Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Bill Clark/CQ-Roll Call, Inc via Getty Images
2 કલાક પહેલા
વાંચવાનો સમય: 3 મિનિટ
અમેરિકાના ગુપ્તચર વિભાગનાં વડા તુલસી ગબાર્ડે કહ્યું છે કે ગુપ્તચર માહિતી પ્રમાણે રશિયા, ચીન, ઉત્તર કોરિયા, ઈરાન અને પાકિસ્તાન અનેક પ્રકારની નવી, ઍડવાન્સ્ડ અથવા પરંપરાગત મિસાઇલ ડિલિવરી સિસ્ટમ પર રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી રહ્યા છે.
ગબાર્ડે કહ્યું કે “આ મિસાઇલોમાં ન્યુક્લિયર અને પરંપરાગત પેલૉડ લગાવેલા હોય છે, જે આપણા દેશને પોતાની રેન્જમાં લઈ શકે છે. જાસૂસી તંત્રનું આકલન છે કે આનાથી અમેરિકા માટે સામૂહિક રીતે ખતરો વધશે અને 2035 સુધીમાં આવી મિસાઇલોની સંખ્યા હાલમાં અનુમાનિત ત્રણ હજારથી વધીને 16 હજાર કરતા વધુ થઈ જશે.”
તુલસી ગબાર્ડે અમેરિકન સેનેટની સિલેક્ટ ઇન્ટેલિજન્સ કમિટીની સુનાવણી વખતે આ નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું કે “પાકિસ્તાનના લાંબા અંતરની બૅલિસ્ટિક મિસાઇલ ડેવલપમેન્ટમાં સંભવિત રીતે એવી આઈસીબીએમ સામેલ હોઈ શકે છે, જેની મારક ક્ષમતા આપણા દેશ (અમેરિકા) સુધી પણ હોઈ શકે છે.”
તેમણે કહ્યું કે, “ઈરાને અગાઉ પણ સ્પેસ લૉન્ચ અને બીજી એવી ટેકનિકનું પ્રદર્શન કર્યું છે, જેનો ઉપયોગ કરીને તે 2035 પહેલાં એક સક્ષમ આઈસીબીએમ બનાવવાનું શરૂ કરી શકે છે.”
હવાઈયાત્રા માટે સરકારના નવા નિર્દેશમાં કેવી સૂચનાઓ છે?
ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારે વિમાન પ્રવાસીઓની સુવિધા અને તેમના અધિકારોને લગતા નવા નિર્દેશ જારી કર્યા છે.
આ નિર્દેશ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડીજીસીએ મારફત આપ્યા છે.
તે મુજબ
(1) તમામ ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60 ટકા સીટો કોઈ પણ ચાર્જ વગર આપવામાં આવશે. એટલે કે ગ્રાહકો પાસેથી સીટના વધારાના રૂપિયા લેવામાં નહીં આવે.
(2) એક જ પીએનઆર પર પ્રવાસ કરનારા પ્રવાસીઓને એક સાથે બેસાડવામાં આવશે. શક્ય હોય ત્યાં સુધી આસપાસની સીટ અપાશે.
(3) ફ્લાઇટમાં સ્પોર્ટ્સનો સામાન અને સંગીતના સામાનને લઈ જવાની સુવિધા પારદર્શક અને પ્રવાસીઓ માટે અનુકુળ હોય.
(4) પ્રવાસીઓના અધિકારોને લગતા નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવે. ખાસ કરીને ઉડાનમાં વિલંબ, રદ થાય અથવા બૉર્ડિંગની મનાઈ કરવામાં આવે એવી સ્થિતિમાં.
(5) ઍરલાઇનની વેબસાઈટ, મોબાઈલ એપ્સ, બૂકિંગ પ્લેટફૉર્મ્સ અને ઍરપૉર્ટના કાઉન્ટર પર પ્રવાસીઓના અધિકારની માહિતી લખેલી હોવી જોઈએ.
(6) પ્રવાસીઓને મળતી સુવિધા અને અધિકારની માહિતી પ્રાદેશિક ભાષામાં સ્પષ્ટ રીતે આપવાની રહેશે.
મધ્ય પ્રદેશના ઇંદોરમાં કાર ચાર્જિંગ વખતે વિસ્ફોટ, સાતનાં મોત
ઇમેજ સ્રોત, ANI
મધ્ય પ્રદેશના ઇંદોરમાં બુધવારે કાર ચાર્જિંગ વખતે એક વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી જેના કારણે સાત લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજા પણ થઈ છે.
ઇંદોરના બંગાળી ચોક પાસે એક કૉલોનીમાં સવારે લગભગ ચાર વાગ્યો વિસ્ફોટ થયો હતો જ્યારે મોટા ભાગના લોકો પોતાના ઘરમાં ઊંઘતા હતાં.
શહેરના પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહ મુજબ “ઇંદોરના પુગલિયા પરિવારના ઘરની બહાર એક ઇલેક્ટ્રિક કાર રાતે ચાર્જિંગ પર લગાવવામાં આવી હતી. શરૂઆતની તપાસ પ્રમાણે લગભગ ચાર વાગ્યે ચાર્જિંગ પૉઇન્ટમાં શૉર્ટ સર્કિટ થયું જેનાથી કાર સળગી ગઈ. થોડી વારમાં આખા ઘરમાં આગ ફેલાઈ ગઈ જ્યાં મોટી સંખ્યામાં ગૅસ સિલિન્ડર રાખેલા હતા.’
કહેવાય છે કે તે વખતે ઘરમાં 15 ગૅસ સિલિન્ડર હાજર હતા. આગના કારણે તેમાં વિસ્ફોટ શરૂ થઈ ગયો. તેનાથી આખો વિસ્તાર હલબલી ગયો. મકાનનો એક ભાગ તૂટી પડ્યો અને લોકોને બહાર નીકળવાનો સમય પણ ન મળ્યો.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)
SOURCE : BBC NEWS



