Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
બહુચર્ચિત ઉનાકાંડમાં વેરાવળની ખાસ અદાલતે 40માંથી પાંચ આરોપીઓને દોષિત જાહેર કરી, દરેકને પાંચ-પાંચ વર્ષની સખત કેદની સજા અને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને 35 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
પાંચેય દોષિતો એક રીતે સજા થવાની સાથે છૂટી પણ ગયા છે. તેમની ધરપકડ બાદ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન આ પાંચેય આરોપીઓ કાચા કામના કેદી તરીકે છ-છ વર્ષ કરતાં વધારે સમય સુધી જેલમાં રહ્યા હતા.
કોર્ટે એ સમયને પાંચ વર્ષની સજામાં મજરે આપવાનો હુકમ કર્યો છે. આથી દોષિત ઠર્યા બાદ પણ પાંચેય જેલમાં જવાથી બચી ગયા છે.
સરકારે 10 વર્ષની કેદ થઈ શકે તેવા ખૂનની કોશિશ સહિતના અન્ય ગંભીર ગુનાની કલમો આ કેસના આરોપીઓએ સામે લગાડી હતી, પરંતુ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું છે કે ફરિયાદ પક્ષ તે સાબિત કરી શક્યો નથી.
ઉનાકાંડમાં દલિતોની ફરિયાદ શું હતી?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
સરકારે કોર્ટમાં રજૂ કરેલ આરોપનામા અનુસાર 11 જુલાઈ 2016ના રોજ મોટા સમઢીયાળા ગામના દલિત વશરામભાઈ સોલંકી, તેમના નાનાભાઈ રમેશભાઈ, ભત્રીજા અશોકભાઈ અને સંબંધી બેચરભાઈ સરવૈયા મોટા સમઢીયાળા ગામે બંધ પડેલ ભરાડીયો જેની નજીક દલિતો મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા, ત્યારે કથિત ગૌરક્ષકો ત્યાં ધસી ગયા હતા.
એમણે ગૌરક્ષકોએ દલિત યુવાનો પર આરોપ મૂક્યો કે તેમણે ગૌહત્યા કરી છે. પછી આરોપીઓએ ધોકા અને પાઇપથી ચારેય દલિતો પર હુમલો કર્યો.
સરકારના કેસ અનુસાર વશરામભાઈના પિતા બાલુભાઈ તથા માતા કુંવરબહેન અને સંબંધી અરજણભાઈ બાબરિયા વશરામભાઈ વગેરેને બચાવવા વચ્ચે પડ્યાં પરંતુ કથિત ગૌરક્ષકોએ તેમના પર પણ હુમલો કર્યો હતો.
ત્યારબાદ આરોપીઓએ વશરામભાઈ, રમેશભાઈ, બેચરભાઈ અને અશોકભાઈને એક મોટર કારમાં બેસાડી ઉના શહેર લઈ જઈ, એક દોરડાથી ચારેયને તે કાર પાછળ બાંધી જાહેરમાં માર મારતા-મારતા ઉના બસ સ્ટેન્ડથી ઉના પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા હતા.
આ અત્યાચારના વીડિયો સોશિયલ મીડિયામાં અને સમાચાર ચૅનલોમાં વાઇરલ થતા ગુજરાત અને દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો.
આ કેસમાં રાજ્ય સરકાર ફરિયાદી બની હતી. સરકારે વેરાવળ કોર્ટને જણાવ્યું હતું કે ઉનામાં દલિતો પર અત્યાચાર બાદ ગુજરાતમાં રમખાણો અને પોલીસ પર હુમલાના 74 કેસ નોંધાયા હતા તેમજ 23 દલિતોએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી જેમાંથી એકનું મૃત્યુ થયું હતું.
આ અત્યાચારનો ભોગ બનનારા વશરામભાઈએ ચુકાદાથી નિરાશા વ્યક્ત કરી છે.
મંગળવારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં વશરામભાઈએ જણાવ્યું કે આવા ગંભીર ગુનામાં પણ અદાલતે આરોપીઓને આ રીતે છોડી દેવાતા, હુમલો કરનારાઓને ભવિષ્યમાં આવા અત્યાચાર ગુજારવાનું ‘પ્રોત્સાહન’ મળશે.
પરંતુ ચુકાદામાં કોર્ટે નીચે મુજબની પાંચ મુખ્ય બાબતો ટાંકીને આરોપીઓમાંથી માત્ર પાંચને દોષિત જાહેર કરી પાંચ પાંચ વરસની જ સજા કરી હતી.
બાલુભાઈને થયેલ ઈજાની ગંભીરતા
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ફરિયાદ અનુસાર નાગજીએ બાલુભાઈને માથામાં પાઇપ મારી દેતાં સારવાર માટે તેમને અને કુંવરબહેનને ગીર ગઢડા સારવાર માટે લઈ જવાયાં હતાં, જ્યાં તેમને માથામાં ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. એ બાદ બન્નેને ઉનાની સરકારી હૉસ્પિટલ અને વધારે સારવાર માટે જૂનાગઢ સરકારી હૉસ્પિટલ મોકલવામાં આવ્યાં હતાં.
સારવાર કરનાર ડૉક્ટરોએ આપેલાં પ્રમાણપત્રોનો સંદર્ભ આપતાં કોર્ટે ટાંક્યું છે કે બાલુભાઈને માથામાં કોઈ ફ્રૅક્ચર થયેલું નહોતું અને ઈજાઓ જીવલેણ નહોતી. તે જ રીતે અન્ય પીડિતોમાંથી પણ કોઈને ફ્રૅક્ચર થયું ન હતું.
કલમ 307ના ગુનામાં આરોપીએ પીડિતને પહોંચાડેલી ઈજાની ગંભીરતા કરતાં આરોપીનો ઇરાદો હત્યા નીપજાવવાનો હતો કે નહીં તે મહત્ત્વનું છે. કોર્ટે ચુકાદો આપ્યો છે કે આ કેસમાં આરોપીનો એવો ઇરાદો ન હતો એમ લખવામાં આવ્યું છે.
ન્યાયાધીશ જિજ્ઞેશ પંડ્યાએ તેના ચુકાદામાં લખ્યું છે, “ઈજાનો પ્રકાર અને વાપરવામાં આવેલા હથિયાર ધ્યાને લેતા આ ચુકાદા મુજબ મારનારનો ઇરાદો મૃત્યુ નીપજાવવાનો ન હતો તેવું ફલિત થાય છે.”
ફરિયાદીની જુબાની કેટલાંય વર્ષો પછી લેવાઈ
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
કોર્ટે સરકારની ઝાટકણી કાઢતાં ચુકાદામાં ટાંક્યું છે કે વશરામભાઈ ફરિયાદી હોવા છતાં સરકારી વકીલે ઘટનાનાં છેક આઠ વર્ષ પછી તેમની જુબાની લેવડાવી.
ચુકાદાના પાના નંબર-161 પર ન્યાયાધીશે નોંધ્યા અનુસાર સરકારે કાર્યવાહી ચલાવવામાં તત્પરતા દાખવેલી નથી અને કાર્યવાહીમાં વિલંબ કરવા પ્રયત્ન કરેલ છે તેવું રોજકામ પરથી જણાય છે.
કોર્ટે નોંધ્યું કે આ કેસમાં સરકારી વકીલે 239 સાક્ષીઓની જુબાની લેવાની હતી. તેમાંથી 219ની જુબાની લેવાઈ ગયા બાદ ઘટનાના પીડિત વશરામભાઈને જુબાની આપવા બોલાવવામાં આવ્યા હતા.
ન્યાયાઘીશે સરકારી વકીલ અને પીડિતોના ખાનગી વકીલ સામે પણ આંગળી ચિંધતાં ચુકાદામાં કરેલી ટિપ્પણી અનુસાર, ચાર્જશીટ મુજબ ફરીયાદી વશરામભાઈ બાલુભાઈ સરવૈયા પ્રથમ સાક્ષી (પીડિત પોતે) છે અને સરકારી તથા પીડિતોના ખાનગી વકીલની એ જવાબદારી છે કે જે સાક્ષીઓના પુરાવા ઉપર આધાર રાખતા હોય ત્યારે અદાલતમાં પુરાવો આપવા માટે હાજર રાખવા હાલના કામમાં મુખ્ય ફરીયાદી તરફથી સરકાર દ્વારા ખાસ સરકારી વકીલ નીમવામાં આવેલા હતા. અને વશરામભાઈએ પણ ગોવિંદભાઈ પરમાર તેમજ એમ. જી. પરમારને પોતાના ખાનગી વકીલ તરીકે રોક્યા હતા.
કોર્ટની ટિપ્પણી અનુસાર જે વ્યકિત ફરિયાદી હોય તેનો પુરાવો કાર્યવાહીની શરૂઆત સમયે જ નોંધાવવો જોઈએ, પરંતુ ફરિયાદી વશરામભાઈનો પુરાવો સૌપ્રથમ નોંધાવવો જોઈએ, જે તેમના કારણે નોંધી શકાયો નહોતો અને તેઓ પોતાનો પુરાવો આપવા માટે વર્ષ 2023ની 12 ઑક્ટોબરે હાજર થયા હતા.
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
આ બાબતે બીબીસીએ આ કેસના સરકારી વકીલ કેતનસિંહ વાળાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું, “જે-તે વખતે આ કેસની સુનાવણીમાં ખાસ સરકારી વકીલ ચલાવતા હતા અને છ વર્ષ દરમિયાન 60 સાક્ષીઓની જ જુબાની લેવાઈ હતી. પછી સુપ્રીમ કોર્ટે આ કેસ ઝડપથી ચલાવવાનો હુકમ કરતા રાજ્ય સરકારે વર્ષ 2022ના અંત ભાગ તરફ આ કેસ ચલાવવાની જવાબદારી મને સોંપી હતી.”
“મેં દર અઠવાડિયે બે દિવસ આ કેસની સુનાવણી કરવા કોર્ટને વિનંતી કરેલી અને કેસની કામગીરી ઝડપથી ચલાવી હતી. મેં બાકીના લગભગ 180 જેટલા સાક્ષીઓની જુબાની છ મહિનામાં લેવડાવી, ચુકાદો ફરિયાદ પક્ષની તરફેણમાં લાવી દોષિતોને મહત્તમ સજા અપાવી છે.”
પીડિતોના ખાનગી વકીલ ગોવિંદ પરમારે જણાવ્યું હતું કે ટ્રાયલ દરમિયાન કયા સાક્ષીને જુબાની માટે બોલાવવા તે સરકારી વકીલ તેમજ કોર્ટનો વિશેષાધિકાર છે.
તેમણે કહ્યું, “શરૂઆતમાં આ કેસ રાજ્ય સરકારે નીમેલા ખાસ સરકારી વકીલ દીપેન્દ્ર યાદવ ચલાવતા હતા. તેમણે કયા સાક્ષીઓને જુબાની માટે બોલાવવા તેની યાદી કોર્ટને આપેલી હતી. દીપેન્દ્ર યાદવે નક્કી કર્યું કે પહેલાં મેડિકલ પુરાવા રજૂ કરીએ અને તેથી પીડિતોને સારવાર આપનાર ડૉક્ટરોને સાક્ષી તરીકે જુબાની આપવા બોલાવવામાં આવ્યા હતા.”
“તેમાં ફરિયાદીનો શો વાંક? કોર્ટ જાતે પણ સમન્સ આપી કોઈ પણ સાક્ષીને જુબાની આપવા બોલાવી શકે છે. કોર્ટે આ કેસ ચુકાદા પર હતો ત્યારે (12 જાન્યુઆરી 2026ના રોજ) બેચરભાઈને જુબાની માટે બોલાવ્યા હતા. તે જ રીતે કોર્ટ વશરામભાઈને પણ જુબાની માટે બોલાવી શકી હોત.”
આરોપીઓની ઓળખ બાબતે અસંતોષ
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
સરકારી વકીલે દલીલ કરતા કોર્ટને જણાવ્યું હતું કે વશરામભાઈ અને રમેશભાઈ બંનેએ ઓળખ પરેડ દરમિયાન નવ-નવ આરોપીઓને ઓળખી બતાવ્યા હતા.
તેમણે ઉમેર્યું કે અન્ય સાક્ષીઓએ પણ આરોપીને ઓળખી બતાવ્યા હતા અને ઓળખ પરેડનું પંચનામું પંચો રૂબરૂ કરવામાં આવ્યું હતું અને તે સાબિત પણ થયું હતું
જોકે ન્યાયાધીશે આ દલીલ સામે ચુકાદામાં સવાલ ઉઠાવ્યા છે. ચુકાદાના પાના નંબર-117માં નોંધવામાં આવ્યા અનુસાર 4 ડિસેમ્બર 2024ના રોજ સરકારી વકીલ તથા પીડિતોના વકીલને સૂચના આપીને કયા-કયા આરોપીને, કયા-કયા સાક્ષીએ, કઈ-કઈ જગ્યાએ ઓળખી બતાવ્યા હતા તેની વિગત, અને સાક્ષીઓએ આરોપીઓને નામજોગ ઓળખી બતાવ્યા હતા કે, જોઈને ઓળખી બતાવ્યા હતા અને તેમની ઓળખ કયા પંચનામા પ્રમાણે થઈ હતી છે એ વિગતો લેખિતમાં રજૂ કરવા જણાવ્યું હતું. જેથી ઓળખ પરેડ અંગે કોણ કોને ઓળખી બતાવ્યા છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે.
પરંતુ સરકારી વકીલ અને પીડિતોના ખાનગી વકીલો દ્વારા અદાલતની આ સૂચનાનું પાલન કર્યું ન હોવાનું અને આ બાબતે કોઈ લેખિત રજૂઆત ના આપી હોવાનું કોર્ટે નોંધ્યું છે. ત્યારબાદ એ રજૂઆત છેક 4 ઑક્ટોબર 2025ના રોજ (એટલે કે કોર્ટની સૂચનાના લગભગ 10 મહિના બાદ) લેખિતમાં આપવામાં આવી હોવાનું કોર્ટે નોંધ્યું છે.
કોર્ટે ચુકાદાના પાના નંબર-214 પર નોંધ્યું છે કે વશરામભાઈ જુબાની આપવા આવ્યા તે પહેલાં તેમની પર થયેલ હુમલાના વીડિયોની સીડીની નકલ માંગી હતી અને તેઓ તે જોઈને જુબાની આપવા કોર્ટમાં હાજર થયા હતા.
કોર્ટે ચુકાદામાં નોંધ્યા અનુસાર સાક્ષીના બૉકસમાં પુરાવો આપતા સમયે તેઓ હાથમાં આરોપીઓનાં નામ લખ્યાં હોવાનો પુરાવો આપ્યો હતો જેને કારણે પીડિત અને ઘટનાના મુખ્ય સાક્ષી વશરામભાઈ અજાણ્યા માણસો હતા જેને તેમણે અગાઉથી કોર્ટમાં અને ઓળખપરેડ દરમિયાન ઓળખી બતાવ્યા છે અને નામજોગ ઓળખી બતાવ્યા હતા તે વ્યકિતઓ ખરેખર આરોપી હતા એટલે ઓળખી બતાવે છે કે કેમ તે બાબતે કોર્ટને શંકા થઈ હતી.
પરંતુ અજાણ્યા માણસો સિવાય ફરિયાદમાં નામ છે અને તેમને ઓળખી બતાવતા હોય તે બાબતને અન્ય સાક્ષીઓના પુરાવાથી સમર્થન મળતું હોવાને કારણે એ આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થઈ હોવાનું માની શકાય એમ કોર્ટે નોંધ્યું છે.
સાક્ષીઓ ફરી ગયા
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
આ કેસમાં સરકારી વકીલે 239 સાક્ષીઓની યાદી જુબાની માટે કોર્ટને આપી હતી, પરંતુ જુબાની આપતી વખતે મોટા ભાગના સાક્ષીઓ ફરી ગયા તેમ ચુકાદામાં નોંધવામાં આવ્યું છે.
તેમાં ઉના શહેરમાં સાક્ષીઓ દ્વારા જાહેરમાં ચાર પીડિત દલિતોને કારની પાછળ બાંધી, અર્ધનગ્ન કરી જાહેર રસ્તા પર સરઘસ કાઢી માર મારવામાં આવ્યો તે ઘટનાને નજરે જોનારા સાક્ષીઓનો પણ સમાવેશ થાય છે.
કેટલાક સાક્ષીઓએ તે સરઘસ જોયાની કબૂલાત આપી હતી, પરંતુ તેમાંથી પણ મોટા ભાગનાએ આરોપીઓમાંથી કોઈને ઓળખતા ન હોવાનું કોર્ટને જણાવ્યું હતું.
માત્ર એક સાક્ષીએ તેની જુબાનીમાં જણાવ્યું કે તેમણે પીડિતોને ગાડીમાંથી ઉતારતા એને તેમને મારતા પ્રમોદગિરિને જોયા હતા.
પીડિતોનું આચરણ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS



