Home તાજા સમાચાર gujrati ગ્રામપંચાયતોને આવક ક્યાંથી થાય છે અને સરકાર તરફથી કેટલી ગ્રાન્ટ આપવામાં આવે...

ગ્રામપંચાયતોને આવક ક્યાંથી થાય છે અને સરકાર તરફથી કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે?

5
0

Source : BBC NEWS

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં 22 જૂને 8,326 ગ્રામપંચાયતaની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

ગ્રામપંચાયતની ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ નવ જૂન છે. 10 જૂન સુધી ઉમેદવારીપત્રકની ચકાસણી થશે અને નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન છે.

જ્યારે મતગણતરી 25 જૂનના દિવસે થશે. ચૂંટણીપંચે જણાવ્યા અનુસાર કુલ 5115 સરપંચપદની ચૂંટણી યોજાશે.

4688 ગ્રામપંચાયતોમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી છે જ્યારે 3638 ગ્રામપંચાયતોમાં પેટાચૂંટણી યોજાનાર છે.

ગ્રામપંચાયતોએ ગામમાં રોડ, પાણી, વીજળી, સ્ટ્રીટ લાઇટ, સફાઈ વગેરે સુવિધાઓ પૂરી પાડવાની હોય છે.

ગ્રામપંચાયતોને ગામના વિકાસનાં કામો કરવાનાં હોય છે, તે માટે નાણાંની વ્યવસ્થા કેવી રીતે થાય છે?

ગામમાં વિકાસનાં કામો

ગુજરાતમાં 22 જૂને 8,326 ગામડાંમાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

ગામમાં સુવિધાઓ ઊભી કરવા માટે થતા ખર્ચની વ્યવસ્થા કરવા માટે ગ્રામપંચાયત અલગ-અલગ વેરા, ફી વસૂલે છે. આ ઉપરાંત ગામમાં વિકાસનાં કામો માટે સરકાર તરફથી અલગ-અલગ ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. ગ્રામપંચાયતો ફી વસૂલે છે કે પછી નિયમોભંગ બદલ દંડ વસૂલી શકે છે.

ગ્રામપંચાયત એ સ્થાનિક સ્વરાજની સંસ્થા છે. ગ્રામપંચાયતે પોતાનો નિભાવનો ખર્ચ જેવો કે સ્ટ્રીટ લાઇટ બદલવી, પાણીની મોટર રિપેરિંગ, રોડ રસ્તાનું નાનું રિપેરિંગ, પંચાયતનો ખર્ચ વગેરે ખર્ચ સ્વભંડોળમાંથી જ કરવાનો હોય છે.

કેટલીક ગ્રાન્ટ દરેક ગ્રામપંચાયતને ફરજિયાત મળે જ છે. જ્યારે કેટલીક ગ્રાન્ટ અમુક ગામોને જ મળે છે.

જે ગામના હોદ્દેદારો થોડા સક્રિય હોય તે ગ્રાન્ટ મેળવતા હોય છે.

નાણાપંચ કે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન જેવી ગ્રાન્ટ દરેક ગ્રામપંચાયતને તેની વસ્તી મુજબ ફરજિયાત મળે છે.

જ્યારે ધારાસભ્ય, સાસંદસભ્યોની ગ્રાન્ટ, જિલ્લાના સભ્યોની કે અન્ય કોઈ ગ્રાન્ટ જે ગામના હોદ્દેદારો જાગૃત હોય તે ગામને મળતી હોય છે.

આ ઉપરાંત પાણી પુરવણાની વાસ્મો જેવી યોજનામાં લોકફાળો અને સરકારની મદદથી કામો થાય છે.

ગ્રામપંચાયતની આવકનાં સાધનો શું હોય છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગ્રામપંચાયત અલગ-અલગ કરવેરાઓ, ફી કે નિયમોભંગના દંડ ઉઘરાવીને પંચાયતમાં આવક ઊભી કરી શકે છે. આ ઉપરાંત સરકારની પ્રોત્સાહન યોજનાઓ પણ છે.

આણંદ જિલ્લાના ભાદરણ ગામના તલાટી કમ મંત્રી ધવલસિંહ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “ગ્રામપંચાયતો ઘરવેરો, પાણીવેરો, સફાઈવેરો અને વીજળીવેરો ફરજિયાત ઉઘરાવે છે. આ ઉપરાતં ગામમાં ગટરની વ્યવસ્થા હોય તો જે સોસાયટી કે વિસ્તારમાં ગટર હોય તે વિસ્તારમાં ગટરવેરો ઉઘરાવી શકે છે.”

“આ ઉપરાંત ગ્રામપંચાયતો વ્યવસાય વેરો (પ્રોફેશનલ ટૅક્સ) ઉઘરાવી શકે છે. જેમાં દુકાનો ઑફિસ કે કોઈ ઉત્પાદન એકમ હોય તો તે એકમનો તેમજ એકમમાં કામ કરતા કર્મચારીઓનો પ્રોફેશનલ ટૅક્સ ઉઘરાવી તે સંસ્થા કે એકમે ગ્રામ પંચાયતમાં જમા કરાવવાનો હોય છે.”

ધવલસિંહ સોલંકીએ દાખલો આપતા સમજાવ્યું, “જેમકે કોઈ ગામમાં કોઈ ખાનગી બૅન્કની શાખા હોય અને તે બૅન્કમાં પાંચ કર્મચારીઓ કામ કરે છે તો તે બૅન્કે આ પાંચ કર્મચારીઓના પગારમાંથી દર મહિને 200 રૂપિયા પ્રોફેશનલ ટૅક્સ કપાત કરવાનો છે. અને બૅન્કે તે ટેક્સની રકમ પંચાયતમાં જમા કરવવાની હોય છે. પ્રોફેશનલ ટેકસ કર્મચારી દીઠ દર મહિને 200 રૂપિયા છે.”

ભુજ તાલુકાના કનુરીયા ગામના ભૂતપૂર્વ સરપંચ અને હાલ ઉપસરપંચ સુરેશભાઈ છાંગાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “ગ્રામપંચાયત વેરા ઉપરાંત ફી પણ વસૂલી શકે છે. જેમકે જન્મ, મરણ કે લગ્નની નોંધણીની ફી, ઉતારા, રેશનિંગ કાર્ડમાં ઍન્ટ્રી જેવી ફી વસૂલવામાં આવે છે. જે પંચાયતની આવક છે.”

ધવલસિંહ સોલંકીએ જણાવ્યું કે, “ગ્રામપંચાયતો પડતર જમીનનાં વૃક્ષોની હરાજી કરીને આવક કરી શકે છે. આ ઉપરાંત જો ગામમાં તળાવ હોય તો તેમાં મત્સ ઉધોગ કે શિંગોડાની વાવણી કરવામાં આવતી હોય તો તેની હરાજીમાંથી આવક થાય છે.”

સુરેશ છાંગા જણાવે છે કે, “ગ્રામપંચાયત કોઈ નિયમો બનાવે અને નિયમો તોડવા બદલ દંડ વસૂલી શકે છે. આ દંડ પણ પંચાયતોનું સ્વભંડોળ છે. ગ્રામપંચાયત સરકારી જમીન પર દુકાનો કે કૉમ્પલેક્સ બનાવીને તેના ભાડાની આવક ઊભી કરી શકે છે.”

સુરેશ છાંગા જણાવે છે કે, “ગ્રામપંચાયત ડોનેશન લઈને પણ વિકાસનાં કામો કરાવી શકે છે.”

સરકાર સફાઈ માટે ગ્રામપંચાયતને કેટલી સહાય ચૂકવે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગ્રામપંચાયતો સફાઈવેરો ફરજિયાત ઉઘરાવવાનો હોય છે.

રાજ્ય સરકારની ‘ગુજરાત સ્વચ્છગામ સ્વસ્થ યોજના’ છે. સરકારના પરિપત્ર મુજબ જે ગ્રામપંચાયત દ્વારા કુલ ઉઘરાવવાના સફાઈવેરાથી 50 ટકા કરતાં વધારે ઉઘરાણી કરવામાં આવે તો જેટલી રકમ સફાઈવેરો ઉઘરાવ્યો હોય તેટલી રકમ સરકાર આપે છે. દાખલા તરીકે ગ્રામપંચાયતે સફાઈવેરાના 50 ટકા કરતાં વધારે અને 95 ટકા કરતાં ઓછી રકમ ઉઘરાવી છે જે પાંચ લાખ રૂપિયા છે તો રાજય સરકાર ગ્રામપંચાયતને તેના પાંચ લાખ રૂપિયા આપે છે.

જો આ રકમ 95 ટકા કરતાં વધારે હોય તો ગ્રામપંચાયતે જે રકમ ઉઘરાવી હોય તેના ડબલ રકમ સરકાર આપે છે. જેમકે ગ્રામપંચાયતે સફાઈવેરાની રકમ 95 ટકા કરતાં વધારે ઉઘરાવી છે અને તે રકમ 8 લાખ રૂપિયા છે તો સરકારે તે ગ્રામપંચાયતને આઠ લાખની બમણી રકમ 16 લાખ રૂપિયા આપશે.

ધવલસિંહ સોલંકી જણાવે છે કે, “મહાત્મા ગાંધી સ્વછતા મિશન અંર્તગત ગામમાંથી ડોરટુડોર કચરો ઉપાડવા માટે સરકાર તરફથી ગ્રામપંચાયતને સફાઈ માટે વ્યકિતદીઠ દર મહિને 4 રૂપિયા ચુકવવામાં આવે છે. આ રકમ ફરજિયાત દરેક ગ્રામપંચાયતને રાજ્ય સરકાર તરફથી મળે જ છે. આ ઉપરાંત ‘ગુજરાત સ્વચ્છગામ સ્વસ્થ યોજના’ ગ્રાન્ટ મળે છે. જે દરેક ગ્રામપંચાયત જેટલો સફાઈવેરો ઉઘરાવે તે પ્રમાણે મળે છે. આ દરેક ગ્રાન્ટ ગ્રામપંચાયતના સ્વનિધિ ભંડોળમાં જાય છે. જેનો ખર્ચ ગ્રામપંચાયત દ્વારા નિભાવણી માટે વાપરવામાં આવે છે.”

ગ્રામપંચાયતને કઈ-કઈ ગ્રાન્ટ મળે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગ્રામપંચાયતને વિકાસનાં કામો કરવા માટે અલગ-અલગ યોજનાઓ અંર્તગત ગ્રાન્ટ મળતી હોય છે.

કેટલીક ગ્રાન્ટ દરેક ગ્રામપંચાયતને ફરજિયાત મળે જ છે. તો કેટલીક ગ્રાન્ટ જે ગામોના પ્રતિનિધિ સક્રિય હોય તે પાસ કરાવે છે.

ધવલ સોલંકી જણાવે છે, “દરેક ગ્રામપંચાયતને નાણાપંચની ગ્રાન્ટ ફરજિયાત મળે જ છે. આ ગ્રાન્ટ ગામની વસ્તી મુજબ માથાદીઠ મળે છે. અત્યારે નાણાપંચની માંથાદીઠ ગ્રાન્ટ 315 રૂપિયા છે. ગામની વસ્તી મુજબ દર વર્ષે ગ્રાન્ટ મળે છે.”

ધવલ સોલંકી ઉદાહરણ આપતા સમજાવે છે જેમકે કોઈ ગામની વસ્તી પાંચ હજાર છે. (ગામની વસ્તી 2011ની વસ્તી ગણતરી મુજબ ) 5000 * 315 તો આ ગામને દર વર્ષે 15 લાખ 75 હજાર રૂપિયા નાણાપંચની ગ્રાન્ટ મળે.

ધારાસભ્યની ગ્રાન્ટ, સંસદ સભ્યની ગ્રાન્ટ, રાજ્યસભા સાસંદ,જિલ્લા પંચાયતના સભ્યની ગ્રાન્ટ મળે છે.

આ લોકપ્રતિનિધિઓ આ ગ્રાન્ટ વિસ્તારને ફાળવે છે જે કેટલાંક ગામોના વિકાસનાં કામો મંજૂર કરવામાં આવે છે. આ ગ્રાન્ટ દરેક ગ્રામપંચાયતને ફરજિયાત મળતી નથી.

નિષ્ણાતોનું કહેવું છે કે સરકારની ગ્રાન્ટોમાં જે ગામના હોદ્દેદારો રાજકીય રીતે સક્રિય હોય તેવાં ગામોને વધુ લાભ મળે છે. કેટલીક ગ્રામપંચાયતોને ઓછો લાભ મળે છે.

જેમકે ગુજરાતમાં પહેલા દરેક ધારાસભ્યને તેમના વિસ્તારના વિકાસ માટે દર વર્ષે રૂપિયા 2.5 કરોડ મળે છે. ધારાસભ્ય જરૂરિયાત મુજબનાં ગામોને આ ગ્રાન્ટ ફાળવે છે. નોંધનીય છે કે ધારાસભ્યને દર વર્ષે રૂપિયા 1.5 કરોડ ગ્રાન્ટ મળતી હતી. જે તાજેતરમાં વધારીને 2.5 કરોડ વાર્ષિક કરવામાં આવી છે.

પંચાયત, રૂરલ હાઉસિંગ અને પંચાયત ડેવલપમેન્ટની વેબસાઇટ અનુસાર સરકારની એટીવીટી ( આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો) ની ગ્રાન્ટ પણ ઉપલબ્ધ છે. જે તાલુકમાં 50 ગામ હોય તે તાલુકાને 1 કરોડ, 51 થી 100 ગામ હોય તે તાલુકાને 1.25 કરોડ અને જે તાલુકામાં 100 કરતાં વધારે ગામ હોય તે ગામને રૂપિયા 1.50 કરોડની ગ્રાન્ટ દર વર્ષે મળે છે.

આ ગ્રાન્ટની ફાળવણી માટે એક કમિટી બનાવવાની હોય છે. જે પ્રાંત અધિકારી તેના અધ્યક્ષ હોય છે. જરૂરિયાત મુજબ ગામોને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.

સુરેશ છાંગા જણાવે છે કે, “ગ્રામપંચાયત દ્વારા રેતીની અને પથ્થર ખનનની રૉયલ્ટી વસૂલવામાં આવે તે રૉયલ્ટીની રકમના 15 ટકા જેટલી રકમ સરકાર તે જિલ્લાને આપે છે. ડીએમએફ ( ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ) ની ગ્રાન્ટ જિલ્લા દ્વારા જે ગામોમાંથી રેતી ખનન થતું હોય તેવાં ગામોના વિકાસનાં કામો માટે ફાળવવામાં આવે છે. જોકે જે ગામોમાં રેતી ખનન ન થતું હોય તેવાં ગામોના વિકાસનાં કામો માટે પણ આ ગ્રાન્ટ ફાળવી શકાય.”

ધવલસિંહ સોલંકી જણાવે છે કે, “સરકાર તરફથી ગ્રામપંચાયતોને ઑક્ટ્રૉયની ગ્રાન્ટ આપવામાં આવે છે.”

સુરેશ છાંગા જણાવે છે કે, “સરકાર તરફથી ઘરે-ઘરે નળમાં પાણી પહોંચાડવા માટે નલ સે જલ યોજના માટે ગ્રાન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ગ્રાન્ટ, રસ્તાઓ માટે ગ્રાન્ટ મળે છે.”

ગ્રામપંચાયતે કયાં કામો કરવાનાં હોય છે?

  • ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા
  • ગામમાં શેરી અને રસ્તાની સફાઈ (ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન)
  • સરકારી મિલકતની જાળવણી
  • ગામમાં આરોગ્ય વિષયક જાળવણી
  • ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા
  • ગ્રામ વિકાસનું આયોજન
  • ગામમાં સીમના પાકની સંભાળ રાખવા બાબત
  • ખેતીવાડી સુધારણા આયોજન

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS