Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images/Tejas Vaidya/BBC
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
-
6 જૂન 2025, 21:25 IST
અપડેટેડ એક કલાક પહેલા
અમદાવાદમાં ઑલિમ્પિક્સ રમતોત્સવ 2036માં યોજાય તો તેનો હરખ ગુજરાતીઓને હોય તે સ્વાભાવિક છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સ્ટેડિયમ રોડ પાસે બળદેવનગર નામનો વિસ્તાર છે. ત્યાં રહેતા મૂળજીભાઈને પણ ઑલિમ્પિક્સના પ્રસ્તાવિત આયોજનનો આનંદ તો છે, પણ સાથે સાથે તેના માટે તેમણે તેમનું ઘર ગુમાવવું પડશે એ વાતનો ફફડાટ પણ છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મૂળજીભાઈએ કહ્યું હતું કે, “અમદાવાદ મહાનગરપાલિકાએ વિસ્તાર ખાલી કરવાની નોટિસ આપી છે. રસ્તો તૈયાર થવાનો હોવાથી અમને ઘર ખાલી કરી દેવાની તાકીદ કરવામાં આવી છે. જો ઑલિમ્પિક્સ રમતોત્સવ યોજાતો હોય તો અમનેય આનંદ છે, પણ અમે બાપદાદાના વખતથી અહીં રહીએ છીએ. અમારાં ઘર જતાં રહેશે તો અમે ક્યાં જશું? મહાનગરપાલિકાને જો અમારાં રહેઠાણ ખાલી કરાવવાં હોય તો અમને બીજે ઠેકાણે સગવડવાળાં રહેઠાણની વ્યવસ્થા કરી આપે.”
મૂળજીભાઈનો પરિવાર 1960થી ત્યાં રહે છે. તેમને લાગે છે કે શહેરમાં ઑલિમ્પિક્સના પ્રસ્તાવિત આયોજન અને રસ્તા મોકળા કરવાના હોવાને લીધે તેમની મિલકત તોડી પાડવામાં આવશે.
નોંધનીય છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2036માં ભારત ઑલિમ્પિક્સની યજમાની કરે તેવી ઇચ્છા જાહેર કરી હતી. ગુજરાત રમતજગતના મહાકુંભ ઑલિમ્પિક્સનું ભારતમાં આયોજન કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ સપનાના કેન્દ્રસ્થાને છે.
નોંધનીય છે કે 2036 ઑલિમ્પિક્સનું આયોજન અહીં થાય તે માટે ગુજરાત સરકારે માસ્ટરપ્લાન બનાવવાની શરૂઆત કરી છે.
જે અંતર્ગત અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ મોટેરા વિસ્તારમાં સરદાર પટેલ સ્પૉર્ટ્સ ઍન્કલેવ બનાવવાનું આયોજન છે.
આયોજન અનુસાર મોટેરામાં 335 એકર જમીનમાં અલગ અલગ સ્પૉટ્સ ફૅસિલિટી ઊભી કરવાનો પ્લાન છે. આ સિવાય અમાદાવાદ અને ગાંધીનગરમાં 650 એકર જમીનમાં સ્પૉર્ટ્સ ફૅસિલિટી ઊભી કરાશે.
અગાઉ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથૉરિટીના સીઇઓ ડી. પી. દેસાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “ઑલિમ્પિક્સના આયોજન માટે માસ્ટર પ્લાન બનાવવા માટે પણ ઇન્ટરનૅશનલ એજન્સીને કામગીરી આપવામાં આવી છે. ઑલિમ્પિક્સ માટે કયા ક્યા ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂર પડશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં ઊભું કરી શકાય? તે અંગેનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. હાલના તબક્કે અમે વિચારી રહ્યા છીએ કે ઑલિમ્પિક્સની ઓપનિંગ અને ક્લોઝિંગ સૅરિમની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવશે.”
વૈકલ્પિક રહેઠાણ કોને મળી શકશે?

ઇમેજ સ્રોત, tejas vaidya/bbc
ગુજરાત સરકાર દ્વારા 9 જાન્યુઆરી 1984ના રોજ ફાઇનલ મંજૂર થયેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 23(સાબરમતી)ના અમલીકરણ માટે રોડ પહોળો કરવાના કામ માટે ઉપરદળ(જમીનતળ પર કરેલું બાંધકામ)ને દૂર કરી શાતિપૂર્ણ રીતે જમીનનો કબજો આપવા માટે રહેવાસીઓને 19 એપ્રિલે નોટિસ આપવામાં આવી હતી.
નોટિસ મળ્યા પછી ત્યાં રહેતા લોકોએ મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી. એ બાદ 21 મેના રોજ પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ એસ્ટેટ ઑફિસર દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી હતી, તેમાં જણાવાયું હતું કે ટીપી ઍક્ટમાં વૈકલ્પિક આવાસો ફાળવવાની કે કબજેદારોને વળતર આપવાની કોઈ જોગવાઈ નથી.
મહાનગરપાલિકાના પશ્ચિમ વિભાગના એક અધિકારીએ નામ ન જાહેર કરવાનું કહીને બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “ટાઉન પ્લાનિંગ સ્કીમમાં વૈકલ્પિક આવાસ આપવાની કોઈ જોગવાઈ નથી, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની એવી જોગવાઈ છે કે જે લોકો 2010 પહેલાં ત્યાં રહેતા હશે અને તેમની પાસે રહેઠાણના આધાર-પુરાવા હશે તો તેમને વૈકલ્પિક રહેઠાણ આપવામાં આવશે. જે લોકોએ પુરાવા રજૂ કર્યા છે, તેમાંથી 36 જણ ફાઈનલ થયા છે. હજી પ્રક્રિયા ચાલી રહી છે. વધુ નામ પણ ઉમેરાશે.”
‘575 જેટલા લોકોને નોટિસ અપાશે’

ઇમેજ સ્રોત, tejas vaidya/bbc
બળદેવનગરમાં મૂળજીભાઈ સહિત અન્ય કેટલાક લોકોને પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નોટિસ મળી છે. જેમાંનાં એક પુષ્પાબહેન વાણિયા પણ છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પુષ્પાબહેને કહ્યું હતું કે, “તમે ઑલિમ્પિક્સ ભલે રમાડો, પણ અમારા ઘર તો ન ઊજાડો. હું પરણીને અહીં આવી હતી. પચાસેક વર્ષથી અમે અહીં રહીએ છીએ. આમ તાબડતોડ ઘર ખાલી કરાવશે તો અમે ક્યાં જઈશું? અમારું એટલું કહેવું છે કે પહેલાં અમને અન્ય ઠેકાણે સગવડવાળું રહેઠાણ આપવામાં આવે.”
પુષ્પાબહેન તેમજ ભીખુભાઈ સહિત 27 લોકોએ કોર્ટમાં ટહેલ નાખી છે. કોર્ટમાં તેમની શું રજૂઆત છે? એ વિશે તેમના વકીલ વિક્રમ ઠાકોરે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “ચણતર થયેલા રહેણાક વિસ્તારને રોડ માટે તોડી પાડવો એ અતાર્કિક છે. કારણકે, રોડ બનાવવાના માટે જો અનેક લોકોનાં ઘર જતાં રહેતાં હોય તો એ યોગ્ય નથી. તેનાથી અનેક લોકો ઘરબાર વગરના થાય છે. મહાનગરપાલિકાના કહેવા પ્રમાણે ટીપી સ્કીમ તો 1984માં ફાઇનલ થયેલી છે. જો 41 વર્ષ સુધી રસ્તાની જરૂર ન પડી તો હવે છેક તેનું અમલીકરણ કરો છો?”
“તમે 1984માં ટીપી થયું તે વખતે ત્યાં રહેતા લોકોને તો નોટિસ આપી નહોતી તો તેમને કેવી રીતે ખબર પડે? તમે 1984માં ફાઇનલ થયેલી ટીપીની નોટિસ 2025માં આપો છો તો એ લોકો તો 2025માં જ કોર્ટમાં પડકારે ને? એ લોકોએ 1984માં જ નોટિસ આપવી જોઈતી હતી.”
મહાનગરપાલિકાના અધિકારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “1984માં જ્યારે ટીપી પડી ત્યારે રસ્તો હતો જ. એ વખતે ટાઉન પ્લાનિંગ તો થયેલું જ હતું. એ વખતે એવી જરૂર વર્તાઈ નહોતી. તેથી કોઈને નોટિસ આપી નહોતી. હવે જરૂર વર્તાઈ છે તો નોટિસ આપી છે.”
અધિકારીએ એમ પણ કહ્યુ હતું કે, “જ્યારે જાહેર હિત માટેનું કોઈ કામ હોય તો એ જમીન મહાનગરપાલિકા કે સરકારની હોય કે ન હોય એ જમીન સરકાર હસ્તગત કરી શકે છે. અહીં પણ કેટલીક જમીન પાલિકાના તાબાની છે તો કેટલીક ખાનગી છે. 380 જેટલાને નોટિસ અપાઈ છે, દોઢ કિમી વિસ્તારમાં 575 જેટલા લોકોને નોટિસ આપવામાં આવશે.”
વિક્રમ ઠાકોરે બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે, “એ વાત ખરી કે જાહેર હિત માટે જમીન લઈ શકે છે. પરંતુ એના માટે જમીન સંપાદન કરવાની હોય. આમાં તો તમે સીધી નોટિસ આપીને કહી જ દો છો કે અમારે જોઈએ છે તમે ખાલી કરીને જતા રહો. સુપ્રીમ કોર્ટે રહેવાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્વાકાર્યો છે.”
નોંધનીય છે કે તમામ પક્ષોની દલીલ સાંભળીને હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.
પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માગણી

અમદાવાદસ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્પૉર્ટ્સ સંકુલમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસના વિસ્તારોમાં માર્ગ મોકળો કરવાનો હોવાથી આસપાસના વિસ્તારના જે લોકોને રહેઠાણો ખાલી કરવાની નોટિસ અપાઈ છે તેઓ માને છે કે આગામી સમયમાં શહેરમાં ઑલિમ્પિક્સ રમતોત્સવ યોજવાનું આયોજન હોઈ તેમણે તેમની મિલકતો ગુમાવવી પડી રહી છે.
ગુજરાત ટાઉન પ્લાનિંગ ઍન્ડ અર્બન ડેવલપમેન્ટ ઍક્ટ, 1976ની કલમ 68 અને ગુજરાત ટીપી ઍન્ડ અર્બન ડેવલપમેન્ટ રુલ્સ, 1979ના નિયમ 33 હેઠળ આસિસ્ટન્ટ એસ્ટેટ ઑફિસરે કબજેદારોને મકાનો ખાલી કરાવવાની નોટિસ આપી છે.
સરકારી વકીલ જીએચ વિર્ક અને એએમસીના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ખાલી કરાવવાની પ્રક્રિયા માટે કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ દલીલ કરી હતી કે 1965માં રજૂ કરાયેલ ટીપી સ્કીમ ડ્રાફ્ટ 1984માં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને તેને જાહેર હેતુ માટે લાગુ કરી શકાય છે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે રહેવાસીઓએ તેની જાણકારી હોવા છતાં તથા એ માટેની પ્રક્રિયા હોવા છતાં ક્યારેય ટીપી સ્કીમ સામે વાંધો ઉઠાવ્યો નથી, એને ફક્ત 2025માં પડકારવામાં આવ્યો હતો. તેથી એ વાંધાઓ બાજુ પર રાખવા જોઈએ, કારણ કે ટીપી સ્કીમને અગાઉ પડકારવામાં આવી ન હતી.
વિક્રમ ઠાકોરે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “જો વૈકલ્પિક રહેઠાણ આપી દેવામાં આવે તો ઉકેલ આવી જાય, પણ આ તો એવું છે કે પહેલાં તોડી નાખીને પછી વિચારીશું. આ લોકો કંઈ ઝૂપડપટ્ટીવાળા નથી.”
વિક્રમ ઠાકોરે એમ પણ કહ્યું કે, “ઑલિમ્પિક્સ રમતો રમાડવી હોય તો તમારે પહેલાં જે લોકો રહે છે તેમની વ્યવસ્થા પહેલાં કરવી જોઈએ.”
બીબીસી ગુજરાતીએ આ સમગ્ર મુદ્દે વાત કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પૃથ્વીરાજસિંહ ઝાલાનો સંપર્ક પણ કર્યો હતો, પરંતુ વાત થઈ શકી નહોતી.
SOURCE : BBC NEWS