Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલનો દાવો છે કે ચીનની એક મહિલાને અમેરિકામાં ખતરનાક ફૂગની તસ્કરીના આરોપમાં પકડવામાં આવ્યાં છે.
સોશિયલ મીડિયા વેબસાઇટ ઍક્સ પર એક પોસ્ટમાં કાશ પટેલે જણાવ્યું કે ચીનનાં નાગરિક મહિલાનું નામ યુનકિંગ જિયાન છે. તેમણે કહ્યું કે “યુનકિંગ મિશિગન યુનિવર્સિટીમાં કામ કરે છે. તેઓ અહીં રિસર્ચ માટે ખતરનાક ફૂગ ‘ફ્યૂજેરિયમ ગ્રેમિનીઅરમ’ને તસ્કરી કરીને લાવ્યાં છે.”
અમેરિકાના ન્યાય મંત્રાલય તરફથી જારી નિવેદનમાં જણાવાયું છે કે ફૂગ સંભવિત રીતે ‘ઍગ્રોટેટરિઝમનું હથિયાર’ છે. આ ફૂગથી ‘હેડ બ્લાઇટ’ નામની બીમારી થાય છે. આ ફૂગ ઘઉં, જવ, મકાઈ અને ચોખામાં જોવા મળે છે.
નિવેદનમાં જણાવાયું છે કે આ ફૂગથી દર વર્ષે દુનિયાભરમાં અબજો ડૉલરનું નુકસાન જઈ શકે છે.
કાશ પટેલ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
એફબીઆઈના ડાયરેક્ટરે કહ્યું કે જિયાનનાં બૉયફ્રેન્ડ જુનયોંગ લિયુ પર પણ આ મામલે આરોપ ઘડાયા છે.
તેમણે કહ્યું કે લિયુ પહેલાં ખોટું બોલ્યાં, પરંતુ ત્યાર પછી સ્વીકારવામાં આવ્યું કે ફ્યુજેરિયમ ગ્રેમિનીઅરમની તસ્કરી કરીને ડેટ્રૉઈટ મેટ્રોપૉલિટન ઍરપૉર્ટના રસ્તે અમેરિકા લાવ્યા હતા જેથી કરીને યુનિવર્સિટી ઑફ મિશિગનમાં રિસર્ચ કરી શકાય.
ત્યાર પછી બંને ચીની નાગરિકો પર ષડયંત્ર કરવાના, અમેરિકામાં તસ્કરી, ખોટું નિવેદન આપવાના અને વિઝા ફ્રૉડને લગતા આરોપ નોંધાયા છે.
અમેરિકન ન્યાય મંત્રાલય મુજબ બંને આરોપીઓ સામે જે ફરિયાદ મળી છે, તેમાં જણાવાયું છે કે જિયાનને ચીનમાં પોતાના પેથોજેન પર કામ કરવા માટે ચીન સરકાર તરફથી ફંડિંગ મળ્યું હતું.
ઍગ્રોટેરરિઝમ શું હોય છે?

ઇમેજ સ્રોત, Reuters
કાશ પટેલે પોતાની ઍક્સ પોસ્ટમાં ફ્યુજેરિયમ ગ્રેમિનીઅરમને ઍગ્રોટેરરિઝમ એજન્ટ અથવા કૃષિ આતંકવાદનું હથિયાર ગણાવ્યું છે.
ઍગ્રોટેરરિઝમ કૃષિ સાથે સંકળાયેલા અપરાધ એટલે કે ઍગ્રોક્રાઇમનો હિસ્સો છે. જોકે, બંનેમાં ઘણો તફાવત છે.
તેને કોઈ દેશના અર્થતંત્ર અથવા ખાદ્યાન્ન પુરવઠાને રોકવાના ઇરાદાથી તેના પાક અથવા પશુધન પર હુમલા તરીકે પણ સમજી શકાય.
તે મુજબ, કૃષિને નષ્ટ કરવાના ઇરાદાથી બાયૉલૉજિકલ એજન્ટ્સનો જાણી જોઈને ઉપયોગ કરવાને જ ઍગ્રોટેરરિઝમ કહેવાય છે. તેનો ઉપયોગ કોઈ કૃષિ આધારિત અર્થતંત્રના સામાજિક-આર્થિક માળખાને ગંભીર રીતે અસ્થિર કરવા માટે થઈ શકે છે. ખાસ કરીને ખાદ્યપાક, કૃષિ આધારિત ઉદ્યોગોને નિશાન બનાવીને.
આ પ્રકારના હુમલા છુપા હોય છે, પરંતુ એ દેશો માટે અત્યંત વિનાશક હોઈ શકે છે, જેનું અર્થતંત્ર પ્રત્યક્ષ રીતે કૃષિ ક્ષેત્ર પર નિર્ભર હોય છે.
આ પ્રકારના હુમલામાં હાનિકારક બૅક્ટેરિયા અથવા વાઇરસ દ્વારા કૃષિ ક્ષેત્ર પર હુમલો કરવામાં આવે છે. જેના પરિણામે કૃષિ ઉત્પાદન અસ્તવ્યસ્ત થઈ જાય છે અને પર્યાવરણને પણ ક્ષતિ પહોંચે છે.
ઍગ્રોટેરરિઝમનો ઇતિહાસ શું છે?

ઇમેજ સ્રોત, Reuters
બાયૉલૉજિકલ હથિયારો દ્વારા લડવું એ નવી વાત નથી.
અલ્જિરિયાની યુનિવર્સિટી ઑફ મૉસ્ટેજનમમાં કૃષિ અપરાધોનો અભ્યાસ કરવામાં આવ્યો. તે મુજબ ‘બાયૉલૉજિકલ ટેરરિઝમ’ શબ્દનો ઉપયોગ 19મી સદીમાં પશ્ચિમી દેશોમાં શરૂ થયો હતો.
આ અભ્યાસમાં જણાવાયું હતું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના કોલોરાડો પોટેટો બીટલ (કીટક) દ્વારા બ્રિટનમાં બટાટાના પાકને બરબાદ કરવાની યોજના ઘડવામાં આવી હતી. કેટલાક જાણકારો મુજબ ઇંગ્લૅન્ડમાં આ કીટકોની હાજરીથી એવા સંકેત મળ્યા કે કદાચ 1943માં નાના પાયે હુમલો કરવામાં આવ્યો હતો.
કૃષિ સંબંધિત મામલાના જાણકાર દેવેન્દ્ર શર્માનું કહેવું છે કે અત્યાર સુધી વિશ્વમાં જે મામલા આવ્યા તેમાં જાનવરો પર આવા હુમલા વધુ જોવા મળ્યા છે. તેઓ કહે છે, “આવા હુમલા પછી જાનવરોની ઉત્પાદન ક્ષમતા એકદમ શૂન્ય થઈ જાય છે.”
કેટલું મોટું નુકસાન થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
કાશ પટેલ અને અમેરિકન ન્યાય મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે જે ફૂગની તસ્કરીના આરોપમાં ચીનના નાગરિકની ધરપકડ કરવામાં આવી છે, તે માત્ર પ્રાણીઓ જ નહીં પરંતુ માનવીમાં પણ આરોગ્યની ગંભીર સમસ્યા પેદા કરી શકે છે.
સાથે સાથે તે દુનિયાભરમાં અબજો ડૉલરના આર્થિક નુકસાનનું કારણ પણ છે.
કૃષિ સંબંધિત મામલાના જાણકાર દેવેન્દ્ર શર્માનું કહેવું છે કે આ હુમલો જોવામાં સામાન્ય સ્તરનો હોય, પરંતુ તેની અસર બહુ મોટી છે.
તેઓ કહે છે, “આ ફૂડ સિક્યૉરિટી પર હુમલો કરવાની આસાન પદ્ધતિ છે જે ઉત્પાદન ક્ષમતા પર ઘણી ખરાબ અસર કરી શકે છે.”
ભારત પર કેટલું જોખમ?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત એક કૃષિપ્રધાન દેશ છે જ્યાં મોટી વસતી તેના પર આધારિત છે. ઘઉં, ચોખા, ડ્રાયફ્રૂટ્સ, દાળ, શેરડી સહિત અનેક કૃષિ ઉત્પાદનોમાં ભારત આગળ છે જેની વિદેશમાં પણ નિકાસ થાય છે.
સરકારી આંકડા પ્રમાણે ભારતમાં કૃષિ ક્ષેત્ર લગભગ 42.3 ટકા લોકોને આજીવિકા આપે છે અને દેશના જીડીપીમાં લગભગ 20 ટકા હિસ્સો ધરાવે છે.
આવામાં ભારતમાં ફૂગ, વાઇરસ અથવા બૅક્ટેરિયાનો હુમલો થાય તો કૃષિપાક અને પશુઓ માટે ખતરનાક સાબિત થઈ શકે.
દેવેન્દ્ર શર્મા કહે છે, “ભારતમાં હાલમાં 173 એલિયન ઇનવેઝિવ સ્પિસિઝ છે. આ એવી પ્રજાતિ છે જે કેટલાક દેશમાં પુષ્કળ જોવા મળે છે, પરંતુ આપણા દેશમાં આવી જાય તો જોખમ પેદા કરશે. તે એટલી ઝડપથી ફેલાય છે કે તેને નિયંત્રિત કરવાનું મુશ્કેલ હોય છે.”
તેનું ઉદાહરણ આપતા તેઓ કહે છે, “અમેરિકાથી ઘઉંની આયાત કરતી વખતે તેની સાથે લેંટાના કેમરા પણ આવ્યું. આજે તે આખા દેશમાં ફેલાઈ ગયું છે. ભારતને તેનું નુકસાન થઈ રહ્યું છે. તેને નિયંત્રિત કરવામાં રૂપિયા પણ ખર્ચવા પડે છે.”
લેન્ટાના કેમરા એક એવો ઝાડીદાર છોડ છે જે ભારતીય જંગલો માટે ખતરો બની ગયો છે.
દેવેન્દ્ર શર્માનું કહેવું છે કે આ બૅક્ટેરિયા અથવા ફૂગ દુનિયાના બીજા કોઈ દેશમાંથી આપણે ત્યાં પ્રવેશી શકે છે. આપણે એ જોવાનું છે કે તે આપણી સિસ્ટમમાં પ્રવેશી ન જાય.
કેવી રીતે બચી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરમાં ભારતથી અમેરિકા નિકાસ કરવામાં આવેલો લગભગ પાંચ લાખ ડૉલરનો કેરીનો જથ્થો નષ્ટ કરવો પડ્યો હતો. તેના માટે ડૉક્યુમૅન્ટની ગરબડનાં કારણો અપાયાં હતાં. કેરીમાંથી જંતુઓ નષ્ટ કરવાની પ્રક્રિયા પછી આ ડૉક્યુમૅન્ટ અપાતા હોય છે.
આનું ઉદાહરણ આપતા દેવેન્દ્ર શર્મા કહે છે, “આપણી વસતી 140 કરોડથી વધુ છે. દેશની ખાદ્યસુરક્ષા સૌથી વધુ મહત્ત્વની છે. આપણા દેશમાં કોઈ જીવડું જોવા મળે તો ગંભીરતાથી ન લેવાનું વલણ છે, પરંતુ અમેરિકામાં કેરીમાં એક જીવડું હોય તો પણ પ્રવેશી ન શકે.”
ડીઆરડીઓના અભ્યાસમાં એવો નિષ્કર્ષ નીકળ્યો કે દેશમાં દેખરેખ માટે ચુસ્ત વ્યવસ્થા છે. જે રોગજનકોનો પતો લગાવીને ઝડપથી ઘટાડવા સક્ષમ હોય, તેમને નિશાન બનાવવામાં આવે તેવી શક્યતા એટલી જ ઓછી હોય છે.
દેવેન્દ્ર શર્મા આના માટે સેનિટરી અને સાઇટોસેનિટરી નિયમોના પાલન પર ભાર મૂકે છે, જેને એસપીએસ કહેવામાં આવે છે. વિશ્વ વ્યાપાર સંગઠન (ડબલ્યુટીઓ)એ કોઈ પણ દેશના સુરક્ષિત ખાદ્યાન્ન ઉત્પાદન, પશુઓ અને છોડ-વનસ્પતિનું જંતુઓથી રક્ષણ કરવા માટે આ નિયમો ઘડ્યા હતા.
દેવેન્દ્ર શર્મા કહે છે કે ભારતે ઍરપૉર્ટ પર પણ દેખરેખ વધારવી પડશે જેથી કોઈ બૅક્ટેરિયા અથવા વાઇરસ અહીં પહોંચીને મોટું રૂપ ધારણ ન કરે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS