Source : BBC NEWS

ઇમેજ સ્રોત, ANI
અપડેટેડ એક કલાક પહેલા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા બાદ ચૅમ્બર ઍન્ડ બાર ઍસોસિયેશને જમ્મુ-કશ્મીરમાં બંધનું ઍલાન કર્યું છે. તેમના આ ઍલાનને જમ્મુ-કાશ્મીર નૅશનલ કૉન્ફરન્સ અને પીડીપીનાં પ્રમુખ મહબૂબા મુફ્તીનું સમર્થન છે.
જમ્મુ-કાશ્મીર નૅશનલ કૉન્ફરન્સે કાશ્મીર બંધને સમર્થન આપ્યું હોવાની વાત ઍક્સ પર શૅર કરી છે.
પાર્ટીએ પોતાની પોસ્ટમાં લખ્યું, “પાર્ટીના અધ્યક્ષના નિર્દેશ પર જમ્મુ-કાશ્મીર નૅશનલ કૉન્ફરન્સ પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીને કાશ્મીર બંધની સામૂહિક અપીલમાં સામેલ થયું છે. અમે જમ્મુ-કાશ્મીરના લોકોથી અપીલ કરીએ છીએ કે ધાર્મિક અને સામાજીક નેતાઓ તરફથી બોલાવામાં આવેલ આ હડતાળને સફળ બનાવો.”
પીડીપીનાં પ્રમુખ મહબૂબા મુફ્તીએ કહ્યું, “ચૅમ્બર બાર ઍસોસિયેશન જમ્મુને પર્યટકો પર થયેલા ભયાવહ ચરમપંથી હુમલાન વિરોધમાં બંધનું આહ્વાન કર્યું છે. હું તમામ કાશ્મીરીઓને અપીલ કરું છું કે પહલગામમાં થયેલા ક્રૂર હુમલામાં માર્યા ગયેલા લોકોના સન્માનમાં આ બંધનું સમર્થન કરીને એકતા દેખાડો.”
પહલગામમાં થયેલા આ હુમલામાં કુલ 26 લોકોનાં મૃત્યુ થયાં છે.
પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા મામલે રાહુલ ગાંધીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલાને લઈને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે.
રાહુલ ગાંધીએ આ જાણકારી તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કરી.
તેમણે લખ્યું, “મેં ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહ અને જમ્મુ-કાશ્મીરના પીસીસી અધ્યક્ષ તારિક હમીદ કર્રા સાથે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા મામલે વાતચીત કરી છે. આ હુમલા મામલે પૂર્ણ જાણકારી મેળવી છે.”
“પીડિતોના પરિવારોને ન્યાય મળવો જોઈએ અને તે માટે અમારું પૂર્ણ સમર્થન છે.”
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે પર્યટકો પર ચરમપંથી હુમલો થયો હતો. આ હુમલામાં 20થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
ગૃહમંત્રી અમિત શાહ હુમલા બાદ શ્રીનગર પહોંચી ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાની સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવીને ભારત પરત ફર્યા છે.
પહેલગામ ચરમપંથી હુમલા બાદ સાઉદી અરેબિયાની યાત્રા અધવચ્ચે છોડીને ભારત પહોંચ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ પોતાની યાત્રાને ટૂંકાવીને ભારત પહોંચી ગયા છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ આ સમાચાર આપ્યા છે.
આ અગાઉ તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને પહલગામમાં થયેલા ‘આતંકવાદી હુમલા’ને વખોડતાં તેમાં મૃત્યુ પામનારાના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
વડા પ્રધાન મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “હું જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડું છું. આ હુમલામાં જીવ ગુમાવનારના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એ માટે પ્રાર્થના કરું છું. આ હુમલામાં અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પહોંચાડાઈ રહી છે.”
“આ ઘૃણાસ્પદ કાર્યવાહી માટે જવાબદારને સજા કરાશે. તેમને નહીં છોડવામાં આવે! તેમનો દુષ્ટ એજન્ડા ક્યારેય સફળ નહીં થાય. આતંકવાદ સામે ઝઝૂમવાનો અમારો નિશ્ચય અડગ છે અને એ હજુ મજબૂત બનશે.”
પર્યટકો પર થયેલા ગોળીબાર અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું, “પહલગામમાં પર્યટકો પર થયેલા ઉગ્રવાદી હુમલાથી દુ:ખી છું. મારી સંવેદનાઓ લોકોના પરિવારજનો સાથે છે.”
અમિત શાહે કહ્યું હતું કે આ ઘટનાના જવાબદારોને નહીં છોડવામાં આવે અને તેમને પૂરી તાકત સાથે જવાબ અપાશે.
અમિત શાહે કહ્યું હતું, “આ ઘટના અંગે મેં વડા પ્રધાન મોદીને જાણકારી આપી છે અને સંબંધિત અધિકારીઓ સાથે તેમની વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે મિટિંગ થઈ છે.”
પહલગામ ચરમપંથી હુમલામાં મૂળ સુરતના એક પ્રવાસીનું મોત

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર સંસ્થા એએનઆઈએ સુરતના ડેપ્યુટી મામલતદાર સાજીદ મેરુજયના હવાલે સમાચાર આપ્યા છે કે સુરતના એક પ્રવાસીનું જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલામાં મોત થયું છે. આ પ્રવાસીનું નામ શૈલેષભાઈ હિંમતભાઈ કળઠિયા હતું. તેમની ઉંમર 44 વર્ષની હતી.
ડેપ્યુટી મામલતદાર સાજીદ મેરુજયે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું, “આ જે આતંકવાદી હુમલો થયો છે જમ્મુ-કાશ્મીરમાં, તેમાં શૈલેષભાઈ કળઠિયાનું દુ:ખદ અવસાન થયું છે. તેમના પિતરાઈ મયૂરભાઈ તેમણે અમારો સંપર્ક સાધ્યો હતો. તેઓ મોટા વરાછા ખાતે રહે છે. તેમના તરફથી અમને સૂચના મળી હતી. તેમના વિશે જાણકારી માટે અમે ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશનમાં અને જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમમાં સંપર્ક કર્યો. ત્યાંથી અમને આ સમાચારની પુષ્ટિ મળી છે. તેમની સાથે તેમની પત્ની શિતલબહેન, પુત્રી નીતિ અને પુત્ર નક્ષ પણ સાથે હતાં. પરંતુ તેઓ હાલ સુરક્ષિત છે. તેમને કોઈ ઇજા થઈ નથી. તેઓ હાલ જિલ્લાના મુખ્યાલયમાં છે.”
સાજીદે કહ્યું કે હાલ શૈલેષભાઈના પિતરાઈ મયૂરભાઈ જમ્મુ-કાશ્મીરમાં આ પીડિત પરિવારને મદદ કરવા માટે જઈ રહ્યા છે. તેમને જે પ્રકારની સહાયતા જોઈએ તે સરકાર પૂરી પાડવામાં આવશે.
સુરત ખાતે અમારા સહયોગી રૂપેશ સોનવણેએ જણાવ્યું છે, “શૈલેષભાઈનો પરિવાર મોટા વરાછા ખાતે ચીકુવાડી વિસ્તારમાં રહેતો હતો. તેઓ મૂળ સુરતના હતા પરંતુ મુંબઈ ખાતે સ્થાયી થયા હતા. તેઓ બૅન્ક ઑફ ઇન્ડિયામાં કામ કરતા હતા.”
“ચાર વર્ષ પહેલાં તેમનો પરિવાર સુરત ખાતે જ રહેતો હતો. પરંતુ ત્યાર પછી તેઓ મુંબઈ ખાતે સ્થાયી થઈ ગયા.”
શૈલેષભાઈના પાડોશી રમેશભાઈ ઢાકેચાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, “તેઓ મારા પાડોશી થાય, તેઓ મુંબઈમાં નોકરી કરતા હતા, તેઓ ફરવા ગયા હતા અને આતંકવાદી હુમલામાં તેમનો ગોળી વાગી અને તેમનું મૃત્યુ થયું છે. હાલ તો આ પરિવાર મુંબઈ રહે છે અને તેમનું મકાન ભાડે આપેલું છે.”
“શૈલેષભાઈનાં માતાનું બે વર્ષ પહેલાં જ અવસાન થઈ ચૂક્યું છે અને તેમના પિતા હિંમતભાઈ અમરેલી જિલ્લાના કુંપણિયા ગામમાં રહે છે.”
પહલગામ હુમલા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા પર પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું, “કાશ્મીરથી અત્યંત દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. આતંકની આ લડાઈમાં અમેરિકા ભારત સાથે ઊભું છે. અમે મૃતકોની આત્માની શાંતિ અને ઘાયલોના સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. વડા પ્રધાન મોદી અને ભારતના લોકોને અમારું પૂર્ણ સમર્થન અને સહાનુભૂતિ છે.”
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે પ્રવાસીઓ પર ઉગ્રવાદી હુમલો થયો છે. અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે પર્યટકો પર બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું જેમાં 20થી વધુનાં મોત થયાં છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાને આતંકી હુમલો ગણાવ્યો છે અને કહ્યું છે કે હુમલાના જવાબદારોને છોડવામાં નહીં આવે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS