Home તાજા સમાચાર gujrati ‘ઑપરેશન સિંદૂર’ના એક મહિનામાં ભારત અને પાકિસ્તાનમાં શું બદલાયું?

‘ઑપરેશન સિંદૂર’ના એક મહિનામાં ભારત અને પાકિસ્તાનમાં શું બદલાયું?

6
0

Source : BBC NEWS

ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પહલગામ ઑપરેશન સિંદૂર સૈન્ય નરેન્દ્ર મોદી આસિમ મુનીર અમેરિકા

ઇમેજ સ્રોત, FAROOQ NAEEM/AFP via Getty Images

આજથી એક મહિના અગાઉ 7 મેની વહેલી સવારે ભારતે જાહેરાત કરી કે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 26 પર્યટકોની હત્યાના જવાબમાં ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં નવ ‘આતંકવાદી ઠેકાણા’ પર હુમલા કર્યા છે.

ભારતે લાંબા સમયથી પાકિસ્તાન પર સરહદ પારના આતંકવાદને ટેકો આપવાનો અને 2019માં પુલવામા તથા 2008માં મુંબઈના હુમલા જેવી ઘટનામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો છે.

પહલગામમાં થયેલી ઘટના અંગે પણ ભારતે આવા જ આરોપ લગાવ્યા અને હુમલાખોરોને પાકિસ્તાનનો ટેકો હતો તેવો દાવો કર્યો છે.

પાકિસ્તાને આ હુમલામાં કોઈ ભૂમિકા હોવાનો હંમેશાં ઇનકાર કર્યો છે. ભારતના તાજેતરના આરોપો પણ પાકિસ્તાને નકારી કાઢ્યા છે.

શુક્રવારે મોડી રાતે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન આપીને કહ્યું કે ભારતે પહલગામ હુમલામાં પાકિસ્તાન પર આરોપ મૂક્યા છે, પરંતુ તેના માટે કોઈ નક્કર પુરાવા નથી આપ્યા.

પાકિસ્તાને પહલગામ હુમલા અંગે સ્વતંત્ર તપાસ સમિતિમાં સામેલ થવાની પણ દરખાસ્ત કરી હતી.

પાકિસ્તાને દાવો કર્યો કે મે મહિનામાં ભારતે કરેલા હુમલામાં “જ્યાં નાગરિકો માર્યા ગયા, ત્યાં મોટા ભાગે મસ્જિદો અથવા ધાર્મિક સ્થળ હતાં.”

પાકિસ્તાને એવો દાવો પણ કર્યો કે સંઘર્ષ દરમિયાન તેમણે ભારતીય વિમાનોને પાડી દીધાં છે. જોકે, ભારતે હજુ આ દાવાની સત્તાવાર પુષ્ટિ નથી કરી.

ભારત અને પાકિસ્તાન અણુ હથિયારોથી સજ્જ પડોશી દેશો છે. મે મહિનામાં ચાર દિવસ સુધી સૈન્ય સંઘર્ષ એટલી હદે વધી ગયો કે નિષ્ણાતોના કહેવા મુજબ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી આવું ક્યારેય નહોતું થયું.

પહેલી વખત ડ્રોનનો ઉપયોગ

ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પહલગામ ઑપરેશન સિંદૂર સૈન્ય નરેન્દ્ર મોદી આસિમ મુનીર અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

બંને દેશોએ એકબીજાને નુકસાન પહોંચાડવા મોટા પાયે ડ્રોનનો ઉપયોગ કર્યો હોય એવું પહેલી વખત બન્યું.

આ સાથે જ યુદ્ધ વિમાનો, મિસાઇલો અને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતીએ આ તણાવ વધારી દીધો. 10 મેએ અચાનક સંઘર્ષવિરામની જાહેરાત થઈ અને બધું અટકી ગયું.

ચાર દિવસનો આ એવો સંઘર્ષ હતો જેમાં બંને પક્ષોએ દાવો કર્યો કે તેમનો વિજય થયો છે અને સામેનો પક્ષ હારી ગયો છે.

જોકે, આ દરમિયાન નિયંત્રણ રેખા નજીક રહેતા કેટલાય લોકોનાં જીવન બદલાઈ ગયાં. કેટલાયે ક્રૉસ ફાયરિંગમાં પોતાનાં પરિવારજનો ગુમાવી દીધાં અને કેટલાયનાં ઘર તોપમારામાં નાશ પામ્યાં.

બંને પક્ષના અલગ-અલગ દાવા

ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પહલગામ ઑપરેશન સિંદૂર સૈન્ય નરેન્દ્ર મોદી આસિમ મુનીર અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

પહલગામ હુમલા પછી ભારતમાં બદલો લેવાની માંગણી ઊઠી હતી અને મીડિયામાં આવી ઘટનાનો તાત્કાલિક જવાબ આપવાની તરફેણ કરતા અહેવાલ આવવા લાગ્યા.

પાકિસ્તાનના ભૂતપૂર્વ સચિવ અને ઇસ્લામાબાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિજનલ સ્ટડીઝના અધ્યક્ષ જૌહર સલીમ કહે છે કે ભારતના “શરૂઆતથી જ ઉશ્કેરણીજનક વલણ”ના કારણે પાકિસ્તાન માટે જટિલ સ્થિતિ પેદા થઈ હતી.

તેઓ કહે છે, “પાકિસ્તાનના કૂટનીતિક દૃષ્ટિકોણમાં પરિવર્તન જોવા મળ્યું. તે પ્રતિક્રિયાત્મક હોવાના બદલે સક્રિય કૂટનીતિક બની ગયું.”

છતાં ભારતને હુમલો કરતા રોકી ન શકાયું. ભારતે પોતાના હુમલામાં “100થી વધુ આતંકવાદીઓને મારવાનો, આતંકીઓનાં ઠેકાણા નષ્ટ કરવાનો, પાકિસ્તાનના મહત્ત્વનાં હવાઈ ઠેકાણાં અને ઍર ડિફેન્સ સિસ્ટમને બરબાદ કરવાનો” દાવો કર્યો.

તરત જ પાકિસ્તાને પણ હુમલાની જાહેરાત કરી અને થોડા જ કલાકોમાં ભારતના ત્રણ રાફેલ ફાઈટર વિમાન સહિત છ ભારતીય વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો.

ભારતે આ નુકસાનની સત્તાવાર પુષ્ટિ નથી કરી. પરંતુ ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણે તાજેતરમાં આપેલા નિવેદનને ઘણા લોકો ભારતીય વિમાનોને થયેલા નુકસાનના પરોક્ષ સ્વીકાર તરીકે જુએ છે.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે બ્લૂમબર્ગ ટીવીને જણાવ્યું કે, “જેટ પાડવામાં આવ્યું કે નહીં તે મહત્ત્વનું નથી, આવું કેમ થયું તે મહત્ત્વનું છે.”

પાકિસ્તાને દાવો કર્યો કે તેમણે ભારતના હુમલાનો જોરદાર જવાબ આપ્યો છે. તેમણે બહાવલપુર જેવા ક્ષેત્રને લઈને પણ માહિતી આપી જે ભારતના ઑપરેશન સિંદૂર હેઠળ નિશાન બન્યા હતા.

સંરક્ષણ નિષ્ણાત અને ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારી કોમોડૉર અનિલ જયસિંહ કહે છે, “ભારત સરહદ પાર કર્યા વગર મિસાઇલો અને ડ્રોન્સનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં સચોટ હુમલા કરીને ત્યાં આતંકવાદી માળખાને ધ્વસ્ત કરવા સક્ષમ હતું.”

ભારતે કહ્યું કે તેણે “નવ આતંકી શિબિર” નષ્ટ કર્યા છે, “આતંકવાદી સંગઠનોના કમાન્ડરોને” માર્યા છે અને પાકિસ્તાની “ઍર ડિફેન્સની નબળાઈ” ઉજાગર કરી છે.

બીજી તરફ પાકિસ્તાને ભારતના આ દાવાને નકારી કાઢ્યા છે. ઇસ્લામાબાદ સ્થિત ડિફેન્સ નિષ્ણાત આમીર રાણા માને છે કે “શક્તિ સંતુલન કોઈ એક દેશની તરફેણમાં નમેલું છે એમ કહેવું વહેલું ગણાશે.”

આમિર રાણાએ કહ્યુ્ં, “પાકિસ્તાની સેનાને હવે એ ભરોસો થઈ ગયો છે કે તે એકથી વધુ મોરચા પર પોતાનાથી ઘણા મોટા દુશ્મનનો સામનો કરી શકે છે. ભારત માટે આ આશ્ચર્યજનક હતું.”

ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પહલગામ ઑપરેશન સિંદૂર સૈન્ય નરેન્દ્ર મોદી આસિમ મુનીર અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

આ સંઘર્ષ પછી પાકિસ્તાનમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણાતા પાકિસ્તાની સેના પ્રમુખ આસીમ મુનીરની લોકપ્રિયતા વધી ગઈ, જે ઘરેલુ રાજકારણમાં હસ્તક્ષેપ અને ઇમરાનખાનના ટેકેદારો સામે કાર્યવાહીના કારણે ઘટી ગઈ હતી.

ત્યાર પછી તેમને પ્રમોશન આપીને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા.

કોમોડૉર અનિલ જયસિંહ કહે છે કે ભારતના હુમલા ભવિષ્યના આતંકવાદી હુમલાને રોકી શકે છે અને “આવું ફરીથી થાય તો તે પાકિસ્તાન માટે નુકસાનકારક હશે.”

લેખક અને આતંકવાદ વિરોધી પોલિસીના નિષ્ણાત અજય સાહની કહે છે કે પાકિસ્તાન આનાથી ડરીને પીછેહઠ કરશે તેની સંભાવના ઓછી છે. તેઓ પાકિસ્તાનની પોતાને ‘વિજેતા’ ગણાવવાની રણનીતિ તરફ ઇશારો કરે છે.

પાકિસ્તાને જ્યારે પોતાના મિલિટરી ઍરબેઝ પર હુમલાની વાત સ્વીકારી, ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે દાવો કર્યો હતો કે તેમના દેશે “ભારત પર પલટવાર પણ કર્યો છે.”

અજય સાહની કહે છે, “પાકિસ્તાન આ કાર્યવાહીથી પાછળ ખસે તેની શક્યતા નગણ્ય છે. હવે કદાચ પાકિસ્તાની આતંકી ઠેકાણાઓએ એક નવી સ્થિતિમાંથી પસાર થવું પડશે.”

ઇસ્લામાબાદમાં સંરક્ષણ નિષ્ણાત આમિર રાના કહે છે, “સંઘર્ષ વિરામ એ વાતની ગૅરંટી નથી કે સૈન્ય સંઘર્ષ સમાપ્ત થઈ ગયો છે.”

તેઓ કહે છે કે આ ચાર દિવસના સંઘર્ષમાં “નવા હથિયારોની દોડનું જોખમ વધી ગયું છે.”

આમિર રાણાએ કહ્યું કે સંઘર્ષ વખતે પાકિસ્તાનનું ધ્યાન ચીનના શસ્ત્રોના ઉપયોગ અને તેની ટેક્નોલોજી પર હતું. તેઓ કહે છે, “તેનાથી વધુ મહત્ત્વનું એ છે કે પાકિસ્તાને ચીનની ટૅક્નૉલોજીનો કેટલો અસરકારક રીતે ઉપયોગ કર્યો.”

જ્યારે ભારતીય વિશ્લેષક અજય સાહની માને છે કે પાકિસ્તાનની સૈન્ય કાર્યવાહીએ “સૈન્ય ટેકનૉલૉજીના સ્વરૂપમાં ચીનને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત અને પ્રોત્સાહિત કર્યું છે.

તેઓ કહે છે કે આનાથી ભારત અને ચીન વચ્ચેની ખાઈ વધુ ઊંડી થશે અને પાકિસ્તાન સાથે ચીનના સંબંધ વધુ મજબૂત બનશે.

પ્રતિનિધિમંડળ અને કૂટનીતિ

ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પહલગામ ઑપરેશન સિંદૂર સૈન્ય નરેન્દ્ર મોદી આસિમ મુનીર અમેરિકા

ઇમેજ સ્રોત, @CMShehbaz/X

10 મેના રોજ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે ભારત અને પાકિસ્તાન આખી રાત ચાલેલી લાંબી વાતચીત પછી “તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે”. આ સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવમાં અચાનક વળાંક આવ્યો.

પાકિસ્તાને આ જાહેરાતને આવકારી, જ્યારે ભારતે ટ્રમ્પના સંઘર્ષવિરામ કરાવવાના દાવા વિશે કંઈ ન કહ્યું. ભારતે માત્ર સંઘર્ષવિરામ પર સહમતિની વાત કરી. જોકે, પછી ભારતે કહ્યું કે ઑપરેશન સિંદૂર હજુ ખતમ નથી થયું.

ભારત લાંબા સમયથી કહેતું આવ્યું છે કે પાકિસ્તાન સાથેના કોઈ મુદ્દાને દ્વિપક્ષીય રૂપે ઉકેલવો જોઈએ.

કેટલાક લોકોનો તર્ક છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષથી પાકિસ્તાનને પોતાનાથી અલગ રાખવાના ભારતના કેટલાય વર્ષોના કૂટનીતિક પ્રયાસો પર પાણી ફેરવી શકે છે. ખાસ કરીને જ્યારે ભારતે જમ્મુ અને કાશ્મીરને મળેલો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો છે ત્યારે.

ભૂતપૂર્વ ડિપ્લોમેટ નિરુપમા રાવ કહે છે, “વૈશ્વિક પરિદૃશ્યમાં ભારત અને પાકિસ્તાનને ફરીથી નજીક લાવવાની વાતો થવી, ખાસ કરીને અમેરિકા દ્વારા સંઘર્ષવિરામમાં પોતાની ભૂમિકાના નિવેદનના સંદર્ભમાં જોવામાં આવે તો ભારત માટે આ કૂટનીતિક પીછેહઠ ગણાય.”

ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર હર્ષ પંત કહે છે કે અલગ અલગ દેશોમાં સર્વદળીય પ્રતિનિધિમંડળ મોકલવાનો ભારતનો નિર્ણય દુનિયા સમક્ષ પોતાની વાત રજૂ કરવાનો પ્રયાસ છે.

આ દરમિયાન પાકિસ્તાને પણ પાંચ દેશોમાં પોતાના પ્રતિનિધિમંડળ મોકલ્યા છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પણ કહ્યું છે કે આ પ્રતિનિધિંડળોનો હેતુ “દુનિયા સમક્ષ પાકિસ્તાનનું વલણ રજૂ કરવાનો” છે.

આ ઉપરાંત પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે સ્વયં અઝરબૈજાન અને તુર્કી સાથે ત્રિપક્ષીય બેઠકમાં વ્યક્તિગત રીતે ભાગ લીધો હતો. આ બંને દેશો હાલના સંઘર્ષ પછી પાકિસ્તાનને ટેકો આપતા જણાય છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ જૌહર સલીમ કહે છે કે, “પાકિસ્તાને પહેલેથી નક્કી કરી લીધું હતું કે તે દુનિયાને જણાવશે કે ભારત આ ક્ષેત્રને યુદ્ધ તરફ ધકેલી રહ્યું છે.”

ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પહલગામ ઑપરેશન સિંદૂર સૈન્ય નરેન્દ્ર મોદી આસિમ મુનીર અમેરિકા

ઇમેજ સ્રોત, ANI

આ સંઘર્ષ પછી ભારતે પોતાની કૂટનીતિક રેખાને ‘પુનઃવ્યાખ્યાયિત કરી’ છે. હવેથી ભારતની ધરતી પર કોઈ પણ ‘આતંકવાદી હુમલો’ એક્ટ ઑફ વૉર ગણવામાં આવશે.

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ એક પ્રેસ બ્રીફિંગમાં એક તસવીર દેખાડીને કૂટનીતિક આક્રમકતા વધારી દીધી.

આ તસવીરમાં દેખાતી એક વ્યક્તિને ભારતીય મીડિયામાં “યુએન દ્વારા જાહેર કરાયેલ આતંકવાદી” હાફિઝ અબ્દુલ રૌફ તરીકે ઓળખાવાઈ. તસવીરમાં તેઓ ભારતીય હુમલામાં માર્યા ગયેલા લોકો માટે પ્રાર્થના કરતા જોવા મળે છે.

વિદેશ ગયેલા પ્રતિનિધિમંડળે પોતાની અલગ અલગ બેઠકોમાં આ તસવીરોને અન્ય દેશો સાથે શૅર કરી.

પ્રોફેસર હર્ષ પંતે બીબીસી હિંદીને જણાવ્યું કે ભારતીય પ્રતિનિધિમંડળના સભ્યો “પાકિસ્તાન સમર્થિત આતંકવાદ પ્રત્યે ભારતના બદલાતા દૃષ્ટિકોણ વિશે દુનિયાને જણાવવાના હેતુથી કામ કરે છે.”

પાકિસ્તાને આ તસવીરમાં સામેલ વ્યક્તિ આતંકવાદી હોવાની વાત નકારી અને તે સામાન્ય વ્યક્તિ છે એવો દાવો કર્યો હતો. પાકિસ્તાને આતંકવાદને ટેકો આપવાનો કે પોતાની ધરતી પર “આતંકી માળખું” હાજર હોવાની વાત પણ નકારી હતી.

પાકિસ્તાનના જૌહર સલીમે કહ્યું કે, તેનાથી વિપરીત પાકિસ્તાની પ્રતિનિધિમંડળનો હેતુ એ “પુરાવા” આપવાનો છે કે “પાકિસ્તાનની અંદર ભારત ત્રાસવાદને પ્રોત્સાહિત કરે છે.”

જૌહર સલીમ કહે છે કે, આ ઉપરાંત અન્ય મુદ્દામાં કાશ્મીર પ્રશ્નને આંતરરાષ્ટ્રીય સ્તરે લાવવો અને બંને દેશો વચ્ચેની સિંધુ જળસંધિ (જેને પહલગામ હુમલા પછી ભારતે સસ્પેન્ડ કરી દીધી છે) તરફ દુનિયાનું ધ્યાન ખેંચવાનો સમાવેશ થાય છે.

ઑપરેશન સિંદૂર પછી રાષ્ટ્રના નામે સંબોધનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિંધુ જળસંધિને અટકાવી દેવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે “લોહી અને પાણી એક સાથે ન વહી શકે.”

ઑપરેશન સિંદૂર મામલે રાજનીતિ

ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પહલગામ ઑપરેશન સિંદૂર સૈન્ય નરેન્દ્ર મોદી આસિમ મુનીર અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ભારત એક તરફ આખી દુનિયામાં આ સંઘર્ષ અંગે પોતાનો દૃષ્ટિકોણ બીજા દેશો સમક્ષ મૂકવાની કોશિશ કરે છે, બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્થાનિક રાજકારણમાં આ મુદ્દાને સતત કેન્દ્રમાં રાખી રહ્યા છે.

‘ઑપરેશન સિંદૂર’ જ્યારથી થયું ત્યારથી પીએમ મોદી પોતાના ભાષણોમાં તેનો નિયમિત રીતે ઉલ્લેખ કરે છે.

પોતાના એક ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે તેમની “નસોમાં સિંદૂર વહે છે”. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે “આતંકવાદી ઠેકાણા સામે મોદીની ગોળી તૈયાર છે.”

વિપક્ષ કૉંગ્રેસે આ સંઘર્ષને લઈને ઘણા સવાલ કર્યા છે અને તેનો જવાબ આપવા સરકાર સંસદનું સંયુક્ત સત્ર બોલાવે તેવી માંગણી કરી છે.

રાજકીય વિવેચક અદિતિ ફડનીસ કહે છે, “વડા પ્રધાન મોદી આ વર્ષના અંતે બિહારમાં યોજાનારી ચૂંટણીમાં આ મુદ્દાને વધુ ધાર આપશે.”

તેમણે કહ્યું કે વિદેશમાં સર્વદળીય પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય એક રાજકીય પગલું છે જેથી એવું દેખાડી શકાય કે વિપક્ષ પણ રાષ્ટ્રીય હિત માટે મોદીની પડખે ઊભો છે.

જ્યારે વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી માને છે કે આ મુદ્દે તમામ પક્ષો મોદીની સાથે રહ્યા તેનાથી એક નેતા તરીકે તેમની છબી મજબૂત બનશે. જોકે, તેમના કહેવા પ્રમાણે તેના નકારાત્મક પાસા પણ છે.

નીરજા ચૌધરી કહે છે, “વિપક્ષને પણ આનો ફાયદો થયો છે. વિપક્ષના નેતાઓ અચાનક સમાચારમાં જોવા મળે છે કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર રાષ્ટ્રવાદને ઉદાર મૂલ્યો સાથે જોડવામાં સફળ થયા છે.”

તેઓ કહે છે કે આ પગલાંથી ભારત ચૂંટણીના રાજકારણમાં રાષ્ટ્રવાદનો એકલા હાથે ફાયદો નહીં લઈ શકે. “રાષ્ટ્રવાદની કહાણીમાં તેમણે વિપક્ષોને પણ સામેલ કરવા પડશે.”

આ દરમિયાન પાકિસ્તાની વિશ્લેષકો માને છે કે આ સંઘર્ષ પછી દેશમાં સેનાની લોકપ્રિયતામાં અનેકગણો વધારો થયો છે જે સૌથી મોટો રાજકીય બદલાવ છે.

સેના પ્રમુખ આસિમ મુનીર ઉપરાંત પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈના વડા લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિકને પણ પ્રમોશન મળ્યું છે. હવે તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બની ગયા છે.

લાહોરમાં પત્રકાર માજિદ નિઝામી કહે છે કે ભૂતપૂર્વ આર્મીના વડા પરવેઝ મુશર્રફના શાસનના પતન પછી એવી માન્યતા હતી કે સેના અને જનતા વચ્ચેના સંબંધ નબળા પડી ગયા છે.

નિઝામીએ કહ્યું કે “ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન લોકોએ જે રીતે સેનાને મજબૂત ટેકો આપ્યો અને તેની પડખે ઊભી રહી, તેણે આ ધારણા દૂર કરી દીધી છે.”

જોકે, તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં રાજકીય પક્ષોને કોઈ લાભ નથી મળી શક્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS