Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 33 મિનિટ પહેલા
વાંચવાનો સમય: 3 મિનિટ
અમેરિકાએ ભારતને 30 દિવસ માટે રશિયન ઑઇલ ખરીદવાની ‘છૂટ’ આપી છે.
અમેરિકાના નાણા મંત્રી સ્કૉટ બેસન્ટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું કે આંતરરાષ્ટ્રીય નાણા બજારમાં ઑઇલનો પુરવઠો જાળવી રાખવા માટે નાણા મંત્રાલયે 30 દિવસ માટે ભારતીય રિફાઇનરીઓને છૂટ આપી છે.
પોતાની પોસ્ટમાં લખ્યું, “રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિને કારણે ઑઇલ અને ગૅસનું ઉત્પાદન અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે છે.”
“વૈશ્વિક ઑઇલનો પુરવઠો જળવાય રહે તે માટે અમેરિકાના ટ્રેઝરી વિભાગ (નાણા મંત્રાલયે) રશિયન ઑઇલ ખરીદવાની છૂટ આપતી 30 દિવસની હંગામી છૂટ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.”
“હેતુપૂર્વક ખૂબ જ ટૂંકી મુદ્દત માટે છૂટ આપવામાં આવી છે. આને કારણે રશિયાની સરકારને ખાસ આર્થિક લાભ નહીં થાય, કારણ કે આ છૂટ માત્ર દરિયામાં અટવાયેલા તેલ માટે છે.”
“ભારત એ અમેરિકા માટે મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. અમને આશા છે કે ભારત દ્વારા અમેરિકાના ઑઇલની ખરીદી વધારવામાં આવશે.”
“ઈરાને વૈશ્વિક પુરવઠાને બાનમાં લેવા માટેના જે પ્રયાસ કર્યા છે, તેને દબાણને હઠાવવા માટે આ હંગામી પગલું લેવામાં આવ્યું છે.”
ફેબ્રુઆરી-2026માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે રશિયન ઑઇલની ખરીદી બંધ કરવાનો વાયદો કર્યો છે, જેથી તેની સાથે ટ્રેડ ડીલ થઈ રહી છે. એ પછી ભારત ઉપર લાગેલો ટેરિફ 18 ટકા થઈ ગયો હતો.
અમેરિકાએ રશિયન ઑઇલ ખરીદવા બદલ ભારત ઉપર 25 ટકાનો ટેરિફ લાદ્યો હતો. આમ ભારતીય સામાન ઉપર કુલ ટેરિફ 50 ટકા જેટલો થઈ ગયો હતો.
ભારતનું કહેવું છે કે 140 દેશવાસીઓની ઊર્જા જરૂરિયાતો અને તેની સુરક્ષા પ્રાથમિકતા રહેશે. ભારતમાં રિફાઇન થયેલું રશિયન ઑઇલ અનેક દેશોમાં નિકાસ પણ થાય છે
બહેરીનની સરકારનો આરોપ ‘ઈરાને એક હોટલ અને બે ઇમારતોને નિશાન બનાવીને હુમલો કર્યો’
ઇમેજ સ્રોત, @moi_bahrain/X
બહેરીનના ગૃહમંત્રાલય અનુસાર રાજધાની મનામામાં એક હોટલ અને બે રહેણાક ઇમારતોને ઈરાને નિશાન બનાવી છે.
ગૃહમંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર કહ્યું છે કે આ હુમલામાં ઇમારતોને નુકસાન થયું છે. પણ કોઈના મૃત્યુના સમાચાર નથી.
બહેરીનના ગૃહમંત્રાલયના પ્રથમ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનના હુમલામાં બે હોટલ અને એક રહેણાક ઇમારતને નિશાન બનાવવામાં આવી છે. પછી મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે હુમલામાં એક હોટલ અને બે રહેણાક ઇમારતો પ્રભાવિત થઈ છે.
આની પહેલાં આ અઠવાડિએ જ બહેરીનમાં નૌસેનાના એક બેઝને પણ ઈરાનની મિસાઇલોથી નિશાન બનાવવામાં આવ્યો હતો.
અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર ગયા શનિવારના હુમલો કર્યો હતો જ્યાર બાદથી મધ્ય પૂર્વમાં તણાવની પરિસ્થિતિ છે.
બિહાર, બંગાળ સહિત આ રાજ્યોના રાજ્યપાલ બદલવામાં આવ્યા
ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુરુવાર રાત્રે કેટલાંક રાજ્યોના રાજ્યપાલોની નિમણૂકમાં ફેરફાર કર્યા છે.
તામિલનાડુના રાજ્યપાલ આર એન રવિને પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ નિયુક્ત કરાયા છે. તેઓ સીવી આનંદ બોઝની જગ્યા લેશે.
આનંદ બોઝે આની પહેલાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિએ સ્વીકાર કરી લીધું હતું.
ત્યાં જ રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હુસનૈનને બિહારના નવા રાજ્યપાલ બનાવાયા છે.
રાષ્ટ્રપતિ ભવનના નિવેદન અનુસાર કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર તામિલનાડુના રાજ્યપાલનો અતિરિક્ત કાર્યભાર સંભાળશે.
દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાને લદ્દાના ઉપરાજ્યપાલ બનાવાયા છે. કવિંદર ગુપ્તાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે.
પૂર્વ ભારતીય રાજનયિક તરનજીત સિંહ સંધુને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ નિયુક્ત કરાયા છે.
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાને તેલંગાનાના રાજ્યપાલ બનાવાયા છે. ત્યારે જિષ્ણુ દેસ વર્માને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવાયા છે.
એ ઉપરાંત નંદ કિશોર યાદવને નાગાલૅન્ડના નવા રાજ્યપાલ બનાવાયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS


