Source : BBC NEWS
ઇમેજ સ્રોત, EPA
અપડેટેડ એક કલાક પહેલા
વાંચવાનો સમય: 2 મિનિટ
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પ્રવક્તા ઝબિહુલ્લાહ મુજાહિદે પાકિસ્તાની સેના પર અફઘાનિસ્તાનની સરહદનો ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.
તાલિબાન સરકારના પ્રવક્તાએ કહ્યું કે, “પાકિસ્તાની સેનાના હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ડઝનબંધ લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે.”
ઝબિહુલ્લાહ મુજાહિદે એક નિવેદનમાં જણાવ્યું કે “ગઈ રાતે પાકિસ્તાની સેનાએ નાંગરહાર અને પક્તિકા પ્રાંતમાં અમારા નિર્દોષ નાગરિકો પર બૉમ્બમારો કર્યો, જેના કારણે મહિલાઓ અને બાળકો સહિત ડઝનબંધ લોકો માર્યા ગયા અને ઈજાગ્રસ્ત થયા.”
તેમણે કહ્યું કે “પાકિસ્તાની જનરલો પોતાના દેશની સુરક્ષા સંબંધિત નબળાઈઓની ભરપાઈ આવા અપરાધો દ્વારા કરે છે.”
ડોનાલ્ડ ટ્રમ્પ હવે ગ્લોબલ ટેરિફ 10 ટકાથી વધારીને 15 ટકા કરશે
ઇમેજ સ્રોત, Aaron Schwartz/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ 10 ટકાથી વધારીને 15 ટકા કરવાનો નિર્ણય લીધો છે.
અગાઉ સુપ્રીમ કોર્ટે ટેરિફ પર આપેલા ચુકાદા પછી ટ્રમ્પે 10 ટકા ટેરિફ લગાવ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, “કાલે અમેરિકન સુપ્રીમ કોર્ટે ટેરિફ પર જે નિર્ણય આપ્યો છે, તે બેકાર અને એકદમ અમેરિકા વિરોધી છે.”
“આ નિવેદન દ્વારા હું જણાવવા માગું છું કે અમેરિકાના રાષ્ટ્રપતિ હોવાના નાતે 10 ટકા વર્લ્ડવાઇડ ટેરિફને વધારીને 15 ટકા કરી રહ્યો છું.”
ટ્રમ્પે આગળ લખ્યું કે, “કેટલાય દેશો વર્ષોથી અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યા છે અને જવાબ નહોતો મળ્યો (હું નહોતો આવ્યો ત્યાં સુધી), પરંતુ હવે તેને સંપૂર્ણ રીતે કાનૂની રીતે આગળ વધારવામાં આવી રહ્યું છે.”
“આગામી કેટલાક મહિનામાં ટ્રમ્પ વહીવટીતંત્ર નવા અને કાયદાકીય રીતે યોગ્ય ટેરિફ નક્કી કરશે, જેનાથી અમારું ‘અમેરિકાને ફરીથી મહાન બનાવવાનું’ કામ વધુ સફળ થશે.”
જાવેદ અખ્તરે તાલિબાન અંગે ભારતના મૌલવી-મુફ્તીઓને શું અપીલ કરી
ઇમેજ સ્રોત, Vishal Bhatnagar/NurPhoto via Getty Images
ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરે ભારતના મૌલવીઓ અને મુફ્તીઓને અપીલ કરી છે કે અફઘાનિસ્તાન તાલિબાને મહિલાઓ વિશે આપેલા નવા આદેશની તેઓ ટીકા કરે.
જાવેદ અખ્તરે એક્સ હેન્ડલ પર લખ્યું કે “તાલિબાને પતિઓને પત્નીને મારવાની છૂટ આપી છે, પરંતુ હાડકાં તૂટવા ન જોઈએ. પતિની મંજૂરી વગર પત્ની પોતાના પિયર જતી રહે તો તેને ત્રણ મહિના જેલમાં રાખવામાં આવશે.”
“હું ભારતના મુફ્તીઓ અને મૌલાનાઓને વિનંતી કરું છું કે કોઈ પણ શરત વગર તેઓ આની નિંદા કરે, કારણ કે આ બધું ધર્મના આધારે કરવામાં આવી રહ્યું છે.”
ત્યાર પછી જાવેદ અખ્તરે વધુ એક પોસ્ટમાં લખ્યું કે, “ભલે કોઈ પણ રાજકીય મુશ્કેલી હોય, જંગલી અને બેરહેમ તાલિબાનોને આપણે કોઈ માન્યતા કે સન્માન આપવું ન જોઈએ. તેઓ દુનિયાના સૌથી ઘટિયા લોકો છે.”
વાસ્તવમાં કેટલાક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે તાલિબાનની દંડ સંહિતામાં હવે મહિલાઓ સાથે ઘરેલુ હિંસાને સામાન્ય બનાવી દેવામાં આવી છે. સમાચાર પ્રમાણે દંડ સંહિતા હેઠળ પતિ પોતાની પત્નીના હાડકાં તોડ્યા વગર મારે તો તેને અપરાધ ગણવામાં નહીં આવે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



