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 6 જૂન 2025, 14:59 IST

    અપડેટેડ 6 કલાક પહેલા

(નોંધઃ આ અહેવાલનું કેટલુંક વર્ણન કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે)

‘દરબાર સાહિબ તો દૂરની વાત રહી. એ દિવસો પછી હું દરબાર સાહિબની નજીકના વિસ્તારમાં પણ ક્યારેય ગયો નથી. એ ભયાનક દૃશ્ય અને સડતા માનવ મૃતદેહોની દુર્ગંધ મને આજે પણ પરેશાન કરે છે.’

અમૃતસર ખાતેનું શ્રી હરમંદિર સાહિબ શીખોનું સર્વોચ્ચ આધ્યાત્મિક સ્થાન છે. તે સુવર્ણમંદિર અને દરબાર સાહિબના નામે પણ ઓળખાય છે.

કોઈ વ્યક્તિ અમૃતસરમાં રહેતી હોય છતાં 41 વર્ષ પછી પણ શ્રી હરમંદિર સાહિબ પરિસરમાં જવાની હિંમત ન કરી શકી હોય તો તેનાથી અંદાજ મેળવી શકાય કે ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ની પરિસ્થિતિએ એ વ્યક્તિના દિલોદિમાગ પર કેટલી ઊંડી અસર કરી હશે.

હું 73 વર્ષના કેવલકુમારની વાત કરી રહ્યો છું. તેઓ અમૃતસર નગરપાલિકાના ભૂતપૂર્વ સફાઈ કર્મચારી છે.

કેવલકુમાર એ વ્યક્તિ છે, જેમના પર ઑપરેશન બ્લૂ સ્ટાર પછી હરમંદિર સાહિબ પરિસરની અંદર તથા આસપાસ પડેલા મૃતદેહોના નિકાલની જવાબદારી હતી.

જૂન, 1984ના પહેલા સપ્તાહમાં દરબાર સાહિબ પરિસરમાં ભારતીય સૈન્યે કરેલી કાર્યવાહીને ઑપરેશન બ્લૂ સ્ટાર નામે ઓળખવામાં આવે છે.

ભારત સરકારના દાવા અનુસાર, જરનૈલસિંહ ભિંડરાવાલે અને તેમના હથિયારધારી સાથીઓને દરબાર સાહિબ પરિસરમાંથી બહાર કાઢવા માટે એ કામગીરી હાથ ધરાઈ હતી.

જરનૈલસિંહ ભિંડરાવાલે એ સમયે શીખ ધર્મના પ્રચારક સંગઠન દમદમી ટકસાલના પ્રમુખ હતા.

સરકારનો દાવો છે કે ભિંડરાવાલેએ પરિસર પર સશસ્ત્ર કબજો કર્યો હતો અને તેઓ ખાલિસ્તાન નામના અલગ દેશની જાહેરાત કરવાના હતા.

જોકે, અનેક શીખ રાજકીય નિષ્ણાતો માને છે કે તે હુમલો ઇન્દિરા ગાંધી સરકારની ધ્રુવીકરણની રાજનીતિનું પરિણામ હતો.

સરકારી શ્વેતપત્રમાં જણાવ્યા મુજબ, ઑપરેશન બ્લૂ સ્ટારમાં 493 નાગરિકો અને 83 સૈનિકો માર્યા ગયા હતા. સેન્ટ્રલ શીખ મ્યુઝિયમમાંની હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદીમાં 743 નામ સામેલ છે.

પંજાબ પોલીસના તત્કાલીન અધિકારી અપારસિંહ બાજવાએ 2004માં બીબીસીને જણાવ્યું હતું કે તેમણે પોતે 800 મૃતદેહોની ગણતરી કરી હતી, જ્યારે માનવાધિકાર કાર્યકર્તા ઈન્દ્રજિતસિંહ જેજે અને અન્ય અનેક પ્રસિદ્ધ પત્રકારો તથા વિદ્વાનોએ મૃતકોની સંખ્યા 4,000થી 5,000 હોવાનું જણાવ્યું છે.

ઑપરેશન બ્લૂ સ્ટાર વેળાની પરિસ્થિતિ કેવી હતી?

ઑપરેશન બ્લૂ સ્ટાર, ભારતમાં શીખો, ભારત, બીબીસી ગુજરાતી, પંજાબ, અમતૃસર, ઇન્દિરા ગાંધીની હત્યા, મેજર જનરલ કુલદીપ બ્રાર, લેફ્ટનન્ટ જનરલ સુંદરજિત

કેવલકુમારનું કહેવું છે કે બ્લૂ સ્ટાર ઑપરેશન થયું ત્યારે તેઓ 32 વર્ષના હતા.

અમૃતસર નગરપાલિકામાં સબ-ઇન્સ્પેક્ટરના પદેથી નિવૃત્ત થયેલા કેવલકુમારને અમે તેમની જૂની ઑફિસમાં મળ્યા હતા.

તેમણે તેમની આપવીતી અમારી સાથે શૅર કરી ત્યારે તેમના ચહેરા પર પીડા સ્પષ્ટ રીતે દેખાતી હતી. જાણે કે તેઓ એ પરિસ્થિતિ વિશે વાત કરતાં હજુ પણ ખચકાઈ રહ્યા હતા.

કેવલકુમાર કહે છે, “ક્યાં ચાર મૃતદેહ પડ્યા હતા, ક્યાંક છ તો ક્યાંક આઠ. હવામાન બહુ ગરમ હતી. મૃતદેહો સડી રહ્યા હતા. હાલત બહુ ખરાબ હતી. મૃતદેહો ફૂલી ગયા હતા.”

“અમે મૃતદેહના હાથ કે પગ પકડતા હતા ત્યારે તેની ચામડી અમારા હાથમાં રહી જતી હતી અને ચારે તરફ દુર્ગંધ ફેલાઈ જતી હતી.”

સફાઈ કર્મચારીઓની જરૂર ક્યારે અને શા માટે પડી?

પોલીસે સડતા મૃતદેહો ઉઠાવવાનું બંધ કરી દીધું હતું. એવી મુશ્કેલ પરિસ્થિતિમાં સૈન્ય તથા વહીવટીતંત્રે મૃતદેહોના નિકાલ માટે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને કામે લગાડ્યા હતા.

કેવલકુમારના જણાવ્યા મુજબ, 1984ની છઠ્ઠી જૂનની સવારે સૈન્ય તથા નગરપાલિકાના અધિકારીઓ આ કામ માટે તેમને લેવા તેમના ઘરે આવ્યા હતા.

તેઓ કહે છે, “હું મારા ઘરની બહાર આંગણામાં ઊંઘતો હતો. સૈન્યના અધિકારીઓએ મને સવારે પાંચ કે સાડા પાંચ વાગ્યે જગાડ્યો હતો. ડૉ. રાજપાલ ભાટિયાને પણ જગાડ્યા હતા. મારો પાસ ત્યાં જ બનાવવામાં આવ્યો હતો, કારણ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. કોઈને આવવા-જવાની છૂટ ન હતી. પછી અમે મૃતદેહોને લઈ જવા માટે કચરો ભરેલી ત્રણ-ચાર ટ્રૉલી મંગાવી હતી.”

“બપોર સુધીમાં અમે મૃતદેહોને ઉઠાવવાનું કામ શરૂ કરી દીધું હતું.”

ઑપરેશન બ્લૂ સ્ટાર, ભારતમાં શીખો, ભારત, બીબીસી ગુજરાતી, પંજાબ, અમતૃસર, ઇન્દિરા ગાંધીની હત્યા, મેજર જનરલ કુલદીપ બ્રાર, લેફ્ટનન્ટ જનરલ સુંદરજિત

અમૃતસરના તત્કાલીન ડેપ્યુટી કમિશનર રમેશ ઇંદરસિંહ પણ એ વાતની પુષ્ટિ કરે છે કે ડૉ. રાજપાલ ભાટિયા એ વખતે નગરપાલિકાના આરોગ્ય અધિકારી તરીકે કાર્યરત્ હતા. તેમની દેખરેખમાં જ નગરપાલિકાના કર્મચારીઓને લાશો ઉઠાવવા માટે બોલાવવામાં આવ્યા હતા.

રમેશ ઇંદરસિંહે ઑપરેશન બ્લૂ સ્ટાર વિશે એક પુસ્તક લખ્યું છે. તેનું શીર્ષક છેઃ “ટરમોઇલ ઇન પંજાબ-બિફોર ઍન્ડ આફટર બ્લૂ સ્ટાર, અન ઇનસાઇડર્સ સ્ટોરી “.

જેમાં કેવલકુમારે આપેલી માહિતી જેવી અન્ય અનેક વિગત સામેલ છે.

રમેશ ઇંદરસિંહે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ત્રીજી જૂને કર્ફ્યૂ લાદવામાં આવ્યો એ પછી શ્રી હરમંદિર સાહિબ પરિસરમાં લોકો મોતને ભેટવા લાગ્યા હતા.

તેઓ કહે છે, “છઠ્ઠી જૂને ઑપરેશન પૂર્ણ થયું ત્યાં સુધીમાં મૃતદેહો સડવા લાગ્યા હતા. એ વખતે પંજાબ સરકારે મૃતદેહો હઠાવવાની જવાબદારી નગરપાલિકાના કર્મચારીઓને સોંપી હતી. નગરપાલિકાના તત્કાલીન કમિશનર ગુલવંતસિંહની દેખરેખ હેઠળ મૃતદેહોને હઠાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.”

મૃતદેહો ઉઠાવનાર લોકોએ શું જોયું હતું?

ઑપરેશન બ્લૂ સ્ટાર, ભારતમાં શીખો, ભારત, બીબીસી ગુજરાતી, પંજાબ, અમતૃસર, ઇન્દિરા ગાંધીની હત્યા, મેજર જનરલ કુલદીપ બ્રાર, લેફ્ટનન્ટ જનરલ સુંદરજિત

મૃતદેહોને ઉઠાવનારા લોકોના કહેવા મુજબ, એ દૃશ્ય જોઈને તેઓ દિગ્મૂઢ થઈ ગયા હતા.

મૃત્યુ પામેલા લોકો નિકટ હોવાનો ભ્રમ તેમને વારંવાર થતો હતો. ક્યારેક તો અવાજ પણ સંભળાતા હતા અને કશું ખાવા-પીવાની ઇચ્છા થતી ન હતી.

કેવલકુમાર કહે છે, “હું રાતે ઊંઘી શકતો ન હતો. ચાર-પાંચ દિવસ સુધી એવું લાગ્યું હતું કે કોઈ મૃતક મારી બાજુમાં ઊભો કે બેઠો છે. કોઈ પૂછે છે કે મારાં બાળકો ક્યાં છે?”

તેમણે આ કામ કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેમને દારૂ પીવડાવવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનોમાંથી દારૂ મંગાવીને આપવામાં આવ્યો હતો અને નશામાં ચકચૂર કરીને મૃતદેહોનો નિકાલ કરાવવામાં આવ્યો હતો.

કેવલકુમાર કહે છે, “સામાન્ય સંજોગોમાં પણ કોઈ એવું કામ કરી શકે નહીં. કોઈ ત્યાં જવા તૈયાર જ ન હતું. અમે સફાઈ કર્મચારી હતા. અમે આદેશોની અવહેલના કેવી રીતે કરી શકીએ?”

એક અન્ય સફાઈ કર્મચારીએ પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે તેઓ સુવર્ણમંદિર નજીકના અખાડાઓમાં કુસ્તી શીખવા જતા હતા.

સૈન્યે તેમને મૃતદેહો ઉઠાવવાનું કામ કરવાની ફરજ પાડી હતી, પરંતુ તક મળતાંની સાથે જ તેઓ ભાગીને છુપાઈ ગયા હતા.

એ સમયે તેઓ બેરોજગાર હતા અને મૃતદેહો ઉઠાવવાના બદલામાં નગરપાલિકામાં કાયમી નોકરીની ઑફર તેમને કરાઈ હતી, પરંતુ તેમને ભાગી જવાનો વિકલ્પ વધુ સારો લાગ્યો હતો.

અમે આવા અનેક સફાઈ કર્મચારીઓ સાથે વાત કરી હતી, પરંતુ તેમણે આ મામલે કૅમેરા સામે કશું કહેવાનો ઇનકાર કર્યો હતો.

એ પૈકીના અનેકે અમને ઑફ ધ રેકૉર્ડ કહ્યું હતું, “અમને ફસાવવામાં આવ્યા હતા, છતાં અમારા પર મૃતદેહોને લૂંટવાના અને દારૂ પીને દરબાર સાહિબમાં ઘૂસવાના આરોપ મૂકવામાં આવ્યા હતા.”

આ જ કારણસર એ લોકો આજે પણ આ મુદ્દે વાત કરતા ખચકાય છે.

અંદર અને બહાર પણ મૃતદેહો પડ્યા હતા

કેવલકુમારના જણાવ્યા મુજબ, હરમંદિર સાહિબ પરિસરની અંદર અને બહારની બજારોમાં પણ મૃતદેહો પડ્યા હતા. દરબાર સાહિબમાં તો સંખ્યાબંધ મૃતદેહો પડ્યા હતા. અંદરના પરિક્રમા વિસ્તારમાં પણ મૃતદેહો પડ્યા હતા.

કેવલકુમાર કહે છે, “દરબાર સાહિબના લંગર હૉલમાં મૃતદેહો પડ્યા હતા. ઘઉં લોહીથી લથબથ હતા. સરોવરમાંથી પણ મૃતદેહો મળ્યા હતા, પરંતુ સૈનિકોએ જાતે જ કોઈ રીતે એ મૃતદેહો બહાર કાઢ્યા હતા, કારણ કે અંદરના મૃતદેહોને નહીં કાઢવાનું અમને કહેવામાં આવ્યું હતું. અમારા પૈકીના એકેય સફાઈ કર્મચારીને તરતા આવડતું ન હતું.”

કેવલકુમારના કહેવા મુજબ, “તેમણે માઈ સેવા બજાર, કથિયન અલે બજાર, આટા મંડી અને ઘંટાઘર ચોકમાંથી પણ મૃતદેહો ઉઠાવ્યા હતા. એ પૈકીના ઘણા સામાન્ય શ્રદ્ધાળુઓના લાગતા હતા.”

કેવલકુમારના જણાવ્યા મુજબ, તેમની પાસે માનવ મૃતદેહોને જાનવરોની માફક કચરાની ટ્રકોમાં લઈ જવા સિવાયનો કોઈ વિકલ્પ ન હતો. માનવ મૃતદેહોને સલામત રાખવા તેમને કોઈ કપડું આપવામાં આવ્યું ન હતું.

“અમને માત્ર બે મીટર કપડું મળતું હતું, જેથી તેને અમારા મોં પર બાંધીને અમે દુર્ગંધમાં કામ કરી શકીએ.”

મૃતદેહોને કેવી રીતે લઈ જવાયા હતા?

ઑપરેશન બ્લૂ સ્ટાર, ભારતમાં શીખો, ભારત, બીબીસી ગુજરાતી, પંજાબ, અમતૃસર, ઇન્દિરા ગાંધીની હત્યા, મેજર જનરલ કુલદીપ બ્રાર, લેફ્ટનન્ટ જનરલ સુંદરજિત

કેવલકુમારના જણાવ્યા અનુસાર, તેમણે સૈન્યની નજર હેઠળ મૃતદેહો ઉઠાવ્યા હતા. સૈન્યના બે-ચાર જવાનો સતત તેમની સાથે રહેતા હતા.

સમગ્ર શહેરને સેક્ટર્સમાં વિભાજિત કરવામાં આવ્યું હતું અને સફાઈ કર્મચારીઓને વિસ્તારો ફાળવાયા હતા. સૈનિકો તેમને મૃતદેહો પાસે લઈ જતા અને તેઓ મૃતદેહોને ઉઠાવીને ટ્રૉલીઓમાં ભરી દેતા હતા.

કેવલ જણાવે છે કે મૃતદેહો એકઠા કરવામાં ત્રણ-ચાર દિવસ થયા હતા. એક ટ્રૉલીમાં લગભગ 10 મૃતદેહો લાદવામાં આવતા હતા. એ મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે સરકારી મેડિકલ કૉલેજમાં મોકલાતા હતા.

કેવલ કહે છે, “મૃતદેહોમાંથી એટલી દુર્ગંધ આવતી હતી કે ફ્લોરને પાણીથી ધોવા છતાં દુર્ગંધ જતી ન હતી. અમારા શરીરમાંથી પણ દુર્ગંધ આવવા લાગી હતી.”

કેવલના જણાવ્યા મુજબ, આ મૃતદેહો બાળકો, મહિલાઓ અને વૃદ્ધોના હતા.

રમેશ ઇંદરસિંહના જણાવ્યા મુજબ, મૃત્યુ પામેલાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની સાચી સંખ્યાનો તાગ મેળવી શકાયો ન હતો, કારણ કે સફાઈ કર્મચારીઓ અનેક મૃતદેહોને સ્મશાનઘાટ લઈ ગયા હતા.

તેમણે તેમના પુસ્તકમાં લખ્યું છે કે સાતમીથી 18 જૂન સુધીમાં માત્ર 536 મૃતદેહોનું પોસ્ટમૉર્ટમ જ કરવામાં આવ્યું હતું. તેમાં 495 પુરુષો, 33 મહિલાઓ અને આઠ બાળકો હતાં.

મૃતકો વચ્ચે મળી આવી જીવિત વ્યક્તિ

મૃતદેહોને ઉઠાવવાની કામગીરી પહેલાં ઘાયલ લોકોને હૉસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા. મૃતકો પૈકીના ઘણા જીવંત અવસ્થામાં હતા, જ્યારે કેટલાક બહુ ખરાબ રીતે ઘાયલ હતા.

કેવલકુમારનું કહેવું છે કે તેઓ મૃતદેહો ઉઠાવી રહ્યા હતા ત્યારે થારા સાહિબ પાસે તેમને એક-બે વ્યક્તિ ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. એ પહેલી નજરે તો મૃતદેહ જેવી જ લાગતી હતી.

કેવલકુમાર કહે છે, “માઈ સેવાથી ઠાડ સાહિબ સુધીના રસ્તામાં પાંચ-છ મૃત લોકો પડ્યા હતા, પરંતુ એ પૈકીના એક-બે જીવંત હતા. સૈન્યના લોકો તેમને તેમની સાથે લઈ ગયા હતા.”

રમેશ ઇંદરસિંહના જણાવ્યા મુજબ, એ વખતે એક ઘાયલ વ્યક્તિ મૃતદેહો સાથે અમૃતસર મેડિકલ કૉલેજના શબઘરમાં પહોંચી હતી. એ મૃત હોય એવું લાગતું હતું. “પરંતુ ડૉક્ટરોએ પોસ્ટમૉર્ટમ કરવા માટે ઉપકરણ તેના શરીરમાં ભોંક્યા ત્યારે તેણે ચીસ પાડી હતી. ડૉક્ટરોને ખબર પડી હતી કે તે જીવિત છે. પછી તે વ્યક્તિની સારવાર કરાઈ હતી અને તેને ઘરે મોકલાઈ હતી.”

રમેશ ઇંદરસિંહનું કહેવું છે કે પોસ્ટમૉર્ટમ માટે શબઘરમાં આવેલા આઠ મૃતદેહના હાથ બંધાયેલા હતા.

“મેં અમૃતસરના મેડિકલ ઑફિસર ડૉ. દલબીરને પત્ર લખીને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આઠ મૃતદેહના હાથ પાછળથી બાંધવામાં આવ્યા હતા.”

ઑપરેશન બ્લૂ સ્ટાર દરમિયાન કેટલાં મૃત્યુ થયાં હતાં?

ઑપરેશન બ્લૂ સ્ટાર, ભારતમાં શીખો, ભારત, બીબીસી ગુજરાતી, પંજાબ, અમતૃસર, ઇન્દિરા ગાંધીની હત્યા, મેજર જનરલ કુલદીપ બ્રાર, લેફ્ટનન્ટ જનરલ સુંદરજિત

ઇમેજ સ્રોત, Getty Images

ઑપરેશન બ્લૂ સ્ટારના 41 વર્ષ પછી આજે પણ તેમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા બાબતે મતભેદ છે. મૃત્યુ બાબતે અલગ-અલગ સમયે અલગ-અલગ આંકડા સામે આવતા રહે છે.

ઑપરેશન બ્લૂ સ્ટાર વિશે ભારત સરકારે બહાર પાડેલા શ્વેતપત્રમાં મૃતકોની સંખ્યા 493 હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. તેમાં આતંકવાદીઓ અને નિર્દોષ નાગરિકો બન્નેનો સમાવેશ થાય છે.

પંજાબના તત્કાલીન રાજ્યપાલ બીડી પાંડેએ તેમના પુસ્તક ‘ઇન ધ સર્વિસ ઑફ ફ્રી ઇન્ડિયા’માં મૃત્યુઆંક 1,200 હોવાનું જણાવ્યું છે.

રમેશ ઇંદરસિહે તેમના પુસ્તકમાં મૃત્યુઆંક 783 હોવાનું જણાવ્યું છે. તેમાં 26 નિર્દોષ નાગરિકોનો સમાવેશ થાય છે.

રમેશ ઇંદરસિંહના જણાવ્યા મુજબ, ચટ્ટીવિંડ શહીદાં સ્મશાનમાં 763 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા હતા, જ્યારે શિવપુરી સ્મશાનમાં 20 મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા હતા.

એ પૈકીના 717 મોત સુવર્ણમંદિર પરિસરમાં અને બાકીનાં પરિસરની બહાર થયાનું તેમણે જણાવ્યું છે.

ઘાયલોની સંખ્યા 178 હોવાનું તેમણે જણાવ્યું છે, જેમાં 102 સામાન્ય શ્રદ્ધાળુનો સમાવેશ થાય છે.

ઑપરેશન બ્લૂ સ્ટારમાં માર્યા ગયેલા લોકોને એસજીપીસીએ નાણાકીય સહાય આપી હતી. એવી સહાય પ્રાપ્ત કરનારા 741 લાભાર્થીઓની યાદી પણ એસજીપીસીએ બહાર પાડી હતી.

બીબીસી સાથે વાત કરતાં કેવલકુમારે દાવો કર્યો હતો કે નગરપાલિકાના કર્મચારીઓએ લગભગ 1,000 મૃતદેહો ઉઠાવ્યા હતા.

કેવલકુમાર કહે છે, “મૃતદેહોની કુલ સંખ્યા 1,000થી 10-20 વધારે કે 10-20 ઓછી હશે. મૃતદેહો વિખેરાયેલા પડ્યા હતા ત્યારે તેની સંખ્યા 2,000ની આસપાસ લાગતી હતી, પરંતુ ગણતરી કરાઈ ત્યારે આંકડો 1,000ની આસપાસનો હતો.”

મૃતદેહોના નિકાલની રીત સામે સવાલો

ઑપરેશન બ્લૂ સ્ટાર, ભારતમાં શીખો, ભારત, બીબીસી ગુજરાતી, પંજાબ, અમતૃસર, ઇન્દિરા ગાંધીની હત્યા, મેજર જનરલ કુલદીપ બ્રાર, લેફ્ટનન્ટ જનરલ સુંદરજિત

રમેશ ઇંદરસિંહે તેમના પુસ્તકમાં લખ્યું છે કે મૃતદેહના અંતિમ સંસ્કારનું કામ કાયમ ટીકાનું કારણ બનતું હોય છે.

તેમણે લખ્યું છે કે મૃતકોને લઈ જવા માટે સફાઈ કર્મચારીઓ અને નગરપાલિકાના ટ્રકોનો ઉપયોગ કરવા બદલ વહીવટીતંત્રની ટીકા કરાઈ હતી.

મૃતકોને કચરાની ટ્રકોમાં જે રીતે લઈ જવાતા હતા અને તેના સામૂહિક અંતિમ સંસ્કાર કરાતા તે ઘટનાને કેટલાક ઇતિહાસકારોએ હૃદયવિદારક ગણાવી છે.

“તે એક ભયાનક દૃશ્ય હતું. દરેક જગ્યાએ મોત અને વિનાશ હતાં. અકાલ તખ્ત સાહિબની ઇમારત લગભગ તૂટી પડી હતી.”

તેમના કહેવા મુજબ, ત્યાં કાટમાળ હતો. અન્ય ઇમારતો પર પણ ગોળીબાર થયો હતો. ત્યાં કાટમાળ હતો, મૃતદેહો હતા, સૈનિકોના મૃતદેહો હતા, નાગરિકોના હતા.

શિરોમણિ સમિતિના સચિવ પ્રતાપસિંહે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઑપરેશન બ્લૂ સ્ટાર પછી મૃતદેહોનો અનાદર કરાયો હતો.

તેમણે કહ્યું હતું, “ઑપરેશન બ્લૂ સ્ટારમાં જીવ ગુમાવનારા લોકોના મૃતદેહનો અનાદર કરાયો હતો. તેઓ પણ પરિવારના સભ્યો હતા. તેમના અંતિમ સંસ્કાર સન્માન સાથે કરાયા ન હતા. તેમના અંતિમ સંસ્કાર તેમના પરિવારના સભ્યોની સામે કરવા જોઈતા હતા.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS